(પીટીઆઇ) કીવ,
તા. ૨૫
રશિયાએ સમગ્ર રાત યુક્રેનની રાજધાની કીવની ઇમારતો અને
એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર કરેલા હુમલામાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયા છે. બીજી
તરફ યુક્રેને કરેલા હુમલામાં દક્ષિણ રશિયામાં ત્રણ લોકોનાં મોત થયા છે અને મકાનોને
નુકસાન થયું છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
આ હુમલા એવા સમયે થઇ રહ્યાં છે જ્યારે અમેરિકા લગભગ ચાર
વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા અને અમેરિકાની શાંતિ યોજના પર મંત્રણા માટે
ફરીથી પ્રયત્ન કરી રહ્યું છે.
એક અમેરિકન અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે આર્મી
સેક્રેટરી ડેન ડ્રિસ્કોેલે અબુ ધાબીમાં રશિયન અધિકારીઓ સાથે કલાકો સુધી મંત્રણા
કરી હતી.
ઉલ્લેખનીય છે કે ડ્રિસ્કોલ બે સપ્તાહથી પણ ઓછા સમય પહેલા
અમેરિકાની મંત્રણા માટેની ટીમમાં સામેલ થયા હતાં. જો કે હવે તે શાંતિ સમજૂતી સાથે
જોડાયેલી શરતો અંગેની મંત્રણાનું નેતૃત્ત્વ કરી રહ્યાં છે.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ સોમવાર મોડી રાતે જણાવ્યું
હતું કે જિનિવામાં રવિવારે અમેરિકા અને યુક્રેનનાં ડેલિગેટ્સ વચ્ચે થયેલી મંત્રણા
પછી યુદ્ધનો અંત લાવવા માટે જરૃરી પગલાઓની યાદી બનાવવી શક્ય બની છે. તેમણે
જણાવ્યું હતું કે તે બાકીના સંવેદનશીલ મુદ્દાઓ પર ટ્રમ્પ સાથે વાત કરવાની યોજના
બનાવી રહ્યાં છે.
ઝેલેન્સ્કીએ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે રશિયાએ સમગ્ર
કરેલા હુમલામાં ૨૨ મિસાઇલો અને ૪૬૦ ડ્રોન છોડયા હતાં. આ હુમલાઓને કારણે કીવનાં
કેટલાક વિસ્તારોમાં પાણી અને વીજળી પુરવઠો ખોરવાઇ ગયો હતો. જેના કારણે શહેરની હીટ
સિસ્ટમમાં પણ અવરોધ ઉભો થયો હતો.
યુક્રેનના ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર રશિયાના હુમલાથી
એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચરને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જો કે તેમણે આ અંગેની
વધુ વિગતો આપી ન હતી.


