બલૂચ આર્મીના પ્રચંડ હુમલામાં પાકિસ્તાની સૈન્યના 23 સૈનિકો ઠાર, 9 બળવાખોરોનાં મોત
Pakistan News : પાકિસ્તાનમાં બલુચિસ્તાનના બળવાખોરોની બલોચ આર્મી પાકિસ્તાનની આર્મીને ટક્કર આપી રહી છે. તાજેતરમાં બલુચિસ્તાનના બળવાખોરો અને પાકિસ્તાની સૈન્ય બન્ને સામસામે આવી ગયા હતા અને ભારે ઘર્ષણ થયું હતું. આ હિંસક સંઘર્ષમાં પાકિસ્તાની સૈન્યના 23 જવાનો માર્યા ગયા હતા. જ્યારે બલુચિસ્તાન આર્મીના નવ બળવાખોરો પણ માર્યા ગયા હતા. તાજેતરમાં પાકિસ્તાન સૈન્ય પર બલુચિસ્તાન આર્મીનો આ સીધો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. બલુચિસ્તાન આર્મીએ પાક. સૈન્યના કાફલાને નિશાન બનાવી આ હુમલો કર્યો હતો.
બલુચિસ્તાન લિબરેશન આર્મીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે બલુચિસ્તાનના ગોની પારામાં સૌથી મોટુ ઘર્ષણ થયું હતું, જ્યાં અમે પાકિસ્તાની સૈન્યને સૌથી મોટુ જખમ આપ્યું, આ પહેલા મસ્તંગ ઘાટીમાં 6 જૂનના રોજ પણ પાક. સૈન્યના કાફલાને નિશાન બનાવી હુમલો કર્યો હતો. જેમાં આઠ સૈનિકો માર્યા ગયા હતા. આખી રાત બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાક. આર્મીને ટક્કર આપી હતી. આ ઉપરાંત 8 જૂનના રોજ અન્ય એક ઘર્ષણમાં પણ પાકિસ્તાની સૈન્યના અનેક સૈનિકો માર્યા ગયા હતા. અન્ય કેટલાક વિસ્તારોમાં પણ પાકિસ્તાની સૈન્ય અને બલુચિસ્તાન આર્મી વચ્ચે સામસામે ભારે ગોળીબારના અહેવાલો છે.
બલુચિસ્તાનમાં અલગાવવાદી સશસ્ત્ર સમુહો અને પાકિસ્તાની દળો વચ્ચે લડાઇ વધુ ઉગ્ર બની રહી છે. બલુચિસ્તાન આર્મીના વધી રહેલા વર્ચસ્વને પહોંચી વળવા માટે પાકિસ્તાની સૈન્યએ બલુચિસ્તાનમાં પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. અગાઉ બલુચિસ્તાન આર્મીએ પાક.ના અનેક કેટલાક વિસ્તારો પર કબજો કરી લીધો હોવાનો દાવો કર્યો હતો. બલુચિસ્તાનના બળવાખોરોનું આ અભિયાન એવા સમયે તેજ બની રહ્યું છે જ્યારે પાકિસ્તાની સૈન્ય અને પોલીસ દ્વારા બલુચિસ્તાનના નાગરિકો પર અત્યાચાર વધી રહ્યો છે.
બલુચિસ્તાનમાં રાતોરાત અનેક નાગરિકો ગુમ કરી દેવાય છે બાદમાં તેમના મૃતદેહ મળી રહ્યા છે. જેને પગલે સ્થાનિકોમાં પાક. સૈન્ય અને સરકાર પ્રત્યે રોષ વધી રહ્યો છે. બલુચિસ્તાનની માનવ અધિકાર પર કામ કરતી સંસ્થાઓએ કહ્યું હતું કે બલુચિસ્તાનમાં બે જુદાજુદા વિસ્તારોમાં નવ લોકોને તાજેતરમાં ગુમ કરી દેવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા એક યુવકનો મૃતદેહ મળ્યો હતો જે બાદ સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે.