World

એઆઈ નોકરીઓ નહીં છીનવે, કામ કરવાની પદ્ધતિ બદલશે : મોર્ગન સ્ટેન્લી

By GS TEAM
1 Mar 20262 mins read
એઆઈ નોકરીઓ નહીં છીનવે, કામ કરવાની પદ્ધતિ બદલશે : મોર્ગન સ્ટેન્લી

- અમેરિકન ઈન્વેસ્ટમેન્ટ બેંકનો આશાવાદ 

- કંપનીઓમાં ચીફ એઆઈ ઓફિસર, એઆઈ ગવર્નન્સ એન્ડ એથિક્સ એક્સપર્ટ જેવા નવા હોદ્દાઓ ઉમેરાશે 

- હેલ્થટેક અને કમ્પ્યુટેશનલ જીનેટિક્સ પ્રોફેશનલ્સ આરોગ્ય ક્ષેત્રે એઆઈ આધારિત નિદાન કરશે 

વોશિંગ્ટન : આટફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે લાખો લોકો બેરોજગાર થઈ જશે તેવી વૈશ્વિક ચિંતાઓ વચ્ચે અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેંક મોર્ગન સ્ટેનલીએ એક આશાવાદી અહેવાલ રજૂ કર્યો છે. રિપોર્ટ મુજબ, એઆઈ નોકરીઓ સમાપ્ત નહીં કરે, પરંતુ કામ કરવાની રીતમાં મોટું માળખાગત પરિવર્તન લાવશે. આવનારા સમયમાં એવી ઘણી ભૂમિકાઓ ઊભી થશે, જે આજે અસ્તિત્વમાં જ નથી. કર્મચારીઓએ તે માટે તૈયાર રહેવું પડશે.

રિપોર્ટમાં જણાવાયું છે કે વરાળ યંત્ર, વીજળી, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ જેવી ક્રાંતિકારી ટેકનોલોજી આવી ત્યારે પણ શરૂઆતમાં નોકરીઓ જવાની ભીતિ હતી. પરંતુ લાંબા ગાળે આ ટેકનોલોજીએ વધુ ઉચ્ચ કક્ષાની નોકરીઓ અને નવી તકો ઊભી કરી. એઆઈને કારણે પણ લેબર માર્કેટમાં ધડમૂળથી બદલાવ આવશે. 

મોર્ગન સ્ટેનલીના દાવા મુજબ, હવે આગામી દાયકાઓમાં કંપનીઓમાં નવી ભૂમિકાઓ વધી શકે છે. ચીફ એઆઈ ઓફિસર, એઆઈ ગવર્નન્સ એન્ડ એથિક્સ એક્સપર્ટ અને એઆઈ પર્સનલાઈઝેશન સ્ટ્રેટેજિસ્ટ જેવી નવી ભૂમિકાઓ ઊભી થશે. જ્યારે, હેલ્થટેક અને કમ્પ્યુટેશનલ જીનેટિક્સ પ્રોફેશનલ્સ આરોગ્ય ક્ષેત્રે એઆઈ આધારિત નિદાન કરશે. 

કર્મચારીઓને સીધા હટાવવાને બદલે કંપનીઓ તેમને નવી ભૂમિકા આપશે. ૨ થી ૧૦ વર્ષનો અનુભવ ધરાવતા મધ્યમ સ્તરના પ્રોફેશનલ્સ માટે રી-ટ્રેનિંગની તકો વધશે. એન્ટ્રી-લેવલ કર્મચારીઓ માટે શરૂઆતનો સમય પડકારજનક રહી શકે છે, કારણ કે પ્રાથમિક કાર્યો ઝડપથી ઓટોમેટ થઈ રહ્યા છે.એઆઈ અપનાવનાર કંપનીઓની ઉત્પાદનક્ષમતામાં સરેરાશ ૧૧.૫ ટકાનો વધારો થયો છે. પરંતુ, તેની સાથે જ વૈશ્વિક ભરતીમાં ૪ ટકાનો ઘટાડો નોંધાયો છે.