એઆઇ ડોક્ટરોની જગ્યા લઇ શકે પણ નર્સોની નહીં : ડેમિસ હસબિસ

- ગુગલ ડીપમાઇન્ડના સીઇઓનો મત
- એઆઇ મેડિકલ ડેટા, સ્કેન અને ટેસ્ટના પરિણામોનું માનવ ડોક્ટરોની સરખામણીમાં ઝડપથી અને વધુ ચોકસાઇથી વિશ્લેષણ કરી શકે છે
- ભાવનાત્મક ટેકો, શારીરિક સંભાળ, માનવીય સહાનુભૂતિ પૂરી પાડવાનું નર્સોનું કામ ટેકનોલોજી કરી શકે તેમ નથી
વોશિંગ્ટન : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) હેલ્થકેર સેક્ટરમાં ડોક્ટરોની જગ્યા લઇ શકે પણ નર્સોની નહીં તેમ ગુગલ ડીપમાઇન્ડના સીઇઓ ડેમિસ હસબિસ જણાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે એઆઇ મેડિકલ ડેટા, સ્કેન અને ટેસ્ટના પરિણામોનું માનવ ડોક્ટરોની સરખામણીમાં ઝડપથી અને વધુ ચોકસાઇથી વિશ્લેષણ કરી શકે છે અને નિદાન અને સારવાર આયોજનમાં તેમની જગ્યા લઇ શકે છે અથવા તેમની મદદ કરી શકે છે.
જો કે નર્સો ભાવનાત્મક ટેકો, શારીરિક સંભાળ અને માનવીય સહાનુભૂતિ પૂરી પાડે છે. જે ટેકનોલોજી કરી શકે તેમ નથી. રોબોટિક નર્સ કાર્યક્ષમ હોઇ શકે છે પણ દર્દીઓ સાથે ભાવાનાત્મક રીતે જોડાવાની ક્ષમતાનો અભાવ ધરાવે છે જે સંભાળનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.
આ ઉદાહરણ દર્શાવે છે કે જ્યારે આરોગ્ય સંભાળમાં એઆઇ ચોક્કસ બૌદ્ધિક કાર્યોને બદલી શકે છે ત્યારે ભાવાનાત્મક બુદ્ધિ પર આધાર રાખતા વ્યવસાયો માનવ કેન્દ્રિત રહેશે.
હસાબિસના મતે ભવિષ્યનું કાર્યસ્થળ માનવ અને એઆઇને સહયોગાત્મક રીતે એકીકૃત કરશે. એઆઇ ડેટા ભારે, પુનરાવર્તિત અને વિશ્લેષણાત્મક પ્રક્રિયાઓને હેન્ડલ કરશે.
જેનાથી માનવી સર્જનાત્મક સમસ્યા નિરાકરણ, ભાવનાત્મક ક્રિયા પ્રતિક્રિયા અને નેતૃત્ત્વ ભૂમિકાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ પરિવર્તન માટે સરકારો અને ઉદ્યોગોને એઆઇ સંચાલિત વાતાવરણ માટે કામદારોને તૈયાર કરવા માટે પુન:કુશળતા કાર્યક્રમોમાં ભારે રોકાણ કરવાની જરૂર પડશે.








