Get The App

મારન બંધુઓના ઝગડા ડીએમકેને દઝાડશે : સમાધાન માટેના પ્રયાસો

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
મારન બંધુઓના ઝગડા ડીએમકેને દઝાડશે : સમાધાન માટેના પ્રયાસો 1 - image


- મુખ્ય પ્રધાન સ્ટાલીનને પણ ગાંઠતા નથી

- ઇનસાઇડ સ્ટોરી

- જો જૂના પોપડા ઉખડશે તો તે તમિળનાડુના સત્તાધારી પક્ષ ડીએમકેને છાંટા ઉડાડી શકે છે.

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દયાનિધિ મારન અને કલાનિધિ મારન વચ્ચેના ઝગડા હવે અખબારોમાં ચમકવા લાગ્યા છે. મારન બંધુઓ વચ્ચેના ઝગડા વહેલા મોડા ગંભીર બની શકે છે અને જો જૂના પોપડા ઉખડશે તો તે તમિળનાડુના સત્તાધારી પક્ષ ડીએમકેને છાંટા ઉડાડી શકે છે. ડીએમકેના સૂત્રોએ કહ્યું છે કે છેલ્લા ત્રણ મહિનામાં મુખ્યપ્રધાન એમ.કે સ્ટાલીને  બે વાર આ લડતા ભાઇએા વચ્ચે સમાધાન માટે પ્રયાસો કર્યા છે પરંતુ તેમનું કોઇ સાંભળવા તૈયાર નથી.

કહે છે કે કલાનિથિ મારન અને તેમની બહેન અનબુક્કર્શી સમાધાન માટે તૈયાર છે પરંતુ દયાનિધિ મારન લડી લેવાના મૂડમાં હોય એમ લાગી રહ્યું છે. સનટીવીના ગેરવહિવટ અને કલાનિથિ મારનના શેરફંડના ગોટાળા બાબતે દયાનિધિ મારને તેમને કાયદેસરની નોટિસ ફટકારી છે. તમિળનાડુનું એક સમયનું વગદાર બિઝનેસ અને રાજકીય ફેમિલી આજે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ મારન ફ્મિલી માત્ર તેમની કૌટુંબીક ઇમેજને ધક્કો નથી પહોંચાડતું પણ સત્તાધારી ડીએમકે પક્ષની ઇમેજ પણ ખરડાવી રહ્યું છે.

મારન બંધુઓના ઝગડા જેેવા સમાચાર માધ્યમોમાં ચગ્યા કે તરતજ તેમણે ખુલાસા કરવાના શરૂ કર્યા હતા પરંતુ તેમના દરેક ખુલાસા વિવાદોથી ભરેલા હતા. શરૂઆતમાં એમ કહેવાયું કે આ તો અમારો કૌટુંબિક મામલો છે માટે જવાબ આપવો જરૂરી નથી જણાતો. પરંતુ દરેક સમાચાર માધ્યમોેએ મારન કુટુંબના અહેવાલોને આપીને અનેક પ્રશ્નો પણ પૂછ્યા હતા.

હવે જ્યારે મારન ફ્મિલીમાં ચાલતા ઝગડાના વટાણા જાહેરમાં વેરાઇ ગયાછે ત્યારે તેનું નુકશાન ડીએમકે પક્ષને પણ થશે એમ પક્ષના સિનીયર નેતાઓ કહી રહ્યા છે.એેટલેજ મુખ્યપ્રધાન સ્ટાલીન સમાધાન માટે પ્રયાસ કરી રહ્યા છે.

પોતાના કૌટુંબીક ઝગડાની અસર પક્ષ પર પડશે તેવું જાણતા હોવા છતાં દયાનિધિ સમાધાનની વાત કરવા તૈયાર નથી. ડીએમકેના સોર્સ કહે છે કે મારન બંધુઓ હજારો કરોડ માટે લડી રહ્યા છે પરંતુ આ સંપત્તિ તેમણે કેવી રીતે ઉભી કરી તેની પણ ચર્ચા શરૂ થઇ છે. હજારો કરોડ રૂપિયા કેવી રીતે કમાયા તેની ચર્ચા થતાંજ ડીએમકે પક્ષમાં ચિંતા પેઠી છે કે આ વાત  ફરતા ફરતી તેમના પક્ષને બદનામ કરશે.

મારન ફેમિલીના વડા મુરસોલી મારન મૂળતો ડીએમકેના વડા એમ. કરૂનાનિધિના ભત્રીજા થાય અને તેમની બહુ નજીકના રાજકીય સાથી પણ હતા. ડીએમકેના કેન્દ્રીય રાજકારણના તખ્તા પર લઇ જવામાં મરસોલી મારનનો ફાળો બહુ મહત્વનો હતો. અંગ્રેજી અને તમિળમાં ધાણી ફૂટે એમ બોલતા મુરસોલી મારન પક્ષમાંની કોઇ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકતા હતા.

તે કરૂણાનિધિના ફિલ્મ પ્રોડક્શનમાં મદદ કરતા હતા અને પક્ષના દૈનિકના તંત્રી પદે હતા. એનડીએના શાસનમાં અટલજીની સરકારમાં તે કોમર્સ પ્રધાન હતા. કરૂણાનિધિને મળતા પહેલાં લોકોએ મારનને મળવું પડતું હતું. તેમના પુત્રે કલાનિથી નાના વિડીયો બનાવતો અને વીએચએસ કેસેટ વેચવાનો ધંધો કરતો હતો. ૧૯૯૩માં તેણે સન ટીવી શરૂ કર્યું હતું. શરૃાતમાં તે સિંગાપુરથી બ્રોડકાસ્ટ કરાયું હતું. ત્યારે દૂરદર્શનના સમાચારોની મોનોપોલી હતી. સન ટીવી જોતજોતામાં  તમિળનાડુમાં  ઘેરઘેર પ્રિય થઇ ગયું હતું. ડીએમકેના પીઠબળના કારણે તે મજબૂત થતાં ભારતનું સૌથી મોટું પ્રાદશિક મિડીયા ગૃપ સન ગૃપ ઉભું કર્યું હતું. કલાનિથી સનટીવી સંભાળતા હતા જ્યારે તેમનો ભાઇ દયાનિધિ રાજકારણમાં રસ લેતા હતા. તે ૨૦૦૪થી ૨૦૦૭ ટેલિકોમ પ્રધાન પણ હતા.

Tags :