Get The App

બિહારમાં તેજસ્વીને સીએમ બનવાના અભરખાથી વિવાદ

Updated: Jun 18th, 2025

GS TEAM


Google News
Google News
બિહારમાં તેજસ્વીને સીએમ બનવાના અભરખાથી વિવાદ 1 - image


- બિહાર કોંગ્રસ ખુલાસા કરી રહી છે

- ઇનસાઇડ સ્ટોરી

- કોંગ્રેસ માટે બિહારમાં જીત બહુ જરૂરી છે કેમકે  તેને કોઇ વિજય બૂસ્ટની જરૂર છે

બિહારની ચૂંટણી માટે તૈયારીઓ યુધ્ધના ધોરણે ચાલી રહી છે. કોંગ્રેસ અને આરજેડી સંયુક્ત રીતે ચૂંટણી જંગ જીતવાની વ્યૂહરચના કરી રહી છે. સામે છેડે વર્તમાનમાં સત્તાધારી પક્ષ જનતાદળ (યુ) અને ભાજપ પણ ફરી સત્તા પર આવવા પત્તાં ચીપી રહ્યા છે. લાલુ પુત્ર તેજસ્વી યાદવનો કોન્ફીડન્સ જોતાં એમ લાગે છે કે તે મુખ્ય પ્રધાન બનવા માટે રાજકીય રીતે સજ્જ થઇ રહ્યા છે. તેમના પક્ષના કાર્યકરો સાથે તે સતત સંપર્કમાં રહે છે અને નિતીશ કુમારે તેમના કુટુંબ સાથે ખાસ કરીને લાલુ પ્રસાદ યાદવ સાથે કરેલો દગો લોકોને યાદ કરાવે છે.

તેજસ્વી યાદવ તેમની સ્પીચમાં મુખ્યપ્રધાન નિતીશ કુમારને જાહેરમાં ગદ્દાર કહેતા અચકાતા નથી. તેમની સાથે નજીકથી સંકળાયેલા કાર્યકરો એમ કહેતા થઇ ગયા છે કે તેજસ્વી યાદવ મુખ્ય પ્રધાન બનવા જઇ રહ્યા છે. જેવી આ વાત ચગાવાઇ તે સાથેજ સાથી પક્ષ કોંગ્રેસ ચેતી ગયો હતો અને સ્પષ્ટતા કરી હતી કે તેજસ્વી બિહારના ચૂંટણી જંગમાં સંયોજનની પેનલના વડા તરીકે કામ કરે છે તે હકીકત છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે મુખ્ય પ્રધાન પદે આવશે.કોંગ્રેસના ઇન્ચાર્જ ક્રિષ્ના અલાવરૂએ કહ્યું હતું કે તેજસ્વી યાદવને સીએમના ચહેરા તરીકે ઉપયોગ કરાય છે તો ખોટું છે.

ક્રિશ્નાએ એમ પણ કહ્યું હતું કે સીએમના ફેસની બાબતે અમે સમય બગાડવા નથી માંગતા પરંતુ ચૂંટણી જીત્યાપછી ચૂંટાયેલા વિધાનસભ્યો બેસશે અને નિર્ણય કરશે.

આ વખતે ચૂંટણી જંગમાં પ્રશાંત કિશોરની પાર્ટી પણ  ઉતરી રહી હોઇ તે કોના મત કાપશે તે બાબતે ચર્ચા થઇ રહી છે. પ્રશાંત કિશોરના પક્ષે પાયાના લોકોને મળીને પોતાનું સ્થાન  મજબૂત બનાવવા પ્રયાસ કર્યો છે.

તેજસ્વી અને કોંગ્રેસ વચ્ચે રાજકીય જોડાણનું ટયૂનીંગ બહુ સારું છે પરંતુ બિહારના કેટલાક પાયાના કોંગીજનો જાહેરમાં લાલુપ્રસાદ યાદવના પરિવાર સાથેના જોડાણનો વિરોધ કરી રહ્યા છે. તેજસ્વીની યાદવની પકડ પક્ષ પર મજબૂત છે. મુખ્ય પ્રધાન બનવાના ચાન્સ તેમના હાથમાંથી ભૂતકાળમાં સરકી ગયેલા છે. માટે આ વખતે તે સખત પ્રયાસ કરી રહ્યા છે. તેમના નિવાસ સ્થાને રોજ સવારે સમર્થકોની ભીડ થાય છે અને તેમના પિતા લાલુની જેમ તેજસ્વી દરબાર ભરાતો થયો છે.

હજુ બેઠકોની ફાળવણી થઇ નથી પરંતુ જે રીતે તેજસ્વીના સમર્થકો ભાવિ મુખ્યપ્રધાન તરીકે ચીતરી રહ્યા છે તે જોઇને બિહાર કોંગે્રસ સ્તબ્ધ છે. કોંગી નેતાઓ દરેક જાહેર સભામાં કહે છે કે ચૂંટણી પછી મુખ્યપ્રધાન  પદે કોણ બેસશે તે જાહેર કરાશે પરંતુ તેજસ્વી અને સમર્થકો મુખ્યપ્રધાનની ખુરશી પરનો પોતાનો દાવો મજબૂત કરવામાં વ્યસ્ત રહે છે. રાષ્ટ્રીય જનતાદળના નેતાઓ જાણે છેકે અમારા સિવાય કોંગ્રેસ પાસે કોઇ વિકલ્પ નથી, તેથી તે પરિસ્થિતનો લાભ ઉઠાવે છે.

કોંગ્રેસ માટે બિહારમાં જીત બહુ જરૂરી છે. છેલ્લા કેટલાક સમયથી તેને કોઇ વિજય બૂસ્ટની જરૂર છે. બિહારમાં તે છેલ્લા ૩૦ વર્ષથી નંબર ટુ તરીકે રહી છે. હાલમાં પણ તે તેજસ્વી યાદવના રાષ્ટ્રીય જનતાદળના ટેકા વિના જીતી શકે એમ નથી. એટલેજ રાહુલ ગાંધી વાંરવાર બિહાર જઇને પક્ષના કાર્યકરોને મોટિવેશન પુરૃં પાડે છે. દરેક નીચલા વર્ગને સાથે રાખીને ચાલવાની કોંગ્રેસની નીતિને આવકાર મળી રહ્યો છે.

ભાજપે શાણપણ વાપરીને મુખ્યપ્રધાન તરીકે નિતીશનું નામ આગળ વધાર્યું છે પરંતુ દરેક જાણે છેકે જો એનડીએ જીતશે તો ભાજપ વાળા નિતીશને ઘરભેગા કરી દેતા નહીં ખચકાય. 

Tags :