World

યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ પેલેસ્ટાઈનને સ્વીકૃતિ આપતા બેન્જામીન નેતન્યાહૂ ધૂંધવાયા

By GS TEAM
22 Sep 20252 mins read
યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ પેલેસ્ટાઈનને સ્વીકૃતિ આપતા બેન્જામીન નેતન્યાહૂ ધૂંધવાયા

- ઈઝરાયલ તે સ્વીકૃતિને પડકારશે : તેથી તો અમારા અસ્તિત્વ સામે ખતરો ઊભો થાય તેમ છે : તે ત્રાસવાદને પુષ્ટિ આપવા જેવું છે

તેલઅવીવ : યુકે, ઓસ્ટ્રેલિયાએ  અને કેનેડાએ પેલેસ્ટાઈનને એક (સ્વતંત્ર) રાષ્ટ્ર તરીકે સ્વીકૃતિ આપતાં ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂ ખરેખરા ધૂંધવાયા છે અને કહ્યું છે કે, આ ઈઝરાયલ સામેનો અપપ્રચાર છે અને તેથી ઈઝરાયલના અસ્તિત્વ સામે જોખમ ઉપસ્થિત થાય તેમ છે. તેટલું જ નહીં પરંતુ તે સ્વીકૃતિ ત્રાસવાદને પુષ્ટિ આપવા બરાબર છે. ત્રાસવાદને ઇનામ આપવા બરાબર છે.

આ સાથે તેઓએ વેસ્ટ બેન્કમાં વસાહત માટેની યોજના પણ તૈયાર થઈ રહી છે તેમ પણ જણાવ્યું હતું. પરંતુ તે યોજના શી હશે, તે વિષે નેતન્યાહૂએ કશી સ્પષ્ટતા કરી ન હતી.

બીજી તરફ ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા, પેલેસ્ટાઈને સ્વતંત્ર અને સાર્વભૌમત્વ રાજ્ય તરીકે સ્વીકૃતિ આપે છે અને પોતાનું સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય હોવાથી પેલેસ્ટાઈનીઓની આકાંક્ષાને યોગ્ય અને કાનૂની પણ ગણે છે.

ઈઝરાયલના વિદેશ મંત્રીએ તેનાં વિધિસરના નિવેદનમાં ઉકત ત્રણે દેશોની ઉગ્ર ટીકા કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે, હમાસ તેણે ૭ ઓકટોબરના દિવસે કરેલા હુમલાના ફળ ભોગવી રહ્યા છે.

તે સર્વવિદિત છે કે ઈઝરાયલે વેસ્ટ બેન્કમાં પણ હવે કિબુત્સ (ગામો) વધારતું જાય છે. અહીંથી પણ તે પેલેસ્ટાઈનીઓને દૂર કરી રહ્યું છે.

નિરીક્ષકો કહે છે કે ઈઝરાયલ તરીકે અત્યારે ઓળખાતા વિસ્તારમાં યહુદીઓ તો ઇ.સ.પૂ. ૨૦૦૦થી વસ્યા છે, જયારે આરબો છેક ઇ.સ.પૂ. ૬૩૨ માં આવી વસ્યા છે. તાત્વિક દ્રષ્યો જોતાં ઈઝરાયેલીનો ત્યાં પહેલો હક્ક હોઈ શકે પરંતુ પેલેસ્ટાઈનીઓને પણ તે પ્રદેશમાં પૂરો હક્ક છે.