Get The App

ઇતિહાસના પાને નોંધાયેલી અનોખી ઘટના

Updated: May 30th, 2024


Google NewsGoogle News
ઇતિહાસના પાને નોંધાયેલી અનોખી ઘટના 1 - image


- દેશમાં ખળભળાટ મચાવનાર  કિસ્સો ખડખડાટ હાસ્યમાં ફેરવાઈ ગયો 

- લગ ગઇ સદિયાં હમેં જો ઘર બનાને મેં,

ગફલતી મેં આજ વહ ઘર હમને ખોયા હૈ.

દેશની એકેએક વ્યક્તિની નજર ચોથી જૂન પર મંડાયેલી છે અને સહુ વિચારે છે કે એ દિવસે ચૂંટણીનાં પરિણામો કેવાં કેવાં રંગ ખીલવશે? અદ્ધર જીવે, સરવા કાને અને આતુર આંખે કેવો ઇતિહાસ સર્જાશે એનો સહુ કોઈ વિચાર કરે છે, ત્યારે ઇતિહાસની એક અનોખી ઘટનાનું સ્મરણ થાય છે.

ઈ. સ. ૧૮૭૭ના નૂતન વર્ષનો એ પ્રથમ દિવસ. હિંદુસ્તાન પર અંગ્રેજ હકૂમતનો દોર કાયમ થઈ ચૂક્યો હતો. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામની વિફળતાએ કેટલાય નવાં પરિમાણો સર્જ્યા હતાં. ભારત પર હકુમત ધરાવતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વિદાય આપીને બ્રિટનની મહારાણી ક્વીન વિક્ટોરિયાનું રાજ્ય સ્થપાયું હતું. હિંંદના રાજાઓમાંથી પ્રતિકારનો ભાવ સમાપ્ત થઈ ગયો હતો. વેપારીના લેબાસમાં આવીને દેશ પર હકુમત જમાવનારા અંગ્રેજોએ હિંદને પોતાની હાટડીમાં વેંચવાનો માલ બનાવી દીધો હતો!

આ સમયે ભારત પર વાઈસરોય લોર્ડ લિટનનો કારભાર ચાલતો હતો. દેશમાં ક્યાંય પણ બ્રિટિશ સરકારનો વિરોધ લાગે તો તેને એ નિર્દયતાથી કચડી નાખતો હતો. ૧૮૭૬થી ૧૮૭૮ સુધીમાં ભારતમાં પડેલા ભયાવહ દુકાળ સમયે એણે અમાનવીય વર્તનની પરાકાષ્ઠા બતાવી. આવા વાઈસરોય લિટનના સમયે ઈસુના નૂતન વર્ષના પ્રથમ દિવસે બંજર અને બેહાલ બનેલી હિંદની પ્રાચીન પાટનગરી દિલ્હી નવા દોરદમામથી ઝળહળી ઊઠી હતી. હિંદની પારાવાર જાહોજલાલી જગતને બતાવવાનો બ્રિટિશ સરકારનો ઈરાદો હતો. જરી-કસબના તંબુઓ અને મખમલી શમિયાણાઓથી એની ઓતરાદી દિશાનું વિશાળ મેદાન શોભી રહ્યું.

હિંદના નામાંક્તિ નરનારીઓ અહીં એકઠાં મળ્યા હતા. ત્રીસ કરોડ પ્રજાજનોના રાજાઓ, અમીર-ઉમરાવો અને અધિકારીઓ ખડે પગે હાજરાહજૂર હાજર હતા.

સમારંભ જેવોતેવો ન હતો. શાહી ઠાઠ અને વૈભવી દોરદમામથી ભરેલો હતો. અડસઠ હજાર આમંત્રણ-પત્રિકાઓ પાઠવવામાં આવી હતી. સીત્યોતેર રાજાઓ, ત્રણસો અમીર-ઉમરાવો અને બારસો મોભાદાર સિવિલ સર્વન્ટ તહેનાતમાં હાજર હતા. મોખરે અંગ્રેજ વાઇસરોય લાર્ડ લિટન પોતાની સરકારી વફાદારી બતાવતો પેશે ખિદમત હતો.

પાટનગરમાં ઈતિહાસમાં અજોડ એવો દરબાર ભરાતો હતો. ઢંઢેરાઓ વંચાતા હતા. ઈનામ-અકરામની લહાણી થતી હતી. વફાદારોને વર્ષાસનો અપાતા. વિદેશી સલ્તનતના રાજાધિરાજોને તોપોની સલામી અપાતી હતી.

આકાશના હૃદયને થરથરાવતી એક્સોને એક તોપો શાહી તખ્તના માનમાં ગર્વભેર ગર્જતી હતી. ચોતરફ આનંદ, ઉત્સાહ અને હર્ષનું વાતાવરણ થનગનતું હતું.

હીરામોતી અને ફૂલ-ગજરાઓથી શણગારેલી દિલ્હીની શેરીઓમાંથી મદઝરતા હાથીઓ પર અંગ્રેજ હકૂમતનું મહાન બાદશાહી સરઘસ પસાર થઈ રહ્યું હતું. નિયમ મુજબ રાજવીઓના હાથીઓ ચાલતા હતા. નક્કી કર્યા મુજબના રંગોની પતાકાઓ એમના હોદા પર ફરફરી રહી હતી. ચારે તરફથી જયનાદ સંભળાતા હતા. વિદેશીઓની વાહ-વાહ કરવામાં કોઈ પાછી પાની કરતું નહોતું.

આનંદ-પ્રમોદ અને એન-ચેનની બંસી બધે બજી રહી હતી. ભારતનો સત્તાધીશ વાઈસરોય લોર્ડ લિટન મણિમુક્તાથી શણગારેલા હાથીના હોદ્દા પરથી વાતાવરણનું ખુશનુમા વિહંગાવલોકન કરી રહ્યો હતો. એના મુખ પર સ્મિત ફરકી રહ્યું હતું.

પણ આ શું?

અચાનક એની મોટી આંખોના ખૂણા લાલ કેમ થયા?

એનો ખુશમિજાજ ચહેરો તીરની પણછની જેમ કેમ ખેંચાઈ ગયો? એવું તે શું થયું? મહારાણીના આ પ્રતિનિધિને અણગમતું કાર્ય કોણે કર્યું? જેનો સૂર્ય કદી આથમતો નથી એવી અંગ્રેજ સરકાર સામે કોણે બેઅદબી કરી? જેની સામે આંખ માંડવાની કોઈ હિંમત ન કરી શકે, એને કોણે અપમાનિત કર્યો.

એ લાલ આંખ હિંદના રાજવીઓના હાથીઓની હાર પર સ્થિર થઈ હતી. શાહી સવારી સમયે એક ઊંચા દરજ્જાના માનવંત રાજવી પોતાનો હાથી સરઘસથી જુદો તારવીને પોતાના નિવાસસ્થાન તરફ ઝડપથી હંકારી જતા જોવામાં આવ્યા. શિરસ્તાનો આવો ભંગ કેમ ચલાવાય? સાત સાગરને ઓળંગીને આવેલો આ સામર્થ્યવાન વાઇસરોય એ કેમ સહન કરી શકે? આ તો અંગ્રેજ સરકાર સામે જાહેર બગાવત કહેવાય! તેઓ પોકારી ઊઠયા-

'આવી રીતે શાહી સવારી છોડી જવાનો મતલબ શું? આ તો નામદાર મહારાણીનું અપમાન કરતું મહાઅપકૃત્ય કહેવાય!'

ડાહ્યા દીવાનના ક્રોધનો પાર ન રહ્યો. પણ એણે શાંતિથી સવારી પૂરી  થવા દીધી, પરંતુ પછી તંબુમા આવીને બેઠો. 'રાજા અને આવતી વહુ'ના ન્યાયે કાર્યની પૂરી તપાસ અને ઇન્સાફની તમામ સત્તા માટે વાઈસરોયેે ઇંગ્લેન્ડ તાર કર્યો. આ તારના સમાચારે ચોતરફ હાહાકાર પ્રવર્તી ગયો. તારનો સાર હતો.

'મહારાજા બેવફા અથવા ઉદ્ધત હોવા જોઈએ, કારણ કે તે સિવાય તેઓ હિંદુસ્તાનના તમામ રાજા-મહારાજાની હાજરીમાં અને માનવંતા બ્રિટિશ તાજના પ્રતિનિધિઓ સમક્ષ મહારાણીને આ રીતે અપમાનિત કરવાની હિંમત કરે નહીં. બ્રિટિશ અમલની અમર કીર્તિને ખાતર મહારાજા પર દાખલો બેસાડવાની ખાસ જરૂર છે.'

તારના જવાબમાં બ્રિટનના તાજ તરફથી ઘટતાં પગલાં લેવાની સંપૂર્ણ સત્તા વાઇસરોયને સુપરત કરી. સત્તા મળતાં જ લાર્ડ લિટને તપાસ શરૂ કરી. મહારાજાના તંબુ ઉપર ખાનગી રીતે લશ્કરી જાપતો મુકાયો અને બ્રિટિશ તાજને અપમાનવાનો તેમની પાસે સાફ-સાફ ખુલાસો માંગ્યો.

અંગ્રેજ સરકારના ગુસ્સા આગળ પેલા મહારાજા નરમ પડી ગયા. એમણે પોતાનો ખુલાસો જાહેર કરતાં કહ્યું, 'હું બ્રિટિશ તાજને સંપૂર્ણ વફાદાર રાજવી છું. તાજને અપમાન કરવાની ઇચ્છાથી કે ગુસ્સાથી હું સરઘસમાંથી અધવચ્ચેથી ચાલી ગયો ન હતો, કિંતુ અનિવાર્ય કારણને લીધે મને સરઘસ છોડી જવાની ફરજ પડી હતી.'

મહારાજાના આ ખુલાસાએ તો હિંદના હાકેમના ગુસ્સામાં બળતામાં ઘી હોમ્યું. આનાથી બેઅદબીનું સાચું કારણ મળ્યું નહીં. તરત જવાબ મોકલ્યો-

'અલબત્ત, તમારે અનિવાર્ય કારણ હશે, પણ તમને ખબર નથી કે જે કાર્યક્રમનો તમે ભંગ કર્યો, જે બ્રિટિશ તાજની અવગણના કરી, અધવચ્ચેથી સવારીની અદબનો સરેઆમ ભંગ કર્યો, એના કરતાં બીજું મોટું કારણ શું હોઈ શકે?'

હાકેમની લાલ આંખ તણખા વેરવા લાગી. એને લાગ્યું કે એક તો મહારાજાએ અપમાન કર્યું, હવે એ એવો ઉદ્ધત અવગણનાભર્યો બચાવ કરે છે? હાકેમે ચોવીસ કલાકમાં જ અનિવાર્ય કારણનો સાચેસાચો ખુલાસો જણાવવાનો છેલ્લો સંદેશો પાઠવી દીધો.

મહારાજાના તંબૂની આસપાસ લશ્કરી પહેરો વધુ મજબૂત બન્યો. હવે કોઈ ઉપાય ન રહ્યો. શંકરનું ત્રિનેત્ર ખુલવાની તૈયારી થઈ હોય, તેમ લાગ્યું.

મહારાજા તો ભારે મૂંઝાયા. નાછૂટકે એમણે ફોરેન સેક્રેટરી પર પત્ર લખ્યો-

'જો કૃપાની રાહે મને રૂબરૂ મુલાકાત આપવામાં આવશે તો હું ઘણો જ સંતોષકારક ખુલાસો આપી શકીશ. મારી વર્તણુંક પર જે આક્ષેપો મુકાયા છે. તેમાંથી મારી જાતને મુક્ત કરી શકીશ. મારી બ્રિટનની મહારાણી અને બ્રિટિશ સામ્રાજ્ય તરફની વફાદારી પૂરવાર કરી શકીશ.'

આ પત્ર પર ઊંડી અને સાર્વત્રિક વિચારણા કરવા માટે વાઇસરોયની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ ભેગી મળી. લાંબી વિચારણાને અંતે મહારાજાને એક આખરી તક આપવાનો ઠરાવ કર્યો.

ખાનગી બેઠક ગોઠવાઈ. ગોરા હાકેમની સાથે એમની કાઉન્સિલના સભ્યો ઉપસ્થિત રહ્યા, ફોરેન સેક્રેટરી પોતાના પૂરા દોર-દમામમાં હાજર હતા. મહારાજા અંગ્રેજ વાઈસરોય પાસે આવ્યા. વાઈસરોયે કાન માંડયા. જે અનિવાર્ય કારણસર શાહી સરઘસમાંથી અધવચ્ચેથી ચાલ્યા જવું પડયું એનો ખુલાસો કર્યો.

અને...

ક્ષણવારમાં તો વાઈસરોયનો તંગ ચહેરો અનેરા હાસ્યથી ખળભળી ઊઠયો. એનો ગુસ્સો ઊડી ગયો. એ હસવું રોકી શક્યો નહીં. પોતાના અધિકારીની હાજરીમાં હસતાં-હસતાં બેવડ વળી ગયા.

એ મહારાજા સામે જોતાં જાય અને હસતા જાય, હસવું વધતું ચાલ્યું. જેમ એ હસવું ખાળવાનો પ્રયત્ન કરે, તેમ હાસ્ય વધતું જ ગયું.

માંડમાંડ વાઈસરોયે મહારાજાએ આપેલો ખુલાસો જાહેર કર્યો. બધા પોતાનું હસવું ખાળી શક્યા નહીં. મહારાજા સાથે હાથ મિલાવીને બ્રિટિશની સરકારને અનિવાર્ય કારણના ભેદ જણાવવા સરકારી કચેરી તરફ ચાલ્યા. છતાં વારે વારે વાત યાદ આવી જતા હસી પડાતું હતું.

શું હતો એ અનિવાર્ય કારણનો ભેદ?

વાત એમ હતી કે જ્યારે શાહી સવારી પસાર થતી હતી ત્યારે મહારાજાને હાજત લાગી હતી. આથી એકદમ હાથી ફેરવીને તંબુમાં લઈ જવા સિવાય એમની પાસે બીજો કોઈ ઉપાય રહ્યો ન હતો!

થોડીવારમાં ઇંગ્લેન્ડ તરફ તાર ગયો. 'મહારાજાની બેઅદબી સબબના બનાવનો સંતોષકારક નીવેડો આવી ગયો છે.'

આમ ખૂબ ચર્ચાયેલા ઇતિહાસના એક મહત્ત્વના બનાવ પર છેવટનો પડદો પડયો!

પ્રસંગકથા

છછુંદરીનાં છયે સરખાં અને  વો હી રફતાર બેઢંગી  

છછુંદરથી સાપ પણ ડરે. એની તીણી ચાંચ મારે કે ખલાસ! આવા છછુંદરને જોઈને મોટા મોટા નાગ આઘાપાછા થઈ જાય. એક છછૂંદરીને છ બચ્ચાં, પણ એને થાય કે ભગવાને એને બધું આપ્યું, પણ આંખ કાચી આપી. સૂરજનું તેજ સહન થાય નહીં.

એકવાર એની માએ પૂછયું, 'બેટા! તમે યુવાન છો, ઘણું ભમ્યા છો. કહેશો કે દુનિયામાં નકામી ને કામની વસ્તુ કઈ છે ?'

યુવાન છછુંદર કહે, 'મા! નકામામાં નકામી ચીજ મને તો આ સૂરજ લાગે છે. નકામો કેટલો વિના કારણે ગરમ રહે છે? અને મા, એને કારણે બિચારા વરસાદને આવવું પડે છે. સૂરજ ન હોત તો આ પાણી સુકાત નહીં અને વરસાદની જરૂર રહેત નહીં!'

આ છછુંદરીએ બીજા બચ્ચાને પૂછયું. એણે કહ્યું, 'આ સૂરજ તો નકામી ચીજ છે. અમે એને ઢાંકી દેવા માગીએ છીએ.'

ત્રીજા બચ્ચાએ કહ્યું, 'અમે તો બસ અંધારી રાત આખી દુનિયા પર રાણી થઈને રહે, એ જ ઇચ્છીએ છીએ.'

માતાએ હવે આગળ પૂછયું,'દુનિયામાં કામની કઈ વસ્તુ છે ?'

ચોથા છછૂંદરે કહ્યું, 'મા! કામના અમે. જે ઘરમાં અમે રહીએ ત્યાં સાપ ઝાઝી વાર રહે નહીં! અમે શોખીન! કાપડિયાના કાપડ કાપી પથારી કરીએ.' 

છઠું છછુંદર શાંત બેઠું હતું. એ બોલ્યું, 'મા! હું કહું કે સંસારમાં કામની વસ્તુ કઈ?'

છછુંદરીને થયું કે મારું આ બચ્ચું તો સમજણું હશે. એણે કહ્યું, 'કહે બેટા!'

છઠું છછુંદર કહે, 'મા ! કામની તું. તું રતનને જનમ આપનારી! તારા સિવાય અમારા જેવા પરાક્રમીને બીજી કઈ માતા જન્મ આપી શકે !'

છછુંદરીએ નિસાસો નાખ્યો ને બોલી, 'છછુંદરીનાં છયે સરખાં!'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે છછુંદરીનાં છયે સરખાંની માફક કોઈ પણ દુર્ઘટના બને, એટલે એક જ સરખી, એક જ રફતારમાં કાર્યવાહી ચાલે છે. પોલીસોની તાત્કાલિક બદલી કરવામાં આવે છે, થોડાકને રુખસદ આપવામાં આવે છે, આપત્તિગ્રસ્તને આર્થિક સહાયની જાહેરાત થાય છે, ગુનેગાર વિરુદ્ધ સખત શિક્ષાત્મક કાર્યવાહી થાય છે એવી જાહેરાત થાય છે, ગુનેગારની ધરપકડ કરવામાં આવે છે અને સમય જતાં વાત વિસરાય છે.

કોચિંંગ ક્લાસમાં મોત થાય, બ્રિજ તૂટતાં મોત થાય કે ગેમ ઝોનમાં આગથી મોત થાય - આ ઘટના બને એટલે એ કોચિંગ કલાસની તપાસ થાય, બ્રિજની ચકાસણીઓ થાય, ગેમ ઝોન પર તવાઇ આવે. આગ લાગે ત્યારે કૂવો ખોદાય નહીં, પણ બધું આગથી ભસ્મીભૂત થઇ જાય પછી કૂવો ખોદાય છે! હકીકતે ડામવાની જરૂર છે ભ્રષ્ટાચારને અને સમજવાની જરૂર છે સરકારી તંત્રને. આવું કશું થતું નથી અને 'વો હી રફતાર બેઢંગી' ચાલ્યા કરે છે.


Google NewsGoogle News