- નવો બોમ્બ હિરોશીમા પર ફેંકેલા લીટલ બોય કરતાં ૨૪ ગણો વધુ ખતરનાક
- 360 કિલો ટનનો બી61-13 ગ્રેવિટી બોમ્બ લશ્કરી બન્કર્સ, સેંકડો કમાન્ડ સેન્ટરનો નાશ કરવા સક્ષમ
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના દેશોને ટેરિફની ધમકી આપીને આર્થિક યુદ્ધ શરૂ કરી દીધું છે. બીજીબાજુ રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્યપૂર્વમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધના પગલે વૈશ્વિક સ્તરે અશાંત પરિસ્થિતિ વચ્ચે અમેરિકાએ ન્યૂ મેક્સિકોમાં ચૂપચાપ નવા પરમાણુ બોમ્બ બી૬૧-૧૩ ગ્રેવિટી બોમ્બનું ઉત્પાદન વધારી દીધું છે. આ પરમાણુ બોમ્બ બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનના હિરોશિમા પર ફેંકવામાં આવેલા લીટલ બોયની સરખામણીમાં ૨૪ ગણો વધુ શક્તિશાળી છે. એટલે કે આ પરમાણુ બોમ્બ એક જ ઝાટકે અનેક જાપાનને ખતમ કરી નાંખવાની ક્ષમતા ધરાવે છે. અમેરિકાના આ પગલાંએ દુનિયાને ફરીથી શીતયુદ્ધની સ્થિતિમાં લાવી દીધી છે.
દુનિયાને પરમણુ બોમ્બ બનાવતા રોકવાનું જ્ઞાાન આપનારા અમેરિકાએ પોતે જ વિનાશક પરમાણુ બોમ્બનું ઉત્પાદન વધાર્યું છે. અમેરિકાના નેશનલ ન્યૂક્લિયર સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન (એનએનએસએ)ના અધિકારીઓએ જણાવ્યું કે, તેનો પરમાણુ કાર્યક્રમ સમય કરતા ઘણો વહેલો ચાલે છે. હકીકતમાં આ પરમાણુ બોમ્બનું ઉત્પાદન ૨૦૨૬માં શરૂ થવાનું હતું, પરંતુ રશિયા, ચીન અને ઈરાન સાથે વધતા સંઘર્ષને ધ્યાનમાં રાખતા અમેરિકાએ તેની ડેડલાઈન સાત મહિના આગળ લાવી દીધી છે.આ પરમાણુ બોમ્બ માત્ર ઝડપથી જ નથી બનાવાયો, પરંતુ તે અત્યંત વિનાશક પણ છે. બીજા વિશ્વ યુદ્ધમાં અમેરિકાએ હિરોશિમા પર નાંખેલો લીટલ બોય ૧૫ કિલો ટનનો હતો જ્યારે બી૬૧-૧૩ ૩૬૦ કિલો ટનનો છે. એટલે કે લીટલ બોય કરતાં ૨૪ ગણો વધુ શક્તિશાળી છે. નવો બોમ્બ આકાશમાંથી છોડવામાં આવતો ક્લાસિક ગ્રેવિટી બોમ્બ છે. પરંતુ તે આધુનિક ટેક્નોલોજીને ધ્યાનમાં રાખીને બનાવાયો છે.
એનએનએસએના પ્રવક્તાએ કહ્યું કે, એનએસએસએ બી૬૧-૧૩ પરમાણુ બોમ્બના પહેલા પ્રોડક્શન યુનિટને આ નાણાકીય વર્ષમાં પૂરી કરી લેશે, જે બી૬૧-૧૨ પરમાણુ ગુરુત્વાકર્ષણ બોમ્બની આધુનિક આવૃત્તિ છે. અમેરિકન પરમણુ ભંડારની વિશ્વસનીયતા અને પ્રભાવશીલતા સુનિશ્ચિત કરવા માટે સાત વોરહેડ આધુનિકીકરણ કાર્યક્રમોમાંથી એક બી૬૧-૧૩ કેટલાક મુશ્કેલ અને મોટા ક્ષેત્રના સૈન્ય લક્ષ્યો વિરુદ્ધ વધારાનો વિકલ્પ પૂરો પાડશે.
તેમણે ઉમેર્યું કે, એનએનએસએએ સંબંધિત બી૬૧-૧૨ કાર્યક્રમથી ઉત્પાદન પ્રક્રિયાનો લાભ ઉઠાવીને હથિયારની ડિલિવરીમાં ગતિ લાવી છે. આ કાર્યક્રમના અંતિમ એકમનું કામ ૨૦૨૪માં પૂરું કરી લેવાયું હતું. હવે ઉત્પાદનને અનુરૂપ અનેક ટેકનોલોજીકલ ઈનોવેશન્સ લાગુ કરાયા છે. બાઈડેન તંત્રના કાર્યકાળમાં વર્ષ ૨૦૨૩માં આ પરમાણુ બોમ્બ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. ૨૦૨૩માં અમેરિકન ડિફેન્સ વિભાગે કહ્યું હતું કે, બી૬૧-૧૩ બનાવવાનો આશય વિરોધીઓને રોકવાનો છે. ૨૦૨૨માં પરમાણુ બોમ્બ અંગેના એક સમીક્ષા અહેવાલમાં જણાવાયું હતું કે, ચીન અને રશિયા જેવા દેશ ખૂબ જ ઝડપથી પરમાણુ બોમ્બ બનાવી રહ્યા છે.
અમેરિકન સંરક્ષણ વિભાગે જણાવ્યું કે, આ બોમ્બ અમેરિકન પ્રમુખને વધુ હાર્ડ અને વધુ મોટા લશ્કરી ટાર્ગેટ્સને નિશાન બનાવવા સક્ષમ બનાવશે. એટલે કે આ બોમ્બ લશ્કરી બંકર્સને તોડી શકશે, સેંકડો કમાન્ડ સેન્ટર્સનો નાશ કરી શકશે અને ભયાનક અસરકારક્તા દ્વારા વિપરિત પરિસ્થિતિને બદલી શકશે. અધિકારીઓનું કહેવું છે કે તેઓ હાલમાં સમગ્ર યુરોપમાં નેટોના બેઝમાં રાખવામાં આવેલા બી૬૧-૧૨ જેવા જૂના મોડેલ્સને બી૬૧-૧૩થી રિપ્લેસ કરશે.
ચીન સહિત દુનિયાના દેશો પર ટેરિફ નાંખી આર્થિક પરમાણુ બોમ્બ નાંખવાની ટ્રમ્પની આક્રમક્તાએ વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય સંબંધોને વધુ તણાવપૂર્ણ બનાવી દીધા છે. ટ્રમ્પે ઈરાન પર બોમ્બમારાની ધમકી આપી છે. આ સિવાય ગાઝા મુદ્દે ટ્રમ્પની યોજનાઓ ખતરનાક છે. વધુમાં રશિયા-યુક્રેન યુદ્ધ નહીં અટકે તો ત્રીજા વિશ્વ યુદ્ધની પણ ટ્રમ્પે ચેતવણી આપી છે. આ પૃષ્ઠભૂમિમાં અમેરિકા ચીન અને રશિયા સામે પરમાણુ યુદ્ધની તૈયારી કરી રહ્યું હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
બી 61-13ના ઉપયોગથી ભારે વિનાશ સર્જાશે
બેઈજિંગ જેવા શહેરમાં 7.88 લાખ લોકોના તુરંત મોત થઈ શકે
- બે માઈલના વ્યાસમાં બચી જનારા લોકો રેડિયેશનથી બીમાર પડી શકે અને કેન્સરનો ભોગ બને તેવી આશંકા
વોશિંગ્ટન : દુનિયામાં અત્યારે ભૂ-રાજકીય તંગદિલીએ ફરી એક વખત દુનિયાને પરમાણુ યુદ્ધની કગાર પર લાવીને મૂકી દીધી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મધ્ય-પૂર્વ અને રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ મિનિટોમાં બંધ કરી દેવાની ક્ષમતાના દાવા છતાં આ યુદ્ધો ચાલુ છે. વધુમાં ટ્રમ્પે પોતે ચીન સહિત દુનિયાના અનેક દેશો સાથે આર્થિક યુદ્ધ છેડયું છે, જેના કારણે પણ વૈશ્વિક સ્તરે તણાવ વધ્યો છે.
યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદથી રશિયાએ તેના સૈન્યમાં પરમાણુ શસ્ત્રોનો સમાવેશ કર્યો છે અને તેની પરમાણુ નીતિમાં પણ ફેરફાર કર્યો છે. તેણે બેલારુસમાં ટેકટિકલ પરમાણુ શસ્ત્રો ગોઠવ્યા છે અને કોમ્પ્રીહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટીમાંથી પીછેહઠ કરી છે. તેણે અવકાશ આધારિત ન્યુક્લિયર પ્લેટફોર્મ્સના પણ સંકેત આપ્યા છે. અમેરિકાની નેશનલ ન્યુક્લિયર સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનના વહીવટકાર જિલ હર્બીએ જણાવ્યું હતું કે, ઝેપોરજિયાના પરમાણુ એકમ પર હુમલા જેવા પરમાણુ ઝોનમાં લડાઈએ સંભવિત વિનાશક પરિણામો અંગે દુનિયાની ચિંતા વધારી દીધી છે અને ૨૧મી સદીના યુદ્ધમાં નવા વિચારો રજૂ કર્યા છે. તેમણે નોંધ્યું કે, ચેર્નોબીલમાં રશિયાના આક્રમણ અને ઝેપોરજિયા પ્લાન્ટ પર રશિયાનો કબજો એ બાબતે ચેતવણી આપે છે કે પરમાણુ સ્થળો હવે યુદ્ધની મર્યાદા ક્ષેત્રની બહાર રહ્યા નથી.
અમેરિકા હવે તેના પોતાના એટોમિક ઉદ્યોગને બેઠો કરવા માગે છે. શીત યુદ્ધ પૂરું થયાના દાયકાઓ પછી અમેરિકાએ ફરીથી યુરેનિયમનું સંવર્ધન શરૂ કર્યું છે. મેનહટન યુગની ભાંગી પડેલી સુવિધાઓનું સમારકામ શરૂ કર્યું છે અને તેના શસ્ત્રાગારને જાળવવા માટે જરૂરી વિસ્ફોટકોનું ઉત્પાદન કરી રહ્યું છે. આવા સમયમાં નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે બી૬૧-૧૩નો ઉપયોગ થશે તો તેનાથી સર્જાનારો વિનાશ ભયાનક હશે. બેઈજિંગ જેવા શહેરમાં ૭.૮૮ લાખ લોકોના તુરંત મોત થઈ શકે છે, ૨૨ લાખ લોકોને ઈજા પહોંચી પહોંચી શકે છે અને રેડિયેશનના કારણે વધુ હજારો લોકોનાં મોત થઈ શકે છે. આ સિવાય બે માઈલ વ્યાસના વિસ્તારમાં જે લોકો બચી ગયા હશે તેઓ રેડિયેશનથી બીમાર થઈ શકે છે, જેમાંથી ૧૫ ટકા લોકોનાં કેટલાક વર્ષોમાં કેન્સરથી મોત થઈ શકે છે.
સૂત્રો મુજબ અમેરિકા પાસે ૫,૦૪૪ પરમાણુ શસ્ત્રો છે જ્યારે રશિયા પાસે અંદાજે ૫,૫૮૦ પરમાણુ શસ્ત્રો છે. આ બંને દેશ વિશ્વના કુલ પરમાણુ શસ્ત્રાગારમાં ૯૦ ટકા હિસ્સો ધરાવે છે. બીજીબાજુ ચીન પણ પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન વધારી રહ્યું છે. આથી શીત યુદ્ધ સમયે રશિયા અને અમેરિકાના દ્વિપક્ષીય પરમાણુ વિશ્વની જગ્યાએ હવે ચીનનો ઉમેરો થતાં ત્રી-પક્ષીય પરમાણુ વિશ્વ વધુ જટીલ બન્યું છે.


