World Stroke Day 2020 : જાણો, સ્ટ્રોકના લક્ષણ અને ઉપાય
- 29 ઑક્ટોબરના દિવસને વર્લ્ડ સ્ટ્રોક ડે તરીકે મનાવવામાં આવે છે
નવી દિલ્હી, તા. 29 ઑક્ટોબર 2020, ગુરુવાર
29 ઑક્ટોબરે વર્લ્ડ સ્ટ્રોક ડે તરીકે મનાવવામાં આવે છે. વર્લ્ડ સ્ટ્રોક ડે નો હેતુ, આ બીમારી વિશે વધુમાં વધુ જાગરૂકતા ફેલાવવાનો છે. જેનાથી સમય રહેતા લોકો આ બીમારીથી છૂટકારો મેળવી શકે. સ્ટ્રોક એટલે લકવો, જે એક એવી બીમારી છે જેમાં વ્યક્તિનો કોઇ પણ અંગ અચાનકથી કામ કરવાનું બંધ કરી દે છે. આ બીમારીમાં હાથ-પગમાં જીવ નથી રહેતો અને ઘણીવાર વ્યક્તિનો અવાજ પણ જતો રહે છે. જો સમયસર આ બીમારીની સારવાર ન કરવામાં આવે તો આ બીમારી મોતનું કારણ પણ બની શકે છે.
સ્ટ્રોક શું છે?
સ્ટ્રોક શરીરના કોઇ પણ ભાગમાં આવી શકે છે. પરંતુ સ્ટ્રોકને મુખ્યત્વે હૃદય અને મગજ સાથે કનેક્ટેડ જોવામાં આવે છે. મગજમાં આવતાં સ્ટ્રોકને બ્રેઇન સ્ટ્રોક કહેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં મગજ સુધી લોહી પહોંચવામાં મુશ્કેલી આવે છે, જેના કારણે મગજની કોશિકાઓ ખત્મ થવા લાગે છે. સ્ટ્રોક એ સ્થિતિ છે જ્યારે તમારું કોઇ અંગ અચાનકથી કામ કરવાનું બંધ કરી દે છે. જો તમને પણ આ પ્રકારનો અનુભવ થતો હોય તો તમારે તે સમયે જ ડૉક્ટર પાસે ચેકઅપ કરાવી લેવું જોઇએ.
ખાંડ અને મીઠાનું વધારે સેવન પણ સ્ટ્રોકનું કારણ બની શકે છે
જે લોકો ડાયાબિટીસ, કૉલેસ્ટ્રોલ, હાઇ બ્લડ પ્રેશર અથવા તો વધુ વજનની સમસ્યાથી પીડાય છે તો તેમને આ સમસ્યાઓથી માત્ર હૃદય સંબંધિત બીમારીઓ જ નહીં પરંતુ સ્ટ્રોકની શક્યતા પણ બની શકે છે. ઉલ્લેખનીય છે કે જે લોકો ખાંડ, મીઠું અને તળેલા પદાર્થોનું વધારે સેવન કરે છે તે લોકોમાં સ્ટ્રોકનું જોખમ વધારે હોય છે. સ્ટ્રોક એવી બીમારી છે જે કોઇ પણ વ્યક્તિને થઇ શકે છે, પરંતુ આ બીમારીથી પુરુષ વધારે પીડાય છે.
ડાયરેક્ટ માથા પર પાણી નાંખવાથી પણ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે
શું તમે જાણો છો કે સ્નાન કરવાની પણ એક અલગ રીત હોય છે. જો તમે ન્હાવાની યોગ્ય રીત નથી અપનાવી રહ્યા તો તેનાથી પણ સ્ટ્રોકની શક્યતાઓ વધી શકે છે. આપણે બધા સ્નાન કરતી વખતે સૌથી પહેલા માથેથી પાણી નાંખીએ છીએ, પરંતુ આ એક ખોટી આદત છે. આમ કરવાથી ન માત્ર સ્ટ્રોક પરંતુ આપણ અન્ય બીમારીઓના શિકાર પણ થઇ શકે છે. કારણ કે શરીરમાં લોહીનો પ્રવાહ ઉપરથી નીચે તરફ વહે છે. એવામાં જો તમે ડાયરેક્ટ ઠંડું પાણી પોતાના માથા પરથી નાંખશો તો તમારા મગજની કોશિકાઓ સંકોચાઇ જાય છે અને લોહીના ગઠ્ઠા પણ જામવા લાગે છે. માથા પર ડાયરેક્ટ પાણી નાંખવાથી આપણું માથું ઠંડું થઇ જાય છે, આ પરિસ્થિતિમાં હૃદયએ ઝડપથી ઉપરની તરફ લોહી મોકલવું પડે છે. તેનાથી હાર્ટ અટેક અથવા તો મગજની નસ ફાટી શકે છે.
સ્ટ્રોકથી બચવાના ઉપાય
તમારે દરરોજ દિવસભર પાણી અથવા પ્રવાહી પદાર્થનું સેવન વધારે કરવું જોઇએ. પોતાના આહારમાં મીઠું અને ચરબીનું પ્રમાણ ઘટાડવું જોઇએ. સ્ટ્રોકથી બચવા માટે તમારે પોતાના આહારમાં વિટામિન ઈ, સી અને એથી ભરપૂર પદાર્થ ખાવા જોઇએ. તેનાથી વધારે આદુનું સેવન ખૂબ જ ફાયદાકારક રહેશે કારણ કે આ લોહીને પાતળું કરવામાં મદદ કરે છે. લીલાં પાંદડાંવાળી શાકભાજીનું સેવન પણ વધારે કરો. બ્રેઇન સ્ટ્રોકનું એક મુખ્ય કારણ બ્લડ પ્રેશર પણ છે. એટલા માટે નિયમિત સમયથી પોતાના બ્લડ પ્રેશરની તપાસ કરાવી લો. દારૂ અને ધૂમ્રપાનનું સેવન ન કરવું જોઇએ.