પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલો, 9 લોકોને બસમાંથી ઉતારી ગોળી મારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image: AI Gemini |
Pakistan Terrorists Attack On Bus: પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો હુમલો થયો છે. જેમાં હુમલાખોરોએ નવ લોકોની ગોળી મારી હત્યા કરી દીધી છે. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. હુમલાખોરોએ એક ચાલુ બસને અટકાવી તેમાંથી મુસાફરોને નીચે ઉતારી ગોળીથી વીંધી નાખ્યા હતાં. બલૂચિસ્તાનના અધિકારીએ આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, બલૂચિસ્તાનના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે આ હુમલામાં ઓછામાં ઓછા નવ લોકોની હત્યા થઈ છે. ક્વેટાથી લાહોર જતી બસમાં સવાર મુસાફરોને નીચે ઉતારી અપહરણ કર્યું હતું, બાદમાં તેમની ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ દુર્ઘટના ઉત્તરીય બલૂચિસ્તાન નજીક સ્થિત ઝોબ શહેરની છે.
નવ લોકોના આઈડી જોઈને ગોળી મારી
પ્રત્યક્ષદર્શી મુજબ, હુમલાખોરોએ અચાનક ચાલુ બસને અટકાવી હતી. બાદમાં બંદૂકના જોરે મુસાફરોને નીચે ઉતરવા કહ્યું. તેમનું અપહરણ કર્યું અને બાદમાં નવ લોકોના આઈડી ચેક કરી તેમની હત્યા કરી દીધી. મૃતદેહોને બલૂચિસ્તાનના બારખાન જિલ્લાના રેખની હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પ્રદેશ સરકારના પ્રવક્તા શાહિદ રિંદે આ હુમલાની નિંદા કરતાં તેને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. હુમલાખોરો રાત્રે હુમલો કર્યા બાદ ફરાર છે. તેમની તપાસ ચાલુ છે.
આ પણ વાંચોઃ હવે હું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની પાછળ પડીશ, કોઈને નહીં છોડું: ગડકરીની ચેતવણી
મુખ્યમંત્રીએ આકરી ટીકા કરી
મુખ્યમંત્રી મીર સરફરાજ બુગતીએ આ કૃત્યને 'ખુલા આતંકવાદ' ગણાવતાં કહ્યું કે, હુમલાખોરોએ જાણીજોઈને પાકિસ્તાનીઓની ઓળખ કરી માસૂમ નાગરિકોને ટાર્ગેટ બનાવ્યા છે. આતંકવાદીઓએ ફરી એકવાર પોતાનું ડરપોક વલણ બતાવ્યું છે. નિર્દોષોનું લોહી વ્યર્થ નહીં જાય. આ દેશ વિરૂદ્ધ યુદ્ધ છે. અને અમે તેનો મજબૂત અને નિર્ણાયક જવાબ આપીશું.
પાકિસ્તાનમાં જ આતંકી હુમલા વધ્યાં
આ હુમલાની સાથે સાથે આતંકવાદીઓએ ક્વેટા, લોરાલાઈ, મસ્તુંગમાં પણ ત્રણ આતંકી હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને સુરક્ષા દળો દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હોવાનો દાવો બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે કર્યો હતો. આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનો, સરકારી ઓફિસો, સુરક્ષા ચોકીઓ, બેન્કો અને સંચાર ટાવર્સને ટાર્ગેટ બનાવ્યા હતાં. બે દિવસ પહેલાં નવ જુલાઈએ પણ પાકિસ્તાનમાં આતંકવાદીઓ દ્વારા બે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતાં. ખૈબર પખ્તૂનખ્વાના બન્નુ જિલ્લામાં બે ડ્રોન વડે હુમલા થતાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે ત્રણ બાળક ઘાયલ થયા હતાં. આ ઈજાગ્રસ્તોમાં બે બાળક મૃતક મહિલાના હતાં. અગાઉ આ વર્ષે માર્ચમાં પણ જાફર એક્સપ્રેસ ટ્રેનને બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ હાઈજેક કરી હતી.








