World

ઇરાન યુધ્ધમાં ખાડી દેશના જહાજો અને તેલ ટેન્કરો પર હુમલા યથાવત

By GS TEAM
5 Mar 20262 mins read
ઇરાન યુધ્ધમાં ખાડી દેશના જહાજો  અને તેલ ટેન્કરો પર હુમલા યથાવત

રીયાધ,૫ માર્ચ,૨૦૨૬,ગુરુવાર 

ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેના યુધ્ધનો વ્યાપ શ્રીલંકાથી લઇને અઝરબેઝાન અને છેક સાયપ્રસ સુધી પહોંચ્યો છે. ખાડીની આસપાસ તેલ ટેન્કરો અને જહાજો પર હુમલા વધી ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કુવૈત પાસે એક તેલ ટેન્કર પર હુમલો થયો છે. જહાજમાં એક મોટો વિસ્ફોટ થયા પછી ક્રુડ તેલનું ગળતર થવા લાગ્યું હતું. બ્રિટનની દરિયાઇ પરિવહન સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર ઇરાન યુધ્ધના કારણે ખાડીમાં દરિયાઇ જહાજોનો માર્ગ ખૂબ અવરોધાયેલો છે.

બ્રિટનની સુરક્ષા એજન્સીએ સોશિયલ નેટવર્કિગ સાઇટ એકસ પર લખ્યું હતું કે લંગર પર અટકેલા એક ટેનક્ર માસ્ટરે પોર્ટની દિશા તપઉ એક મોટો ધમાકો સાંભળ્યો હતો. ઝડપથી એક નાની હોડીઓ બહાર નિકળતી જોઇ હતી. કુવૈતના ગૃહ મંત્રાલયે પણ ધમાકાની પુષ્ટિ કરી છે. વિસ્ફોટો કુવૈતી જળ ક્ષેત્રની બહાર મુબારક અલ કબીર પોર્ટથી ૬૦ કિમી દૂર થયો હતો. ગુરુવારે બહામાસના ધ્વજવાળા એક તેલ ટેન્કર પર પણ હુમલો થયો હતો. આ ટેન્કર ઇરાકના ખોરઅલ જુબૈર પોર્ટ પર રોકાયેલું હતું. સોનોગલ મરીન સર્વિસની માહિતી મુજબ વિસ્ફોટ થયા પછી જહાજના ખૂણાનો એક મોટો ભાગ તૂટી ગયો હતો. 


જહાજના ટેન્કરોમાંથી  તેલનું ગળતર થવા લાગ્યું હતું. ઇરાનના રિવોલ્યૂશનરી ઇસ્લામિક ગાર્ડ કોપના દાવા મુજબ હોર્મુઝ ખાડી પર પોતાનું નિયંત્રણ છે. દુનિયામાં તેલ ટેન્કરોને ઓપરેટ કરનારી ચીની દિગ્ગજ શિપિંગ કંપની કોસ્કોએ ખાડી દેશો સાથે જોડાયેલી સેવાને રદ્ કરી નાખી હતી. સંયુકત રાષ્ટ્રના શિપિંગ નિયામકે સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું હતું કે ઇરાન યુદ્ધના લીધે ખાડીમાં જહાજ સાથે સંકળાયેલા ૨૦ હજારથી માણસો ફસાયેલા છે જેમાં ૧૫૦૦૦ ક્રુઝ જહાજોમાં અટકેલા છે. હિંદ મહાસાગરમાં શ્રીલંકા પાસે ઇરાનના યુધ્ધ જહાજનો ટોરપીડો વડે હુમલો કરીને નાશ કરવામાં આવ્યો હતો. આઇઆરઆઇએસ ડેના નામના ઇરાનના જહાજ પરના હુમલામાં ૮૭ લોકોના મુત્યુ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હજુ વધુ એક યુધ્ધ પોત શ્રીલંકાના બહારની તરફના આર્થિક ઝોનમાં છે. શ્રીલંકન સરકારના જણાવ્યા અનુસાર ઇરાનના આ બીજા જહાજ પર તૈનાત નાવિકોને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહયો છે. ઇરાનના બીજા યુધ્ધ પોતની સુરક્ષાનો મામલો શ્રીલંકાની સંસદમાં ઉઠયો હતો. વિપક્ષના નેતાના જવાબમાં શ્રીલંકા સરકારના કેબિનેટ પ્રવકતા નલિંદા જયાતિસાએ કહયું હતું કે રાષ્ટ્રપતિ,રક્ષા અધિકારી અને અન્ય સંબંધિત અધિકારી વાકેફ છે અને પગલા ભરી રહયા છે. ખાસ કરીને યુધ્ધ સાથે નહી પરંતુ માનવ જીંદગી બચાવવાનો પ્રયાસ કરશે. (ફાઇલ ચિત્ર)