World

અફઘાનિસ્તાન અત્યારે ભારતની પ્રોક્ષી વોર લડી રહ્યું છે : આસીફ

By GS TEAM
17 Oct 20252 mins read
અફઘાનિસ્તાન અત્યારે ભારતની પ્રોક્ષી વોર લડી રહ્યું છે : આસીફ

- દોષારોપણ કરવાની પાકને જૂની આદત છે : ભારત

- જીયો ન્યૂઝને આપેલી મુલાકાતમાં પાક. સંરક્ષણ મંત્રીએ કહ્યું : એ આશંકા છે કે અફઘાન સાછે યુદ્ધ વિરામ નહીં ટકે, ભારત નહીં થવા દે

ઇસ્લામાબાદ : પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ જીયો ન્યૂઝને આપેલી મુલાકાતમાં અંદરથી ભારત ઉપર ધૂંધવાઈ રહેલા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે પાક. અફઘાન યુદ્ધ અંગે કહી દીધું કે મનને તો આ યુદ્ધ વિરામ પણ કેટલો ટકી શકશે તે અંગે પૂરી આશંકા છે. કારણ કે તે ભારત થવા જ નહીં દે (અફઘાન) તાલિબાનોના નિર્ણયો તો નવી દિલ્હીથી લેવાય છે. હકીકતમાં તો અત્યારે કાબુલ દિલ્હી માટે પ્રોક્ષી વોર લડી રહ્યું છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાને તેમની વચ્ચેનાં યુદ્ધમાં ટૂંકા સમયનો શીઝ ફાયર સ્વીકાર્યા પછી પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ તે યુદ્ધ વિરામ ટકી શકવા અંગે પણ શંકા દર્શાવી હતી. આમ અફઘાનિસ્તાન સામેનાં યુધ્ધમાં ભારતને પણ સંડોવી પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ નવો વિવાદ ઊભો કરી દીધો છે.

આ અંગે ભારતનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા સુધીર જયસ્વાલે કહ્યું હતું કે દોષનો ટોપલો બીજા ઉપર નાખવાની પાકિસ્તાનને જૂની આદત છે. વાસ્તવમાં તે પોતાના દેશમાં જ વ્યવસ્થા સંભાળી શક્તું નથી, તેથી બીજા પર દોષારોપણ કરે છે. અમારે પાકિસ્તાન અફઘાનિસ્તાન યુદ્ધ સાથે કોઈ લેવા દેવા નથી.

બીજી તરફ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ સામા ટીવીને તેમ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાન સામેનાં અમારાં યુદ્ધમાં ભારત અનૈતિક ભૂમિકા ભજવી રહ્યું છે.

જ્યારે એન્કરે તેઓને પૂછ્યું કે ભારત પણ અફઘાનિસ્તાન સાતે સંઘર્ષ ચાલે છે ત્યારે સરહદે આક્રમણ કરે તો તમો શું કરશો ? ત્યારે તેના જવાબમાં આસીફે કહ્યું હતું કે અમે બંને મોરચે લડવા માટે સેનાને તૈનાત કરી જ દીધી છે અને તે વિષે કયો વ્યૂહ ઘડવો તેની ચર્ચા પણ મેં વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે કરી લીધી છે પરંતુ સંરક્ષણનાં કારણોસર જ અત્યારે તે વ્યૂહ જાહેર કરાય નહીં.

તેઓએ તે સાથે આ યુદ્ધ વિરામ કેટલો ટકશે તે અંગે પણ આશંકા દર્શાવી હતી.

ટૂંકમાં પાકિસ્તાન પોતાની ક્ષતિઓ છાવરવા ભારત ઉપર દર વખતે દાયકાઓથી દોષારોપણ કરી રહ્યું છે. સાથે ગમે તયાં ગમે ત્યારે કાશ્મીર પ્રશ્ન જે હવે પ્રશ્ન રહ્યો જ નથી તે પણ ઉછાળવાનું તેને વ્યસન થઇ ગયું છે. દુનિયાના સમજૂ દેશો તો પાકિસ્તાનના અધિકારીઓ કે પદાધિકારીઓ કે મંત્રીઓનાં કાશ્મીર રાગથી કંટાળી ગયા છે તેમ વિશ્લેષકોનું સ્પષ્ટ મંતવ્ય છે.