World

5.7ના ભૂકંપે બાંગ્લાદેશમાં મચાવી તબાહી, 10ના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત, મકાનો ધરાશાયી

By GS TEAM
22 Nov 20252 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને તેની આસપાસના વિસ્તારો શુક્રવારે સવારે 5.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યા હતા. આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને 10 પર પહોંચી ગયો છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ (એપિસેન્ટર) ઢાકાથી લગભગ 13 કિલોમીટર દૂર આવેલા નરસિંગડીમાં નોંધાયું હતું, જ્યાં સૌથી વધુ નુકસાન થયું છે. આ ભૂકંપના આંચકા ભારતના પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરા સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં પણ અનુભવાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

5.7ના ભૂકંપે બાંગ્લાદેશમાં મચાવી તબાહી, 10ના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત, મકાનો ધરાશાયી

Bangladesh earthquack News : બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને તેની આસપાસના વિસ્તારો શુક્રવારે સવારે 5.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યા હતા. આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને 10 પર પહોંચી ગયો છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ (એપિસેન્ટર) ઢાકાથી લગભગ 13 કિલોમીટર દૂર આવેલા નરસિંગડીમાં નોંધાયું હતું, જ્યાં સૌથી વધુ નુકસાન થયું છે. આ ભૂકંપના આંચકા ભારતના પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરા સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં પણ અનુભવાયા હતા.



બાંગ્લાદેશમાં વિનાશ અને દહેશતનો માહોલ

શુક્રવારે સવારે સ્થાનિક સમય મુજબ 10:38 વાગ્યે આવેલા આ ભૂકંપને કારણે ભારે અફરા-તફરી મચી ગઈ હતી. ગભરાયેલા લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર રસ્તા પર દોડી આવ્યા હતા.



ક્યાં-ક્યાં થયા મોત?

ઢાકામાં 4, ભૂકંપના કેન્દ્રબિંદુ નરસિંગડીમાં 5 અને નારાયણગંજમાં 1 વ્યક્તિનું મોત થયું છે. ઢાકાના બોંગશાલ વિસ્તારમાં એક પાંચ માળની ઇમારતની રેલિંગ તૂટીને નીચે ચાલી રહેલા ત્રણ લોકો પર પડતાં તેમના મૃત્યુ થયા હતા. જ્યારે ઢાકાના ઔદ્યોગિક વિસ્તાર ગાઝીપુરમાં, ફેક્ટરીઓમાં કામ કરી રહેલા મજૂરો ભૂકંપના આંચકા દરમિયાન ઇમારતોમાંથી બહાર ભાગતી વખતે થયેલી ભાગદોડમાં 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

સ્થાનિકોએ વર્ણવી આપવીતી 

ઢાકાના એક રહેવાસીએ જણાવ્યું, "અમે જોરદાર આંચકો અનુભવ્યો. ઇમારતો વૃક્ષોની જેમ હલી રહી હતી. બધા એક સાથે નીચે ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી લોકો સીડીઓમાં ફસાઈ ગયા હતા. બાળકો રડી રહ્યા હતા, દરેક જણ ડરી ગયું હતું."

ભારતના પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ અસર

આ ભૂકંપની અસર ભારતમાં પણ જોવા મળી હતી. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સવારે 10:10 વાગ્યે (ભારતીય સમય) લોકોએ આંચકા અનુભવ્યા હતા અને સાવચેતીના ભાગરૂપે તેઓ ઘરો અને ઓફિસોમાંથી બહાર આવી ગયા હતા. આ ઉપરાંત, આસામના ગુવાહાટી, ત્રિપુરાના અગરતલા અને મેઘાલયના શિલોંગમાં પણ ભૂકંપની અસર અનુભવાઈ હતી. જોકે, અધિકારીઓએ જણાવ્યું કે ભારતમાં કોઈ મોટા નુકસાન કે જાનહાનિના સમાચાર નથી.

ટેસ્ટ મેચ રોકવી પડી, સરકારની શાંતિની અપીલ

ભૂકંપ સમયે ઢાકામાં ચાલી રહેલી બાંગ્લાદેશ-આયર્લેન્ડ ટેસ્ટ મેચને પણ થોડી મિનિટો માટે રોકવી પડી હતી. જોકે, સ્ટેડિયમમાં કોઈ નુકસાન થયું ન હતું. બાંગ્લાદેશના વચગાળાના પ્રશાસનના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે સરકાર નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.