Get The App

ગુપ્ત માર્ગે ગુલામો સાથેની લાંબી ખેપમાં ડગલેને પગલે ખતરાનો સામનો કર્યો !

- કાં તો મુક્ત બનીને જીવવું, નહીં તો ફના થઈ જવું !

Updated: Jun 18th, 2020

GS TEAM

Google News
Google News
ગુપ્ત માર્ગે ગુલામો સાથેની લાંબી ખેપમાં ડગલેને પગલે ખતરાનો સામનો કર્યો ! 1 - image



ક્રૂર દમન સામે મક્કમ હિંમત, નિર્દયી અત્યાચાર સામે અડગ દ્રઢતા અને મોતના ખતરા સામે હેરિએટ ગુલામીની પ્રથા સામે અવિરત જંગે ચડી હતી. અશ્વેત મહિલા હેરિએટ ટયુબમેન પોતાના જાત બાંધવો પર ગુજારવામાં આવતા જુલમો સામે ઝઝૂમતી હતી. બાર વર્ષની વયે એક ગોરાએ બીજા ગુલામ પર ફેંકેલું બે રતલનું વજનિયું એના માથામાં વાગતા હેરિએટની આંખોની રોશની ધીમે ધીમે વિલીન થવા લાગી હતી. ખોપરી પર થયેલા ઘાને કારણે અનિદ્રાનો રોગ પીછો કરતો રહ્યો. વળી માથાનો સતત દુઃખાવો રહેવા લાગ્યો અને જિંદગીભર વાઈના દર્દથી પીડાતી રહી.

ચોતરફ ફેલાયેલા ગોરાઓના દમનચક્રની સામે લડવા માટે આ સઘળી વ્યાધિ- ઉપાધિને હેરિએટ ઘોળીને પી ગઈ હતી. એ દક્ષિણ અમેરિકાના ગુલામો પરના અત્યાચારી વિસ્તારોમાંથી એ ગુપ્ત માર્ગે ઉત્તરના રાજ્યોમાં કે કેનેડામાં લઈ જવાનું કામ કરતી હતી. ગુલામોને મુક્તિ આપતી આ યોજના 'અન્ડરગ્રાઉન્ડ રેલરોડ'ના નામે જાણીતી હતી અને એને આરંભથી અંત સુધી પાર પાડવાનું કામ યોજનાના 'કંડક્ટર્સ' તરીકે ઓળખાતી હેરિએટ કરતી હતી.

ગોરાઓની જોહૂકમીવાળા મેરિલેન્ડ રાજ્યે તો હેરિએટને પકડી લાવનારને માટે બાર હજાર ડોલરનું ઇનામ જાહેર કર્યું હતું અને એમ પણ કહેવાતું કે જો કોઈ એને કેદ કરીને ગોરી હકૂમત સામે રજૂ કરે, તો એને ચાલીસ હજાર ડોલરનું ઇનામ મળશે. ગોરા માલિકોની ચુંગાલમાંથી જીવ બચાવીને નાસી છૂટેલા આ બેહાલ, ભયભીત, ગરીબ અને લાચાર અશ્વેતોને લઈને એ દક્ષિણ અમેરિકાના મેરિલેન્ડ જેવા વિસ્તારોમાંથી છેક કેનેડા સુધી ગુલામોના જૂથ સાથે ગુપ્ત મુસાફરી કરતી હતી. આમાં ડગલે ને પગલે જોખમ હતું. અત્યાચારોથી જેમના આત્મા પીંખી નાખવામાં આવ્યો હતો એવા ભયભીત ગુલામો ક્યારેક ડરીને અડધે રસ્તેથી પાછા ફરવાનો વિચાર કરતા.

આવે સમયે હેરિએટ હિંમત આપતી અને તેમ છતાં જે કાયર થઈને ભાગવાનો વિચાર કરે તો એને ધમકાવતી, ડરાવતી કારણ કે એ જો પાછો ફરે અને પકડાઈ જાય તો સરકાર પાસેથી આ ગુપ્ત માર્ગની જાણ કઢાવ્યા વિના રહે નહીં.આથી એક વાર તો હેરિએટે ભયભીત ગુલામના માથા ઉપર બંદૂક તાકીને કહ્યું હતું, 'મરેલા કદી વાર્તા ન કરી શકે.'

બુદ્ધિ, ચાતુર્ય અને સાહસની સાથોસાથ હેરિએટ પોતાના અભિયાન માટે સુદ્રઢ યોજના કરતી હતી. જુદાં જુદાં સ્થળે ખાનગી સંદેશાઓ મોકલતી, બહુરૃપીનો વેશ ધારણ કરવામાં પણ એ કુશળ હતી. એકવાર એ પોતાની બે મરઘી સાથે રાખીને જતી હતી, ત્યારે એણે એના અગાઉના માલિકને જોયો. એને પકડાઈ જવાનો ભય લાગયો. હેરિએટ જાતે મરઘીને છોડીને તેને પકડવા દોડી. આવી બેવકૂફી જોઈને એનો પૂર્વ માલિક હસી પડયો. જો કે એને ક્યારેય ખબર ન પડી કે મરઘીની પાછળ દોડનાર પેલી મુર્ખી છોકરી એ હોંશિયાર ગુલામચોર હેરિએટ હતી.

એક વાર હેરિએટને ખ્યાલ આવ્યો કે નાસી જતાં ગુલામોને પકડનારાઓ ઉત્તર તરફ જતી ટ્રેનો પાસે એમને અને એમના સાથીઓને પકડવાની આશાએ ઘેરો ઘાલીને બેઠા છે. આવે સમયે સહેજ પણ અચકાયા વિના એણે એના જૂથને દક્ષિણ અમેરિકા તરફ જતી ટ્રેનમાં બેસાડી દીધું. પીછો કરનારાઓ ખાલી હાથે પાછા ફર્યા. હેરિએટ અને એનું જૂથ ક્યાં અલોપ થઈ ગયુ એનું આશ્ચર્ય અનુભવવા લાગ્યા. જ્યારે હેરિએટે એની યોજના એક બીજા સલામત માર્ગે સહુને જઈને પાર પાડી.

૧૮૫૨થી ૧૮૫૭ સુધીમાં હિંમતબાજ હેરિએટ ગુલામની યાતનામાંથી મુક્ત થવા માગતા અશ્વેતોને લઈને મેરિલેન્ડથી કેનેડા સુધીની અગિયારખેપ કરી. હેરિએટે એના વૃદ્ધ પિતાના છૂટકારા માટે સૌથી હિંમતભર્યું સાહસ ખેડયુ. એણે પોતાને માટે ટ્રેનની ટિકિટ ખરીદી અને દિવસનો પ્રવાસ પસંદ કર્યો. આ સમયે સખત ગરમી હોવાથી ગમે ત્યારે એના પર વાઇનો હુમલો થઈ શકે તેવી શક્યતા હતી. આમ છતાં પોતાના વૃદ્ધ માતાપિતાને બચાવવા માટે એ કેરોલિનકાઉન્ટીમાં પહોંચી અહીં એક ઘોડો અને એક બગી માટેનો સામાન ખરીદ્યો. આ બગીમાં બેસાડી એ એના વયોવૃદ્ધ માતાપિતાને થોમસ ગેરેટ નામના ગુલામીની પ્રથાનો વિરોધ કરતા હમદર્દ પાસે લઈ આવી અને એમણે હેરિએટના માતાપિતાને માટે કેનેડા સુધી પહોંચવાની વ્યવસ્થા કરી.

ક્યારેક એની આ ખેપ ઘણી લાંબી થઈ જતી. ક્યારેક પૈસા ખૂટી પડતા. ગુલામીમાંથી મુક્ત થવા ચાહતા અશ્વેતોને કોઈ સલામત 'ઘર'માં રાખવા પડતા. આ સલામત ઘર એટલે અશ્વેતોની મુક્તિ પ્રત્યે હમદર્દી ધરાવતા માનવીનું ઘર. કેનેડામાં પ્રવેશતા પહેલાં નાયગ્રા ધોધને ઓળંગવા માટે હાથે બનાવેલા ઝૂલતા પુલ પરથી પસાર થવું પડતું હતું. કેનેડામાં અશ્વેતોની સ્થિતિ પ્રમાણમાં સારી હતી. એમની પાસે પોતાના ખેતરો હતા અને એમાં એ વિવિધ પાક લેતા.

આથી કેનેડાના સેંટ કેથરીન્સ ઓન્ટારિયોમાં અશ્વેતોને વસવાટની મોકળાશ મળતી અને તેથી હેરિએટે તેના માતાપિતાને અહીં રહેવાની વ્યવસ્થા કરી. કેનેડામાં એને ગુલામીની પ્રથા ધરમૂળથી નાબૂદ કરવામાં માનતા ઘણા હિમાયતીઓ મળ્યા. અનેક ગુલામોને એણે મુક્ત કર્યા અને એકવાર તો એવું બન્યું કે એને કારણે ચાર્લ્સ નેલે નામનો ગુલામ નાસી શક્યો. એ પછી એને જાણ થઈ કે એ તો એનો નાનો સાવકો ભાઈ હતો !

હેરિએટ સેંટ કેથરીન્સમાં આવી ત્યારે જ્હોન બ્રાઉનને મળી. ગુલામોની પ્રથા સામે બુલંદ અવાજ પોકારનાર જ્હોન બ્રાઉન આ અત્યંત બહાદુર સ્ત્રીને 'જનરલ હેરિએટ ટયૂબમેન' તરીકે સંબોધન કરીને એની બહાદુરીને સલામ કરતા હતા.

એ સમયે અમેરિકા ખંડની શ્રેષ્ઠ અને બહાદુર વ્યક્તિ તરીકે હેરિએટની ગણના થતી હતી. દસ દસ વર્ષ સુધી એણે રેલરોડના કંડક્ટર તરીકે એણે અદ્ભુત કાર્ય કર્યું. જોખમભરી કેનેડા સુધીની ઓગણીસ જેટલી ખેપ લગાવી. ક્યારેય જંગલો, પર્વતો અને નદીઓ વચ્ચેથી પસાર થતા આ છુપા માર્ગોમાં એની સાથેનો એકે ય પ્રવાસી માર્ગ ભૂલી ગયો નહોતો કે ભૂલો પડયો નહોતો. એણે એની છેલ્લી ખેપ મેરિલેન્ડ તરફ લગાવીને સાત ગુલામોને કેનેડા લાવીને મુક્ત કર્યા

આમ, પાંચસો જેટલા લોકોને ગુલામીની બેડીઓમાંથી મુક્ત કરીને એને પોતીકા શ્વાસ અને સન્માન સાથે સ્વતંત્ર જીવન જીવતા કર્યા. હેરિએટના જીવનમાં એક નવું અજવાળું આવ્યું. અમેરિકામાં આંતરવિગ્રહ શરૃ થતા જે લોકો સૈનિક, રસોઈયા કે નર્સ તરીકે લશ્કરમાં સેવા આપવા ચાહતા હોય, એમની નોંધણી શરૃ થઈ. હેરિએટે યુનિયન આર્મીમાં 'પ્રતિબંધિત' નર્સ તરીકે પોતાનું નામ નોંધાવ્યું અને દક્ષિણ કેરોલીનાની હૉસ્પિટલમાં નિમણુક કરવામાં આવી.

આમાં અશ્વેતો હોય, એમની આગળ 'પ્રતિબંધિત નર્સ' કે 'પ્રતિબંધિત સૈનિક' એવું વિશેષણ લગાડવામાં આવતું હતું. આ યુનિયન આર્મી દક્ષિણના પ્રદેશોમાંથી ગુલામીમાં સબડતા લોકોને નાસી છૂટવામાં મદદ કરતું હતું. આ બધાને ભોજનના સાંસા પડતાં અને ખુલ્લામાં રહેવાને કારણે એ બીમાર પડતા હતા. હેરિએટ હૉસ્પિટલમાં આ બીમાર લોકોની અને ઘવાયેલાઓની સારવાર કરતી હતી. પણ માત્ર નર્સ તરીકે એની કામગીરી અહીં સમાપ્ત થઈ જતી નહીં. બલ્કે હેરિએટ એના વિશાળ પરિચયને કારણે એમને કોઈ કામધંધો પણ શોધી આપતી. 

એ પછી ફ્લોરિડાની બીજી હૉસ્પિટલમાં એની બદલી થઈ. આ હૉસ્પિટલમાં એણે ગોરા સૈનિકો અને પ્રતિબંધિતોને કૂતરાના મોતે મરતા જોયા. હેરિએટે એમની સારવાર કરવામાં રાત દિવસ જોયા નહીં, મૃત્યુઘાતક રોગનો ચેપ લાગે તેમ હોવા છતાં તેની કોઈ પરવા કરી નહીં.

ગુલામોના મુક્તિદાતા અને બીમારોની સુશ્રૂષા કરનાર નર્સ હેરિએટે હવે જાસૂસ તરીકે કામ શરૃ કર્યું. કર્નલ જેમ્સ મોન્ટગોમેરી સાથે એણે એક જૂથ બનાવ્યું. આ જૂથ યુનિયન આર્મીમાં જોડાવા ઇચ્છતા ગુલામોની માહિતી રાખતું હતું. આ જૂથ દ્વારા ગોરા જમીનદારોને છાપો મારીને પજવવા અને ગુલામોને છૂટકારો આપવાનું કામ કરવામાં આવ્યું. આવી રીતે પાંચસો જેટલા ગુલામોને મુક્ત કર્યા અને એ બધાને લશ્કરમાં કામગીરી સોંપી. હેરિએટ એમ માનતી કે કાં તો મુક્ત થઈને જીવન જીવવું અથવા મરી જવું એ એનો જીવનમંત્ર છે.

અમેરિકામાં થયેલા આંતરવિગ્રહ બાદ આ બહાદુર નારીને લેખિકા સારાહ બ્રેડફોર્ડે એના પુસ્તકના વેચાણમાંથી મળેલી રકમ દાનમાં આપી. બારસો ડોલરની એ રકમથી હેરિએટે સેવાર્ડનો સાત એકરનો પ્લોટ ખરીદ્યો આજે પણ એ મકાન આ નારીના સ્મરણની સ્મૃતિ જાળવીને ઊભું છે.

આર્મીમાં જોડાઈ હોવાથી હેરિએટને માસિક વીસ ડોલરનું પેન્શન આપવાનું સરકારે ઠરાવ્યું. હેરિએટે એના મિત્રો સાથે સંપર્ક જાળવી રાખ્યો અને જે પ્લોટ ખરીદ્યો હતો, ત્યાં વૃદ્ધો અને જરૃરિયાતમંદ ગરીબ લોકોને રહેવા માટે વૃદ્ધાશ્રમ બનાવ્યું અને ત્યાં રહીને કાર્ય કર્યુ. પોતાના અવસાન પૂર્વે એ ઘર વૃદ્ધોને માટે આપી દીધું. એના ઘરની નજીકમાં આવેલા ફોર્ટ હિલ સ્મશાનગૃહમાં લશ્કરી માન સાથે હેરિએટને દફનાવવામાં આવી. અનેક શહેરોમાં પ્રવેશદ્વારે એના નામની તકતીઓ મૂકવામાં આવી. એક વિશાળ જહાજને પુરુષોને અપાય તે રીતે 'લિબર્ટી શીપ હેરિએટ ટયૂબમેન'નું સન્માન આપવામાં આવ્યું. એના નામની ટપાલ ટિકિટ બહાર પડી, તો વીસ ડૉલરની ચલણી નોટ પર એનું ચિત્ર મૂકવામાં આવ્યું. અમેરિકાના ઇતિહાસમાં અશ્વેત આફ્રિકન- અમેરિકનને અપાયેલું આ પ્રથમ સન્માન હતું. એની જિંદગી પરથી ચલચિત્ર બન્યું ૧૯૧૩માં અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને ગુલામીની પ્રથા નાબૂદ કરવાનો કાયદો પસાર કર્યો, ત્યારે હેરિએટના ચહેરા પર પરમ સંતોષની રેખા ઉપસી આવી હતી. પોતાના અશ્વેત બાંધવોને માટે એ સાચા અર્થમાં મોસીસ- મુક્તિદાતા બની રહી.


Tags :