સર્વદલીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ એમ કહ્યું કે સરહદે કોઇ ઘૂસ્યું નથી કે કોઇ પેાસ્ટ પર ચીને કબજો મેળવ્યો નથી. આ નિવેદનની ટીકાઓ થઇ રહી છે. જેના કારણે વડાપ્રધાનની ક્રેડીટ પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. જો વડાપ્રધાન કહે છે એવું હોય તો ભારતના ૨૦ જવાનો કેવી રીતે શહીદ થયા અને કોની સરહદમાં શહીદ થયા તે બાબતે પણ સ્પષ્ટતા કરવી જોઇએ.
જો મોદી એમ માનતા હોય કે તે સાચી વાત પર ઢાંક પીછોડો કરીને દેશની આંખમાં ધૂળ નાખી શકશે તો તે સાવ ખોટા છે. આપણે સરહદી વિવાદના કારણે ચીનના હાથે આપણા લોકોને ગુમાવ્યા છે. શુક્રવારે સર્વદલીય બેઠક મળી તેના બે દિવસ અગાઉ વિદેશ પ્રધાન જયશંકરે ચીનના વિદેશ પ્રધાન સાથે થયેલી વાતચીતમા કહ્યું હતું કે સરહદે સ્ટ્રક્ચર દુર કરવાના કારણે થયેલી અથડામણમાં ભારતના ૨૦ સૈનિકોએ જાન ગુમાવ્યા છે.
વડાપ્રધાન જ્યારે એમ કહેકે આપણી સરહદમાં કોઇ પ્રવેશ્યું નથી અને આપણી કોઇ ચોકીપર કોઇએ કબજો જમાવ્યો નથી જેવી શાબ્દિક રીતે ભરમાવે એવી વાતોથી એ વાત ઢંકાઇ નથી જવાની કે ચીનનું લશ્કર આપણી ૩૪૪૦ સ્કેવરમીટર વાળી વિવાદાસ્પદ સરહદમાં ઘૂસી આવ્યું હતું અને ગલવાન વેલી સહિતના કેટલાક વ્યૂહાત્મક ભાગો પર કબજો જમાવ્યો હતો.
આ વાત નકારી શકાય એમ નથી.પરંતુ થોભો, તેનો અર્થ એવો નથી થતો કે વડાપ્રધાન મોદીએ ચીને કબજે કરેલા પોઇન્ટ્સને સુપ્રત કરી દીધા છે કેમકે મોદીનો સ્વભાવ એવો છે કે તે આસાનીથી સરંડર થાય એમ નથી. ભાજપ પણ આવી નિતીમાં માને છે. નહેરૂ યુગની હાર અને સરંડર થવાની નિતી ભાજપ અપનાવે એમ લાગતું નથી.
ભારતના લેાકોને એ વાતનો વિશ્વાસ છે કે આપણા શહીદ થયેલા જવાનોનો બદલો સરકાર લેશે. પરંતુ તે બદલો ક્યારે અને કેવી રીતે લેવાશે તે જોવા રાહ જોવી પડશે. જે લોકો મોદીને ઓળખે છે તે જાણે છે કે તે ક્યારેય દગાખોરને છોડતા નથી. માય ફ્રેન્ડ ઝિનપીંગ એમ કહીને ચીનના વડાપ્રધાનને સંબોધન કરતાં મોદી માટે આ એક બોધપાઠ સમાન છે. ગલવાન ખાતેની અથડામણ બાદ જે રીતે સરહદે ભારતીય લશ્કરની હિલચાવ વધી છે તે જોતાં એમ લાગે છે કે ભારત વળતો પ્રહાર કરવાની તૈયારીમાં છે.
અક્ષય ચીન ખાતે ભારતના લશ્કરની અવર જવર માટે બંધાતા રોડ પર તે ગલવાનની ઉંચાઇ પરથી નજર રાખી શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે ગલવાન પર ક્યારેય ચીને પોતાને દાવો નહોતો કર્યો.
અહીં મહત્વનો મુદ્દો એ છે કે શું ભારત ચીને લીધેલા વિસ્તારનેે ખાલી કરાવી શકશે? જે રીતે ભારત એલઓસીપર લશકર ખડકી રહ્યું છે તે જોતાં એમ લાગે છે કે ભારત ચીનને સજા આપવા તૈયાર થઇ રહ્યું છે. પોતાના ૨૦ સૈનિકાને ગુમાવ્યા બાદ ભારત વધુ ગંભીર બન્યું હોય એમ લાગે છે.
વિશ્વમાં ચીન બદનામ છે. ચીનના ધમકી ભર્યા અને દાદાગીરી ભર્યા વર્તનનો અનુભવ અનેક દેશોને થઇ ચૂક્યો છે. ઝીન પીંગ જે રીતે આજીવન પ્રમુખ બની ગયા છે તે નિર્ણય યોગ્ય છે એમ દર્શાવવા તે પ્રયાસ કરી રહ્યા છે. ચીન તેના પાડોશી દેશોને પ્રેશરમાં રાખવા આર્થિક તેમજ લશ્કરી તાકાતનો ઉપયોગ કરી રહ્યું છે તે હવે સૌ જાણતા થઇ ગયા છે. નોર્થ કોરિયા સિવાયનો કોઇ દેશ ચીનનો મિત્ર નથી. ચીનની અનેક વારની દાદાગીરી જોઇને વિશ્વના દેશો ચીનથી નારાજ ચાલી રહ્યા છે.
અમેરિકાના કેટલાક અભ્યાસુઓએ એમ કહ્યું હતું કે બીજા વિશ્વ યુધ્ધ પછી જેમ નાટોની રચના કરાઇ હતી એમ ચીનના આર્થિક અને લશ્કરી જોહુકમ સામે એમેરિકા અને યુરોપના દેશોએ એક સંગઠન ઉભું કરવું જોઇએ. વિશ્વના ડેકોરમને ચીન સ્વિકારવા તૈયાર હોય એમ લાગતું નથી.
જ્યારે ઓસ્ટ્રેલિયાએ કોરોના વાઇરસના ચીનમાં રહેલા ઉત્પતિ સ્થાન વુહાન અંગે સ્વતંત્ર તપાસની માંગ કરી ત્યારે ચીને તેની આયાતી ચીજો પર વધારાની ડયુટી ઝીંકી દીધી હતી અને ઓસ્ટ્લિયામાં ભણતા ચીની વિધ્યાર્થીએાને પાછા બોલાવી લેવાની ધમકી ઉચ્ચારી હતી. ચીનમાં માનવ અઘિકારના ભંગ અંગે સ્વિડને ટીકા કરી ત્યારે ચીને સ્વિડનને ખખડાવી નાખ્યું હતું. ચીનની દાદાગીરીના આવા અનેક કિસ્સાઓ છે.


