Get The App

વિચારસ્વાતંત્ર્ય અને વ્યક્તિગત સ્વાધીનતા સંસારની સર્વશ્રેષ્ઠ દોલત છે

Updated: Jun 19th, 2025

GS TEAM


Google News
Google News
વિચારસ્વાતંત્ર્ય અને વ્યક્તિગત સ્વાધીનતા સંસારની સર્વશ્રેષ્ઠ દોલત છે 1 - image


- પતિ-પત્નીએ વિષપાન કરીને પોતાના સિદ્ધાંતોને ચિંરંતન કરવાનો નિરધાર કર્યો

- લોત્તે ઓલ્ટમેન અને સ્ટિફન ઝ્વિગ

- આજ તક ના કાંટોં કો મહકને કા સલીકા આયા, 

ના યે ખૂબસૂરત ફૂલોં કો કભી ચૂભના આયા. જીવનનાં મૂલ્ય બે: સિદ્ધાંત પ્રત્યે આશિકી અને તે માટે સરફરોશી! 

જીવનના એ મૂલ મૂલવવા માટે સર્જક સ્ટિફન ઝ્વિગ અજાણી હોટલના એક કમરામાં બેઠો છે. પાસે એની પત્ની છે. સામે સૂર્ય અસ્તાચલ પર છે. ધુમ્મસ અપાર છે. લેખક અપારને પાર નીરખવા માગે છે. એની આગળ એક ટેબલ પર કીટલી છે. ચાના પ્યાલા છે. કીટલી છલોછલ ભરેલી છે, પણ ચા કે કોફીના પાણીથી નહીં...

કીટલી હળાહળ વિષથી ભરેલી છે. પત્ની પ્યાલો ભરીને તૈયાર કરે છે. એક પ્યાલો સ્ટિફન પીએ છે, બીજો પ્યાલો લેખકની પત્ની લોટે પીએ છે. વાહ, વાહ, શું રસાસ્વાદ! શંકરની જેમ વિષપાન આ કરનાર લેખક કોઈ સામાન્ય લેખક નથી, વિશ્વવિખ્યાત લેખક, કવિ અને વિવેચક છે. જીવનચરિત્રના લેખક તરીકે એનો જોટો નથી. ત્રીસ ત્રીસ ભાષાઓમાં એના ગ્રંથો પ્રગટ થાય છે. એક એક આવૃત્તિ પચાસ-પચાસ હજારની નીકળે છે, કરોડાધિપતિનું એ સંતાન છે. 

પણ આજ એ મૃત્યુ પામવા બેઠો છે. સજોડે હિમાળો ગાળવા તૈયાર થયો છે. જે માટે એ જીવ્યો એના માટે એને મરવું છે! એની વીણા બેસૂરી થાય એ પહેલાં એને ખતમ થવું છે. એ માને છે કે, સાહિત્યકાર એક સાધક છે. સાહિત્ય સત્તાનું આશ્રિત નહીં બને. સાહિત્યકાર થોડા સિક્કા કે થોડા રંગીન કાગળના કટકા ખાતર સત્તાની કદમબોસી ન કરી શકે. સત્તાનું દાસત્વ સાહિત્ય હરગિજ ન સાંખે ન સાંખી શકે. 

આવો વ્યક્તિગત સ્વાધીનતાનો ઝંડો ઉઠાવનારને આજ નમવાના સંજોગો આવ્યા હતા. ગજવેલની પરીક્ષા થતી હતી. એ ગજવેલ અણનમ રાખવા આજ સાહિત્યનો ઉપાસક સજોડે વિષપાન કરવા બેઠો હતો. એણે જગતને છેલ્લો સંદેશો આપવા કલમ હાથમાં લીધી, ને એક વધુ પ્યાલો મોંએ ધર્યો કે એની સામે આખું જીવનચિત્ર આવીને ખડું થઈ ગયું. 

સ્ટિફન ઝ્વિગનો વિયેનામાં જન્મ થયો. કરોડાધિપતિનો પુત્ર. વિયેના તો બે હજાર વર્ષની સંસ્કૃતિધર નગરી. હજાર વર્ષથી સાહિત્યની અણનમ મશાલ જગાવીને એ નગર ઝળહળતું હતું. યુરોપના કાશી સમા વિયેનાની યુનિવર્સિટી ઓફ વિયેનામાં એણે તત્ત્વજ્ઞાાનનો અભ્યાસ કર્યો. પુરાતન પદ્ધતિએ ભણેલા સ્ટિફને વિયેનાનાં ચા-કોફીઘરમાં સાચું શિક્ષણ લીધું. આ ચા-કોફીઘરો ખરેખર ત્યાંનાં સંસ્કૃતિધામો છે.  એ કોફીઘરોમાં માસિકો મળે, પુસ્તકો મળે, ચર્ચાઓ ગોઠવાય, કોઈને લખવું હોય તો કાગળકલમ પણ મળે, ને ટપાલની વ્યવસ્થા પણ ત્યાં થાય. નામી કલાકારોનો મેળો અહીં જામે. 

સ્ટિફનને આ કોફીઘરોમાંથી પ્રેરણા મળી. એણે કલમ ચલાવી અને કમાલ સરજાઈ ગયો. લોકો એ લેખિની પર વારી ગયા. અદ્ભુત હતા એ ભાવ અને અજબ હતી એ ભાષા. સ્ટિફન આંતરરાષ્ટ્રીય પ્રેમ અને વિશ્વશાંતિનો સંદેશ પોતાના સાહિત્ય વાટે પ્રગટ કરવા લાગ્યો. 

સંસારને સ્વર્ગ બનાવવા માટે પ્રેમ અને દાન, બેની જરૂ૨ છે, એમ એણે કહેવા માંડયું, ને દુંદુભિનાદે એણે પોકાર્યું, 'વિચારસ્વાતંત્ર્ય અને વ્યક્તિગત સ્વાધીનતા સંસારની સર્વશ્રેષ્ઠ દોલત છે. જીવનને તે જ સમજે છે, જે પ્રેમ કરે છે, અને જે દાન કરે છે.' 

ચોમાસાની હેલીની પેઠે એના સિદ્ધાંતો ચારે તરફ પ્રસરી ગયા. એનાં પુસ્તકોની હજારો નકલો ખપવા લાગી. પ્રકાશકો તરફથી ભારે માગ આવવા લાગી. પણ આ લેખક અર્થદાસ નહોતો. એ સો ગળણે ગાળીને સાહિત્ય પીરસતો. હજાર પૃષ્ઠનું પુસ્તક કાંટછાંટમાં બસો પાનાંનું થઈને રહેતું. એક પંક્તિ ખોટી નહીં, એક પંક્તિ વધુ નહીં, અનાવશ્યક ચર્ચા નહીં. ગોળ ગોળ અભિપ્રાય નહીં. જે લખવું તે છરીની ધાર જેવું તીક્ષ્ણ અને સૂરજના પ્રકાશ જેટલું સ્પષ્ટ હોવું જોઈએ. આ માટે કેટલાંયે પુસ્તકો લખીને રદ કર્યાં. કચરાની ટોપલીને હવાલે થયાં. કેટલાંય બીજી વાર પ્રગટ જ ન કર્યાં. એણે કહ્યું કે સાહિત્ય વિના સંસ્કૃતિ નહીં, સંસ્કૃતિ વિના સાહિત્ય નહીં. શરીર નબળું હશે તો સુધારી શકાશે. સંસ્કાર નબળા હશે તો સુધારવા મુશ્કેલ છે. સારા સંસ્કારનો આધાર સારા સાહિત્ય પર છે. સાચા લેખક માટે સત્તાની કદમબોસી ખરાબ છે, તેમજ ઉપાધિઓ ને પદવીઓ પણ વ્યાધિરૂપ છે. 

પોતે એક પણ પદ પર ન બેઠો. પ્રતિષ્ઠાથી દૂર રહ્યો. કોઈ સભા કે કોઈ સોસાયટીમાં ન ગયો કે ન મંત્રી બન્યો. પોતે અપ્રગટ રહ્યો. અનેકને પ્રગટ કર્યાં. 

પહેલું યુદ્ધ ઝગ્યું ને સ્ટિફનનો પ્રેમાળ આત્મા બળવો પોકારી ઊઠયો. સત્તાઓના નગ્ન નાચ સામે એણે પડકાર કર્યો : મારું સાહિત્ય સત્તાનું દાસત્વ કદી નહીં સાંખો સંસારમાં પ્રેમનું રાજ્ય સ્થપાવું જોઈએ. દાટી દો, દફનાવી દો આ યુદ્ધદેવીને! 

સ્ટિફન જીવન માટે સાહિત્યની સાધના કરવા માગતો હતો. અનેક લેખકો હાથીદાંત જેવું જીવન જીવી રહ્યા હતા, ત્યારે સ્ટિફન સત્યનો આગ્રહી બની રહ્યો. કહેવું તેવું કરવું. 

સત્યનો એ આગ્રહી એક વાર પેરિસની હોટલમાં હતો. એની કીમતી પેટી ચોરાઈ. ચોરને મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યો. સ્ટિફનને અને ચોરને ન્યાયકચેરીમાં હાજર કર્યા. ન્યાયકચેરીએ પૂછયું, 'તમારે ચોરને સજા કરાવવી છે?' 

સ્ટિફને કહ્યું, 'હરગિજ નહીં.' આ સાંભળી ચોરના મોં પર પશ્ચાત્તાપની શરમ અને મુક્તિનો મલકાટ આવ્યો. પોલીસ અમલદારે શાંતિનો શ્વાસ લીધો. 

પણ હોટલવાળો ચિડાઈ ગયો. એણે કહ્યું, 'તમે એક ચોરને માફી આપી, હજાર ચોરોને પ્રોત્સાહન આપશો. આ બદમાસો તો જેલમાં સારા.' 

આખરે કચેરીએ કેસ સમેટી લીધો. સ્ટિફન પોતાની બેગ લઈને જેવો ઘર તરફ વળ્યો કે દોડીને ચોરે બેગ ઊંચકી લીધી. આગળ લેખક ને પાછળ ચોર, એમ બંને જણા હોટલમાં આવ્યા. સ્ટિફને કહ્યું કે કોઈ ને સજા કરાવવાનો આપણને શોખ હોવો ન જોઈએ.

હિટલરે સરમુખત્યાર એકાએક સત્તાના સૂત્રો સંભાળ્યા. એનો નાઝી પક્ષ પોતાનો કોરડો ચોમેર વીંઝવા લાગ્યો. શાંતિ ને પ્રેમ કબરમાં સૂતાં. દ્વેષ, દંભ ને મૃત્યુ મહાન બન્યાં! સ્ટિફન પોતાની વીણામાંથી પ્રેમના, સ્વાતંત્ર્યના, ભ્રાતૃભાવના સુર રેલાવવા સવિશેષ યત્ન કરવા લાગ્યો, ત્યાં નાઝી ફરમાન છૂટયું.

'સ્ટિફનને કેદ કરો. એ યહૂદી છે, રાષ્ટ્રદ્રોહી છે!' 

સ્ટિફન માથે રાત લઈને ભાગ્યો, પણ તેની ચોપડીઓ જપ્ત કરવામાં આવી, છડેચોક જલાવવામાં આવી. એનું જબરદસ્ત સાહિત્ય-સંગ્રહાલય ખાખ થયું. એની માતા 'પુત્ર! પુત્ર!' કરતી ગુજરી ગઈ. સ્ટિફન રાન રાન અને પાન પાન થઈ ગયો. આખરે એને લાગ્યું કે મારા સિદ્ધાંતો મારી આશિકીની કસોટી માગે છે. મારે એ માટે સરફરોશી કરવી જોઈએ. સત્તાનું દાસત્વ કદી સ્વીકાર્યું નથી, સિદ્ધાંતોનો દ્રોહ કદી મંજૂર નથી! 

આખરે એક રાત્રે પતિ-પત્નીએ વિષપાન દ્વારા નશ્વર દેહનો ખાતમો કરવાનો અને સિદ્ધાંતોને ચિરંતન કરવાનો નિરધાર કર્યો.સ્ટિફને લખ્યું - 

'મારી આઘ્યાત્મિક માતૃભૂમિ યુરોપએ આપઘાત કર્યો છે, ને મારી પ્રિય માતૃભૂમિ બ્રાઝિલ મારી પાસેથી ઝૂંટવી લેવામાં આવી છે. આ જન્મમાં ફરી દર્શન કરી શકું, એની માટીમાં આળોટી શકું તેવી કોઈ શક્યતા નથી. 

'મારી ઉંમર પણ ત્રણ વીસી ૬૦ વર્ષની થઈ ગઈ છે. મેં મારી તમામ તાકાત આજ સુધી મારું માનેલું ગાવામાં ને લખવામાં ખર્ચી નાખી છે. હવે અત્યારની શક્તિએ નવા સંજોગોનો સામનો કરી શકું તેમ નથી, નવી શક્તિ માટે નવું જીવન અનિવાર્ય છે.  મેં જીવનભર જે ગાયું તે માટે મારે મરવું જોઈએ. વ્યક્તિગત સ્વાધીનતાનાં મેં આજ સુધી ગુણગાન કર્યાં છે. એ વસ્તુને સંસારની સર્વોચ્ચ દેન સમજ્યો છું. એ વાતની છાતી કાઢીને ફરી ફરી દુહાઈ આપી શકું ત્યાં સુધી મારું જીવવું ઉત્તમ છે. એવાં ૬૦ વર્ષના જીવન પછી ગૌરવભર્યું મૃત્યુ માણવાનો મારો સમય પાકી ગયો છે. 

'અંધકારભરી રાત્રિમાં આપ સહુની વિદાય લઉં છું, પણ મને ઉષાના ઊગમની સંપૂર્ણ ખાતરી છે. પણ હું મારી ધીરજ ખોઈ ચૂક્યો છું, માટે વહેલી વિદાય લઉં છું.' જીવનચિત્રની એક આછી ચિત્રમાલા લેખક સામેથી પૂરી થઈ, ને ફરી વિષનો પ્યાલો ઉઠાવ્યો! પતિ-પત્ની એકબીજાની સામે જોઈ રહ્યાં. સ્ટિફને ધીમેથી પત્નીનો વાંસો પંપાળતાં કહ્યું : 

'જીવનને તે સમજે છે, જે પ્રેમ કરે છે, અને જે દાન કરે છે.' સ્ટિફન એ રાતે સંસાર સાથે પ્રેમ કરી ગયો અને જીવનનું દાન બક્ષી ગયો. આત્મચરિતનાં છેલ્લાં પાનાં ને છેલ્લા અક્ષરો આત્મબલિદાનથી પૂરાં કર્યાં. એ તારીખ હતી: ૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૨.

પ્રસંગકથા

મૌન રહેવાની કળા

ગ્રીસનો તત્ત્વચિંતક સોક્રેટિસ એક અકાદમી ચલાવતો હતો. આ અકાદમીમાં જુદી જુદી કલાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. એમાંની એક કલા હતી વક્તૃત્વ કલા. અકાદમીમાં આવનાર વિદ્યાર્થીઓ છટાદાર વક્તૃત્વના સ્વામી સોક્રેટિસ પાસે આ કલા શીખવા આવતા હતા. એક યુવાનને આવી છટાદાર વક્તૃત્વ કલા શીખવાની ઇચ્છા થઈ. એ સોક્રેટિસ પાસે આવ્યો. એણે કહ્યું, 'આખા ગ્રીસમાં આપની મોટી નામના છે. વક્તૃત્વ કલાના સ્વામી તરીકે આપ સર્વત્ર જાણીતા છો. આમ તો મને છટાદાર ભાષણ કરતા આવડે છે. વક્તૃત્વ માટેની જરૂરી કાબેલિયત મારામાં છે.' 

આમ કહીને પેલા યુવાને પોતાની આવડત વિશે ખૂબ લાંબી વાત કરી. એટલું બધું બોલ્યો કે સોક્રેટિસના ચહેરા પર કંટાળો તરવરી આવ્યો. લાંબી વાતની સમાપ્ત કરતાં એણે કહ્યું, 'આપ મને વક્તૃત્વ કલા શીખવશો.' 

સોક્રેટિસે કહ્યું, 'જરૂ૨ શીખવીશ પણ મારે તમારી બમણી ફી લેવી પડશે.' 

યુવાનને આશ્ચર્ય થયું. એણે કહ્યું, 'અરે! મને તો એમ હતું કે આપ મારી અડધી ફી લેશો, કારણ કે વક્તૃત્વ કલાની ઘણી છટાઓ મને સાઘ્ય છે. એને બદલે આપ તો બમણી ફી લેવાનું કહો છો. આ કેવું?' 

સોક્રેટિસે કહ્યું, 'સામાન્ય રીતે મારે એકેડેમીમાં આવનાર વિદ્યાર્થીને એક જ કલા શીખવવાની હોય છે, કિંતુ મારે તમને બે વિદ્યા શીખવવી પડશે. એક તો ભાષણ કરવાની કલા અને બીજી એથીયે વધારે તમારે માટે અઘરું એ ક્યારે મૌન રહેવું એની કલા. આથી બે વિદ્યા શીખવવાની બમણી ફી થશે.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે, આજે દેશનાં વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસપક્ષના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ભાષણ કરવાની કલા કરતા ચડિયાતી એવી મૌન રાખવાની કલા શીખવાની તાતી જરૂર છે. તેઓ છાશવારે ચૂંટણીપંચ પર આરોપો કરે છે અને ચૂંટણીમાં મેચ ફિક્સિંગ થાય છે, એવા આક્ષેપો કરે છે. આ આક્ષેપોનો ચૂંટણીપંચ યોગ્ય ઉત્તર આપે છે, તેમ છતાં એમના આક્ષેપોની આંધી અટકતી નથી. આનાથી દેશની લોકશાહીની ભાવના પર કુઠારાઘાત થાય છે. પહેલગામનાં હુમલા સમયે અસરુદ્દીન ઓવૈસીએ ટીકા કરી, પણ રાહુલ ગાંધી કોમી સમીકરણને કારણે સાવ ખામોશ રહ્યા, પણ એ પછી ઓપરેશન સિંદૂર અંગે વિદેશપ્રધાન જયશંકર પર સતત આક્ષેપો કર્યા. ભારતના લેફ્ટેનન્ટ જનરલ રાજીવ ઘાઈએ પ્રોટોકોલ પ્રમાણે પાકિસ્તાનનાં મેજર જનરલ કાસીફ અબ્દુલ્લા સાથે વાત કરી અને કહ્યું કે, '૨૩ મિનિટના ભારતના હુમલામાં એણે માત્ર આતંકવાદીઓનાં સ્થળો પર હુમલા કર્યા છે. કોઈ લશ્કરી સ્થાનો પર હુમલો કર્યો નથી.'

આ વાતને વિકૃત બનાવીને વિદેશપ્રધાન જયશંકર પર આક્ષેપો મુકવામાં આવ્યા કે એમણે પાકિસ્તાનને ભારતનાં હુમલાની આગોતરી માહિતી આપી દીધી. રાહુલ ગાંધીના આવા વિધાનો ભારતીય ટેલિવિઝન માટે ડિબેટનો મસાલો બની જાય છે, તો પાકિસ્તાનની દરેક પ્રાઈમ ટાઈમ ચેનલને માટે ભારતની બદનામીનું મોટું શસ્ત્ર બની જાય છે. રાહુલ ગાંધીને મૌનના મહિમાની કોઈ વાત ક૨શે ખરું?

Tags :