પાકિસ્તાનમાં ભૂકંપનો લાભ લઈ હાઈ સિક્યોરિટી જેલમાંથી 216 કેદી ફરાર, ફાયરિંગની નોબત આવી
Karachi News : પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો જેનો ફાયદો ઉઠાવીને કરાચી જેવા શહેરની અતિ સુરક્ષાવાળી જેલમાંથી 216 કેદીઓ ભાગી ગયા હતા. કેદીઓને પકડવા માટે પોલીસે ગોળીબાર કરવો પડયો હતો જેમાં એક કેદીનું મોત નિપજ્યું હતું. એક સાથે 216 કેદીઓ ભાગી જતા જેલ પ્રશાસન અને પોલીસ વિભાગ દોડતા થઇ ગયા હતા. ભાગી ગયેલા 216 કેદીઓમાંથી માંડ 80 જેટલા કેદીઓને જ પોલીસ પકડી શકી હતી, જ્યારે અન્ય કેદીઓ હજુ પણ ફરાર છે.
પાકિસ્તાનના કરાચી જિલ્લાની માલિર જેલમાંથી રવિવારે મોડી રાત્રે એક સાથે 216 કેદીઓ ભાગી ગયા હતા, કરાચીમાં ભૂકંપના અનેક નાના મોટા આંચકા આવ્યા હતા, આ દરમિયાન જેલમાં કેદ આશરે 600 કેદીઓને તેમની બેરેકમાંથી બહાર કઢાયા હતા કે જેથી તેમને ભૂકંપ સમયે ઇમારતો પડે તો બચાવી શકાય. જોકે એક સાથે આટલી મોટી સંખ્યામાં કેદીઓ બહાર આવતા જેલમાં અફરા તફરી ફેલાઇ ગઇ હતી, જેનો ફાયદો ઉઠાવીને 216 કેદીઓ દિવાલો કૂદીને ભાગી ગયા હતા.
આ દરમિયાન ભાગી રહેલા કેદીઓને પકડવા માટે જેલના અધિકારીઓએ ગોળીબાર કર્યો હતો જેમાં એક કેદીનું મોત નિપજ્યું હતું, જ્યારે અર્ધ સૈન્ય દળના ત્રણ સૈનિકો અને જેલના એક અધિકારી ઘાયલ થયા હતા. અફરા તફરીમાં 80 જેટલા કેદીઓને પકડી લેવાયા છે જ્યારે 135 કેદીઓ હજુ પણ ફરાર છે. આ માહિતી જેલના સુપ્રિટેન્ડન્ટ અર્શદ શાહે પાકિસ્તાની મીડિયાને આપી હતી. સિંધના ગૃહ મંત્રી ઝિયા ઉલ હસને કહ્યું હતું કે તાજેતરના વર્ષોમાં આ સૌથી મોટો જેલબ્રેક કાંડ છે.
જે પણ કેદીઓ હાલ ફરાર છે તેમની ઓળખ કરી લેવામાં આવી છે. જ્યારે ભૂકંપના આંચકા આવ્યા ત્યારે આ જેલમાં આશરે 6000 જેટલા કેદીઓ કેદ હતા જેમાં મોટા ભાગના ડ્રગ્સ સાથે જોડાયેલા કેસોના આરોપીઓ કે દોષિતો છેે. રવિવારથી ૨૪ કલાક સુધી કરાચીમાં ભૂકંપના આશરે 16 જેટલા આંચકા આવ્યા હતા. જેને કારણે કેદીઓને બેરેકમાંથી બહાર કાઢવા પડયા હતા. જે પણ કેદીઓ નાસી છૂટયા છે તેમાં ઘણા ખુંખાર હોવાના રિપોર્ટ છે.