બોઇંગનો કુખ્યાત ઇતિહાસ: 6 હજાર અકસ્માત, 9 હજાર મોત, અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ફરી ઉઠ્યા સવાલ
Ahmedabad plane crash : અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થઈ જતાં વિમાનમાં સવાર 241 લોકો માર્યા ગયાના સમાચાર છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં બે પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર અને 230 મુસાફરોનો સમાવેશ થાય છે. જેમાંથી માત્ર એક જ મુસાફર જીવતો બચી શક્યો. ક્રેશ થનાર વિમાન બોઇંગ કંપનીનું ‘ડ્રીમલાઇનર 787’ હતું. આ કંઈ પહેલો કિસ્સો નથી જ્યારે બોઇંગ વિમાન ક્રેશ થયું હોય. આ અગાઉ પણ બોઇંગ વિમાનો ઘણી વખત ક્રેશ થયા છે, જેને લીધે આ વિમાનની સલામતી બાબતે પ્રશ્નો ઊઠી રહ્યા છે.
તાજેતરના વર્ષોમાં ક્રેશ થયેલા બોઇંગ વિમાનો
- 29 ઑક્ટોબર, 2018ના રોજ ઇન્ડોનેશિયામાં બોઇંગ 737ની ‘લાયન એર ફ્લાઇટ 610’ ટેક ઑફ પછી તરત જ જાવા સમુદ્રમાં ક્રેશ થતાં 189 લોકોના મોત થયા હતા.
- 10 માર્ચ 2019ના રોજ બોઇંગ 737 મેક્સ 8 વિમાને ઈથોપિયાના બોલે ઇન્ટરનેશનલ ઍરપોર્ટથી કેન્યાના નૈરોબી જવા ઉડાન ભરી હતી. ટેક ઑફની છ મિનિટ પછી તે ક્રેશ થઈ જતાં તેમાં સવાર તમામ 149 મુસાફરો અને 8 ક્રૂ સભ્યો મૃત્યુ પામ્યા હતા.
- 5 જાન્યુઆરી, 2024ના રોજ અમેરિકાના પોર્ટલૅન્ડ ઇન્ટરનેશનલ ઍરપોર્ટથી ઉડેલી બોઇંગ 737 ફ્લાઇટના વિમાનનો દરવાજાનો પ્લગ તૂટી જતાં વિમાનની અંદરનું દબાણ ખોરવાઈ ગયું હતું, જેને લીધે વિમાનને તાત્કાલિક લેન્ડ કરાવવું પડ્યું હતું. આ અકસ્માતમાં કોઈ જાનહાની નહોતી થઈ, પણ એ ગંભીર ક્ષતિએ બોઇંગના લેટેસ્ટ વિમાનોની સલામતી બાબતે પ્રશ્નો સર્જ્યા હતા.
આ તો થયા અત્યાધુનિક બોઇંગ 737 વિમાનોના અકસ્માત. હવે જોઈએ બોઇંગના અન્ય કેટલાક ગંભીર અકસ્માતોની વિગતો.
- 3 મે, 2025ના રોજ બોઇંગનું કેન્યાથી ઉડેલું વિમાન સુદાનના ન્યાલા ઍરપોર્ટ પર તૂટી પડતાં 20 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
- 29 ડિસેમ્બર, 2024ના દિવસે બોઇંગની ‘જેજુ એર ફ્લાઇટ 2216’ દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર અકસ્માતગ્રસ્ત થઈ હતી. એ દુર્ઘટનામાં ‘બેલી લેન્ડિંગ’ થતાં વિમાન કોંક્રીટના પાળા સાથે અથડાયું હતું, જેના કારણે વિમાનમાં સવાર 181 માણસોમાંથી 179 માર્યા ગયા હતા.
- 9 જાન્યુઆરી, 2021ના દિવસે બોઇંગની ‘શ્રીવિજયા એર ફ્લાઇટ 182’એ ઇન્ડોનેશિયાના જકાર્તાથી ઉડાન ભરી હતી. 10,900 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી એન્જિનમાં ખરાબી સર્જાતાં વિમાન તૂટી પડ્યું હતું અને 62 લોકોના મોત થયા હતા.
- 19 માર્ચ, 2016ના રોજ ‘ફ્લાય દુબઈ ફ્લાઇટ 981’ દુબઈથી રશિયા જઈ રહી હતી ત્યારે ખરાબ હવામાનને કારણે ક્રેશ થઈ ગઈ, જેમાં વિમાનમાં સવાર તમામ 62 લોકો માર્યા ગયા.
આ ઉપરાંત પણ ભૂતકાળમં બોઇંગ વિમાનોને ખૂબ અકસ્માત થયા હતા, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.
અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરીનું નિવેદન:
બોઇંગના વિમાનોમાં શું ખામી છે?
અત્યાધુનિક ટૅક્નોલૉજીથી સજ્જ બોઇંગ 737 મેક્સ વિમાનો પણ ક્રેશ થઈ રહ્યા હોવાથી તેની તપાસ કરવામાં આવી ત્યારે ‘મેન્યુવરિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓગમેન્ટેશન સિસ્ટમ’ (MCAS) સંબંધિત સમસ્યા બહાર આવી હતી. આ સિસ્ટમના ઉપયોગથી મેન્યુઅલ લેન્ડિંગ પરની નિર્ભરતા ઓછી થઈ ગઈ હતી, પણ પાયલટ્સને તેના વિશે વધુ માહિતી આપવામાં આવી ન હતી. 2018ના ઇન્ડોનેશિયાના અને 2019ના બોઇંગ 737 વિમાન અકસ્માત બાદ આ શ્રેણીના વિમાનોનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું. એ પછી તેને અપડેટ કરીને બોઇંગ 737-800ના નામથી કાર્યરત કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ક્રેશ થયેલું વિમાન બોઇંગનું 787 ડ્રીમલાઇનર છે. વિમાનનું બ્લેક બોક્સ મળ્યા પછી જ આ અકસ્માત પાછળનું કારણ જાણી શકાશે.
9000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા
અમદાવાદ બોઇંગ અકસ્માત પહેલાના આંકડા જોઈએ તો આજ સુધીમાં બોઇંગ વિમાનોને વિશ્વભરમાં લગભગ 6,000 અકસ્માત નડ્યા છે. અલબત્ત, તમામ અકસ્માતમાં લોકોએ જીવ નહોતા ગુમાવ્યા, પણ જીવલેણ નીવડી શકે એવી નાનીમોટી ટેકનિકલ ક્ષતિઓ સર્જાતાં બોઇંગ વિમાનોની સલામતી બાબતે પ્રશ્નો ઉઠતાં રહ્યા છે. બોઇંગને નડેલા અકસ્માતો પૈકીના 415 જીવલેણ સાબિત થયા છે જેમાં 9,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. વિશ્વભરમાં ઉડતા હજારો પેસેન્જર વિમાનોમાંથી ઓછામાં ઓછા 4000 વિમાન બોઇંગ 737 છે.
વીડિયોથી સમજો અમદાવાદમાં કેવી રીતે થયું પ્લેન ક્રેશ: