સૌર જ્વાળાની પ્રચંડ થપાટથી સ્ટારલીન્કના 523 સેટેલાઇટ્સ વેરવિખેર થઇ ગયા
2020થી 2024 દરમિયાન સૂર્યમાં થયેલા કલ્પનાતીત ખળભળાટથી ભયાનક સૌર જવાળાઓ પૃથ્વી સુધી આવી હતી
અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના વિજ્ઞાાની ડેન્ની ઓલીવેરા દ્વારા થયેલા ગહન અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે ૨૦૨૦ થી ૨૦૨૪ના સમયગાળા દરમિયાન સૂર્ય તેની ૧૧ વર્ષની સોલાર સાયકલને કારણે અતિ અતિ ક્રોધાયમાન થઇ ગયો હતો. સૂર્યની વિરાટ થાળી પરથી ભયાનક સૌરજ્વાળાઓ આખા બ્રહ્માંડમાં ફેંકાઇ હતી. સૂર્યની ૧૧ વર્ષની સાયકલ દરમિયાન તેના ઉત્તર ધુ્રવ અને દક્ષિણ ધુ્રવ બંને ઉલટાઇ જાય છે. સરળ રીતે સમજીએ તો સૂર્યનો ઉત્તર ધુ્રવ ઉલટાઇને દક્ષિણ ધુ્રવ બની જાય અને દક્ષિણ ધુ્રવ ઉલટાઇને ઉત્તર ધુ્રવ બની જાય. આવી અતિ અતિ ભયાનક ગતિવિધિને કારણે સૂર્યમાં પણ કલ્પનાતીત ખળભળાટ થાય. હાલ સૂર્યની ૨૫ મી સાયકલની કુદરતી પ્રક્રિયા થઇ રહી છે.
આમાંની અમુક સૌર જ્વાળાઓ તો છેક પૃથ્વી સુધી પણ આવી ગઇ હતી. ભયાનક સૌર જ્વાળાની પ્રચંડ થપાટથી પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં સ્ટારલીન્કના ગોળ ગોળ ફરતા ૫૨૩ સેટેલાઇટ્ને ગંભીર નુકસાન થયું છે. એક સાથે આટલા બધા સેટેલાઇટ્સ તેની નિશ્ચિત ભ્રમણકક્ષામાંથી બહાર ફેંકાઇ ગયા છે. આ તમામ સેટેલાઇટ્સની કામગીરી ખોરવાઇ ગઇ છે. સ્પેસએક્સ દ્વારા અત્યારસુધીમાં ૮,૮૭૩ સેટેલાઇટ્સ તરતા મૂકાયા છે, જેમાંથી ૭,૬૬૯ સેટેલાઇટ્સ કાર્યરત છે.
એક સાથે ૫૨૩ સેટેલાઇટ્સ નિષ્ક્રિય થઇને પૃથ્વીના વાતાવરણમાં આવી જાય તો તેની ભારે ઘેરી અસર પણ થાય. આવા નિષ્ક્રિય સેટેલાઇટ્સ છેવટે તો સ્પેસ જંક(અંતરીક્ષમાંનો કચરો) બનીને પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં જમા થઇ જાય. વિશ્વના અન્ય દેશના સેટેલાઇટ્સ અને અવકાશયાનની ગતિવિધિમાં અવરોધ સર્જાય. ગંભીર અકસ્માત થવાનું જોખમ સર્જાય.