હિન્દુને જીવતો સળગાવી મારી નાખવાની બે મહિનામાં બીજી ઘટના
યુવક કામ પતાવ્યા બાદ ગેરેજનું શટર બંધ કરી અંદર ઊંઘી રહ્યો હતો ત્યારે દરવાજેથી પેટ્રોલ નાખી આગ લગાવાઇ
પરિવારમાં એકમાત્ર કમાનારો વ્યક્તિ ચંચલ મૂળ બાંગ્લાદેશના કુમિલ્લા જિલ્લાના લક્ષ્મીપુર ગામનો રહેવાસી છે. છેલ્લા ઘણા વર્ષથી તે નરસિંહ વિસ્તારમાં આવેલા એક ગેરેજમાં કામ કરતો હતો. રાત્રે ચંચલ ગેરેજની અંદર ઉંઘી રહ્યો હતો તે સમયે જ ગેરેજના શટર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દેવામાં આવી હતી. એક શખ્સ ગેરેજના શટર પર આગ લગાવી રહ્યો હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
બાદમાં આ આગ ગેરેજની અંદર ફેલાઇ જાય છે. એક કલાક સુધીની મહેનત બાદ આ આગને કાબુ કરવામાં આવી હતી. ગેરેજની અંદરથી ચંચલનો સળગેલો મૃતદેહ મળી આવ્યો હતો.
કેટલાક સ્થાનિકોનો દાવો છે કે ચંચલ લાંબા સમય સુધી આગ સામે લડતો રહ્યો, બહુ જ કમકમાટીભર્યું તેનું મોત થયું. પરિવારે પણ આ ઘટનાને પૂર્વાયોજિત હત્યા ગણાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે સ્થાનિક હિન્દુ નેતાઓએ જણાવ્યું છે કે આ હત્યાકાંડના દોષિતોની તાત્કાલીક ધરપકડ કરી તેને સજા આપવામાં આવે.


