ઉત્તર કોરિયામાં લોકો શા માટે ઘરમાં થઇ રહ્યાં છે કૈદ? તાનાશાહે લગાવ્યુ લોકડાઉન?
Updated: Jan 25th, 2023
![]() |
નવી દિલ્હી, તા.25 જાન્યુઆરી 2023, બુધવાર
ઉત્તર કોરિયામાં આ વખતે એક વિચિત્ર રહસ્યમય બીમારીએ દસ્તક આપી છે, જેના કારણે લોકો હવે પોતાના ઘરોમાં કેદ થઇ રહ્યા છે. આ દિવસોમાં ઉત્તર કોરિયામાં શ્વાસ સંબંધી રોગોથી પીડિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ જ કારણ છે કે કિમ જોંગ ઉનની સરકારે એડવાઈઝરી જારી કરીને રાજધાનીમાં પાંચ દિવસ માટે લોકડાઉન લગાવી દીધું છે.
મળતી માહિતી પ્રમાણે ઉત્તર કોરિયાની સરમુખત્યાર સરકારે પોતાની એડવાઈઝરીમાં લોકોને રવિવાર સુધી ઘરમાં રહેવા અને દિવસમાં ઘણી વખત તાપમાન તપાસવા અને રેકોર્ડ રાખવા જણાવ્યું છે. શ્વાસની સમસ્યાથી પીડિત દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારી સૂચના અનુસાર, ઉત્તર કોરિયાના સત્તાવાળાઓએ શ્વસન સંબંધી બિમારીના વધતા કેસોને કારણે પ્યોંગયાંગના રહેવાસીઓ માટે પાંચ દિવસનો લોકડાઉન આદેશ જારી કર્યો છે. લોકડાઉન બુધવારથી શરુ થયો છે.આ આદેશ જારી થયા પછી તરત જ, લોકો બજારોમાં દોડી આવ્યા હતા અને આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ કરતા જોવા મળ્યા હતા. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, લોકોએ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, પ્યોંગયાંગના રહેવાસીઓ લોકડાઉનની આગોતરી ચેતવણી મળ્યા બાદ સામાનનો સ્ટોક કરતા જોવા મળ્યા હતા. નવી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, રાજધાનીમાં હાલમાં ફેલાતી બીમારીઓમાં સામાન્ય શરદીનો સમાવેશ થાય છે, પરંતુ તેમાં કોરોનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, રહેવાસીઓએ રવિવાર સુધી તેમના ઘરમાં રહેવું પડશે અને દિવસમાં ઘણી વખત તાપમાન તપાસવું પડશે. જો કે, તે સ્પષ્ટ નથી કે અન્ય શહેરોને પણ લોકડાઉન હેઠળ મૂકવામાં આવી રહ્યા છે અને રાજ્યની મીડિયાએ હજુ સુધી નવા પગલાં જાહેર કર્યા નથી.