Get The App

રજપૂત રણસંગ્રામમાં મોતને મોજ માને, તેમ હું માનવતાના મહાસંગ્રામમાં ખપી જઈશ !

- પહેલાં ચલાવો મારી ડોક પર તલવાર, પછી કરો પશુસંહાર !

Updated: Jun 4th, 2020

GS TEAM

Google News
Google News
રજપૂત રણસંગ્રામમાં મોતને મોજ માને, તેમ હું માનવતાના મહાસંગ્રામમાં ખપી જઈશ ! 1 - image

ગમસે યે ખુશીકા હૈ સફર બહેતર,

અંધેરે સે ઉજાલે કા દિયા હૈ બહેતર,

રોને સે હસને કા ઇરાદા હૈ બહેતર,

મરને સે જિનેકા જોશ હૈ બહેતર.

રાજા વિશળદેવે કોઠારો ખોલાવ્યા. એમાં તામ્રપત્રની તકતી હતી; લખ્યું હતું કે, 'આ કણ ગરીબો માટે છે.'

આકાશ વાદળછાયું છે. રિમઝિમ રિમઝિમ વરસાદ સાથે મોરલા ટહુકાર સંભળાય છે અને ધરતી આખી લીલીછમ છે. કળાયલ કચ્છ પ્રદેશના ભદ્રેસર ગામમાં મળેલી એક સભામાં નગરના મહાનુભાવો બેઠા છે.

સભાને આચાર્ય પરમદેવસૂરિ ગુરુ પ્રશ્ન કરે છે: 'જગડૂશા ! દિલ તો છે, પણ એમાં દયા નથી, તો એ કેવું કહેવાય ?'

જગડૂશા ઉત્તર આપે છે: 'ગુરુદેવ ! પાણી વિનાના કૂવા જેવું.'

પરમ ગુરુ આગળ પ્રશ્ન કરે છે: 'લક્ષ્મી છે, પણ દાનની ભાવના નથી, એ કેવું કહેવાય ?'

જગડૂશા કહે છે: 'ગુરુજી ! તુંબડીમાંના કાંકરા જેવું.'

ગુરુદેવ બોલે છે: 'સરસ ! પણ વાણીને અનુરૂપ વર્તન કરી બતાવવું ખૂબ આકરું છે. આવનારા સમયનો વિચાર કરું છું, ત્યારે મારું મન ભારે થઈ જાય છે.'

જગડૂશા બોલ્યા, 'ભારે કેમ થઈ જાય, પ્રભુ ? રોજ નવકાર મંત્ર ભણું છું. બે નમસ્કાર પ્રભુને અને ત્રણ નમસ્કાર ગુરુને કરું છું. ગુરુ વચનમાં મને ઇતબાર છે. આપ નોંધી લો સંસારનો જીવમાત્ર મારો મિત્ર છે. જગડૂશા ભલે જગતનો કુબેર ભંડારી લેખાતો હોય, પણ એને મન અને ધન એ તો હાથનો મેલ છે. જે કહેવું હોય તે ગુરુદેવ ખુલ્લા દિલે કહો.'

ગુરુ બોલ્યાં, 'કહેવાનું તો ઘણું છે, પણ જગડૂશા ! એક તરફ લાખોની સેના હોય અને બીજી તરફ સો- બસો શૂરો સિપાહીઓ હોય, ત્યારે શું કરવું ?'

જગડૂશા ગોઠણભેર ખડા થઈ ગયા, બોલ્યા: 'મહારાજ ! એ સમયે કેસરિયાં કરવાં ગમે તેમ કરીને ધર્મને જાળવવો ! માણસ તો દયા, દાન ને દૈવતથી શોભે છે.'

પરમ ગુરુ કહે, 'ધન્ય જગડૂશા ! મારી જે વાત છે, તે હવે કહું છું. મારી આંખો ભવિષ્ય પર મંડાયેલી છે. હું જોઉં છું કે પૂરા એક હજાર દિવસનો કારમો દુકાળ આ દેશ માથે આવી રહ્યો છે ! આવનારા વિ.સં. ૧૩૧૩, ૧૩૧૪ અને ૧૩૧૫ના વર્ષોમાં ઉપરાઉપરી દુષ્કાળની આફત ત્રાટકશે અને ઘાસનું તણખલું ય નહિં ઊગે. અન્નનો કણ પણ નહીં મળે ! પેટની આગ પ્રચંડ હશે. પેટ કાજે જે માણસ પેટનાં છોકરાં વેચશે, ન ખાવાનું - અખાજ ખાશે.'

જગડૂશા બોલ્યા, 'તો આજ્ઞાા કરો ગુરુદેવ ! રાજાને ખબર કરીએ. એમને સાવધ કરીએ. અન્ન ભંડારો ભરવા વિનંતી કરીએ. એ પાણી પહેલા પાળ બાંધે.'

પરમ ગુરુ બોલ્યા:'આમાં રાજા શું કરે ? એ હાથમાં તલવાર લઈને ઘૂમે, હોય તેટલું અન્ન ભંડારમાંથી આપે. પછી સેના દોડાવે, ભૂખમરાથી લૂંટફાટ કરતા લોકોને અટકાવે, સખત દંડ કરે. પણ પ્રજાનું પેટ એથી ભરાય નહિ. દુકાળનાં ઘૂઘવતા પૂર સામે પાળ બાંધવાનું કામ એનું નહિ !'

જગડૂશાએ પૂછ્યું: 'તો શું કરીએ, ગુરુદેવ ? કંઈ માર્ગ સૂઝાડો ?'

ગુરુ કહે: 'જગડૂશા ! આ કામ થાય તો તમારાથી થાય, તમારા મહાજનથી થાય. આજથી અન્નના કણનો સંગ્રહ કરવા માંડો. અન્નનો બગાડ અટકાવો અને બને તેટલો બચાવ કરો. પૂરાં ત્રણ વર્ષ સુધી પાણી નહિ પડે. અન્ન નહિ ઉગે. એવે વખતે ભેગું કરી રાખેલું અનાજ કામ લાગશે, માટે કંચન કાઢીને પણ કણ સંગ્રહો.'

શાહસોદાગર જગડૂશા ઉભો થયો, હાથ જોડીને બોલ્યો, 'ચિંતા ન કરશો. મારી પેઢીઓ ચીન- ઇરાન સુધીની પહોંચ ધરાવે છે. દરિયામાં મારા હજારો વહાણો ચાલે છે; લાખો પોઠિયા દેશપરદેશ ખેડે છે. જે ભાવે મળે તે ભાવે અનાજના કણ સંઘરવા હુકમ આપું છું, ને જ્યાંથી ખરીદે ત્યાંજ એના ભંડાર કરવાની તાકીદ પણ કરું છું. ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય ! રજપૂત દેશ માટે રણસંગ્રામમાં મરતા મોજ માણે,. હું વણિક મહાજન દેશ માટે અન્ન પૂરું પાડતા મોત આવે, તો એને સ્વીકારવામાં મોજ માણીશ.'

જગડૂશા ગુરુ પરમદેવસૂરિને વંદન કરીને હવેલીએ આવ્યા. તરત હુકમ લખાયા; ખેપિયા તૈયાર થયા. પેઢીએ પેઢીએ સંદેશો પહોંચી ગયો; 'અન્ન ખરીદો. જે ભાવ મળે તે ભાવે ખરીદો ! જ્યાં ખરીદો, ત્યાં જ ભંડાર ભરો !'

દામ કરે કામ. હજારો મૂડા અનાજ ભેગું થઈ ગયું. જગડૂશાની દુકાનો ઉત્તરમાં ગજની- કંદહાર (આજના અફઘાનિસ્તાન) સુધી, પૂર્વમાં બંગાળ સુધી દક્ષિણમાં રામેશ્વર સુધી અને દરિયાપાર પણ પથરાયેલી હતી. ઠેર ઠેર કોઠારો ભરાઈ ગયા. એટલે જગડૂશાએ કોઠારોમાં એક એક તામ્રપત્ર મૂકાવ્યું. એમાં લખ્યું: 'આ કણ ગરીબોને માટે છે.' નીચે પોતાના નામની સહી કરી.

સંવત ૧૩૧૩ની સાલ આવી. વાદળ બંધાયા નહિ, મેહ વરસ્યા નહિ. લોકોએ જે પાસે હતું તે ખાધું, ઉછીનું- ઉધાર લાવીને ખાધું; ચોરી- છૂપીથી લાવીને ખાધું. જેમતેમ એક વર્ષ નીકળી ગયું. સહુ આવતા વર્ષ પર મીટ માંડીને બેઠા.

સંવત ૧૩૧૪ની સાલ આવી. જેઠ- અષાડ આવ્યા. વાદળ ઘેરાયા, ગડગડાટ થયા, પણ વિશ્વાસઘાતીના વચનની જેમ વરસ્યાં નહિ.

જગડૂશાહે ઠેર ઠેર સદાવ્રત- શાળાઓ ખોલી. આખા ભારતમાં દુકાળ વ્યાપેલો હતો. જગડૂશા બધે ફરી વળ્યા અને સઘળો બંદોબસ્ત કર્યો. માણસને પેટપૂરતું મળી રહે તેવી ગોઠવણ કરી.

જેમતેમ સંવત ૧૩૧૫ની સાલ આવી. જંગલમાં ઘાસનું તરણું જડે નહિ. ખેતરમાં દાણો મળે નહિ. ગાયો મંકોડા ચરવા લાગી. પેટના દીકરા વેચાવા લાગ્યા. માણસ ઘાસ- પાંદડા ખાઈને જીવન ગુજારતો, તે ય ખૂટયાં. પેટને કાજે માણસ મણસને ખાવા લાગ્યું ! જગડૂશા દિવસ- રાત ભૂલી ગયા, ઠેર ઠેર ઘુમવા લાગ્યા, અનાજ પહોંચાડવા લાગ્યા. સાચો ધર્મ આ માણસની સેવા, પશુની સેવા, જીવમાત્રની ખેવના. આ દુકાળ ફક્ત- કાઠિયાવાડ કે ગુજરાતમાં જ નહોતો, આખા ભારત વર્ષ પર પ્રસરેલો હતો.

જગડૂશાની કીર્તિ ગુજરાતના રાજા વિશળદેવે સાંભળી. એણે જગડૂશાને બોલાવ્યા ને કહ્યું, 'તમને ધન્ય છે. તમારા દિલને ધન્ય છે, તમારા દિલની દયાને ધન્ય છે. પણ અમારું એક કામ કરો. સાંભળ્યું છે કે આ પાટણમાં જ અનાજના તમારા ૭૦૦ કોઠારો છે. એમાંથી થોડું અનાજ અમને આપો.'

જગડૂશા કહે: 'એક કણ પણ એમાં મારો નથી. ખાતરી ન થતી હોય તો કોઠાર ખોલાવીને જુઓ !'

રાજા વિશળદેવે કોઠારો ખોલાવ્યા. એમાં તામ્રપત્રની તકતી હતી; લખ્યું હતું કે, 'આ કણ ગરીબો માટે છે.'

જનતાનો માલ છે. જનતા જમે. જગડૂશાનું કાંઈ નહિ !

દિલ્હીના બાદશાહ નાસિરૂદ્દીનપાસે જગડૂશાની કંઈ કંઈ વાતો પહોંચી. એ ખુદ આ ગુજરાતી વાણિયાને નજરે નિહાળવા આવ્યો. એના કોઠારો જોયા. કોઠારોમાં ગરીબો માટેની અનાજની ન્યોચ્છાવરી જોઈ એ ખુશખુશ થઈ ગયો. એણે જગડૂશાની ભાવનાની, દિલની દિલાવરીની કદર કરીને એને જગત્પિતાનું બિરુદ આપ્યું.

જગડૂશાએ રાજા વિશળદેવને ચાર લાખ મણ, સિંધના અમીરને છ લાખ મણ, માળવાના રાજા મદનવર્માને નવ લાખ મણ, કાશીરાજને સોળ લાખ મણ, કંદહારના રાજાને સાંઇઠ હજાર મણ અને દિલ્હીના બાદશાહને દસ લાખ મણ અનાજ આપ્યું.

સામાન્ય ગણતરી મુજબ ચાર અબજ મણ અનાજ અને સાડા ચાર કરોડ રૂપિયા વાપરી જગડૂશાએ દેશને દુકાળમાથી તાર્યો. ગુજરાત, સિંઘ, મેવાડ, માળવા, કાશી, દિલ્હી અને છેક આજે અફઘાનિસ્તાનમાં આવેલા કંદહારના રાજાને અનાજ આપ્યું.

એકસોને પંદર જેટલી દાનશાળા ખોલી, જેમાં પ્રતિદિન પાંચ લાખ માણસોને ભોજન આપવામાં આવતું. કેટલાક લોકો આબરૂવાળા હતા, એ ઘરમાં બેસી રહેતા, ભૂખે મરતા પણ માગવા જતા નહિ, તેઓ માટે જગડૂશાએ 'લજ્જાપિંડ' નામના લાડવા બનાવ્યા. પ્રભાતના પહોરમાં એક એક લાડુ એવાના ઘરે પહોંચાડી દેતા, અંદર રૂપાનાણું મૂકતા.

જગડૂશાએ આ રીતે જગતનું પાલન કર્યું. કવિઓએ તેઓના ગીત ગાયા. કહ્યું કે ચાર દિશામાં ચાર લોકપાલ ભલે બેઠા હોય, પણ સાચો લોકપાલ તો જગડૂશા ! ભગવાન શ્રીકૃષ્ણે ચાર હાથે ગોવર્ધન પર્વત તોળ્યો હતો; જગડૂશાએ બે હાથે દુનિયાને તોળી લીધી. રાજા- મહારાજાઓએ એમને 'જગતના પાલનહાર'નું બિરૂદ આપ્યું. આજે પણ મહાન દાનેશ્વરી હોય, તેને જગડૂશાની ઉપમા અપાય છે, તે આ માટે.

બીજી બાજુ અહિંસાનું પાલન એ ય જગડૂશાની વિશેષતા હતી. એક વખત સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે કોયલા પહાડીની નજીક એમનું જહાજ થંભી ગયું. એમ કહેવાતું કે મધ્યાહન સમયે દેવીની દ્રષ્ટિ જે વાહન ઉપર પડે તે ભસ્મીભૂત થઈ જાય.

આ લોકમાન્યતા સાંભળીને જગડૂશા દેવીના મંદિરમાં આવ્યા. આસનસ્થ થઈને ત્રણ ઉપવાસ કર્યા. દેવી પ્રસન્ન થતાં આ સંહાર બંધ કરવાની જગડૂશાએ પ્રાર્થના કરી.

કથા એમ કહે છે કે દેવીએ કહ્યું કે મંદિરના ૧૦૮ પગથિયા પર એક એક પાડાને બલિરૂપે રાખવામાં આવે. જગડૂશાએ ૧૦૬ પાડા મંગાવ્યા. બીજે પગથિયે પોતાના દત્તકપુત્રને અને પહેલે પગથિયે પોતે ઊભા રહ્યા. પશુઓના સંહારને બદલે પોતાનો બલિ ચડાવવા માટે પોતાની ડોક પર તલવાર ચલાવવા ગયા, ત્યાં જ કોઈ અદ્રશ્ય શક્તિએ એમનો હાથ પકડી લીધો. જગડૂશાની જીવદયા અને સાહસની ભાવના જોઈને દેવી પ્રસન્ન થયા. દેવીએ કહ્યું કે મારા દક્ષિણ દિશા તરફના મંદિરને ઉત્તર દિશા તરફનું બનાવી દે, જેથી કોઈ સંહાર ન થાય.

આજે સૈકાઓ પછી પણ કોયલા પહાડીની યાત્રામાં દેવીનાં દર્શન કર્યા બાદ જગડૂશા અને એમના પુત્રની આરતી ઉતારવામાં આવે છે.

કચ્છના કંથકોટથી જગડૂશાના પિતા સોળશાહ ભદ્રેશ્વર આવીને વસ્યા હતા. જગડૂશાની માતા લક્ષ્મીબાઈ દયાની સાક્ષાત મૂર્તિ હતા. જગડૂશાના પિતાનો વેપાર દેશ- પરદેશમાં ચાલતો હોવાથી એમને ત્યાં આવતા સંખ્યાબંધ આડતિયાઓ પાસેથી દરિયાઈ સફરની રોમાંચક ગાથાઓ સાંભળી હતી એ સમયે બાળક જગડૂ એમ કહેતો હતો કે હું મોટો થઈશ ત્યારે સો વહાણો લઈને નીકળીશ અને તમારા દેશમાં મારો વેપાર જમાવીશ.

પિતાનું અવસાન થતાં જગડૂશાએ વેપાર સંભાળ્યો.

થરપારકરનો રાજા માથાભારે. નામે પીઠદેવ. એકવાર ઓચિંતો હલ્લો લાવી એણે ભદ્રેસરનો કિલ્લો તોડી નાખ્યો.

લોકોની વિનંતીથી જગડૂશાએ કિલ્લો ફરી ચણાવવા માંડયો. પીઠદેવને ખબર પડી. એણે કહેવરાવ્યું કે જો ગધેડાના માથા પર શીંગડા ઊગે તો તમે કિલ્લો ચણાવી શકશો. મહેનત કરશો મા, નહીં તો તોડી પાડીશ.

જગડૂશા ડરે એવા નહોતા. બનતાં સુધી લડવું નહિ, પણ લડવાની જરૂર પડે તો પાછા હઠવું નહિ; એ એમનો સિદ્ધાંત હતો. તેઓએ કિલ્લાનું કામ ધમધોકાર ઉપાડયું. છ માસમાં કિલ્લો તૈયાર કરી દીધો. કિલ્લાને માથે શીંગડાંવાળો ગધેડો મૂક્યો.

ઇરાનમાં એમની પેઢી. એમનો એ ગુમાસ્તો ત્યાં રહે. ગુમાસ્તાને એક મુસલમાન વેપારી સાથે પથરાની ખરીદી બાબતમાં ચડસાચડસી થઈ.

સો, હજાર ને લાખ બોલતાં બોલતાં વાત વટ પર આવી. જગડૂશાના ગુમાસ્તાએ ત્રણ લાખ દિનારમાં એક પથરો ખરીદ્યો. સહુને હતું કે પાઇનો હિસાબ રાખનાર જગડૂશાએ ગુમાસ્તાને કાઢી મૂકશે; પણ જગડૂશાએ કહ્યું: 'તેં મારી આંટ રાખી. વેપારીને ધનની કિંમત નથી; નાકની છે. લે આ કસબી પાઘડી ને મોતીનાં કડાં !'

જગડૂશાએ શત્રુંજય અને ગિરનારના ભવ્ય સંઘો કાઢીને યાત્રા કરી અનેક મંદિરો બંધાવ્યા. દેશાવરથી આવતા મુસલમાન વેપારીઓ માટે નમાજ પઢવા ખમલી મસ્જિદ પણ ચણાવી આપી.

જગડૂશા કહેતા કે હું જેટલું ખરચું છું, એટલું મને મળી રહે છે. ધન કદી ખર્ચે ખૂટતું નથી.

Tags :