ભારતમાં 26000 સરકારી હોસ્પિટલ અને સરેરાશ 1700 દર્દીએ માત્ર એક પથારી છે
ગ્રામીણ વિસ્તારોમાં દર 26000 લોકોએ એક એલોપેથિક ડોકટર ઉપલબ્ધ
ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો 3100 દર્દીઓએ 1 બેડ છે.
નવી દિલ્હી, 27 માર્ચ, 2020, શુક્રવાર
દેશભરમાં કોરોના વાયરસની મહામારીના પગલે લોક ડાઉન પાળવામાં આવી રહયું છે. લોકો ભીડ ઉભી ના કરે એ જ માત્ર કોરોના ચેપથી બચવાનો રસ્તો છે. આ વાયરસ હવામાં નહી પરંતુ કોરોના પોઝિટિવ દર્દીના સંસર્ગમાં આવવાથી ફેલાય છે. 3 માર્ચના રોજ 2020માં ભારતમાં કોરોના માત્ર 5 કેસ હતા જે બીજા જ દિવસે 27 થયા હતા. જયારે વર્તમાન સમયમાં 600થી વધુ કેસો નોંધાયા છે.
લોકડાઉન પહેલા જે સંક્રમણનો ભોગ બની ચૂકયા છે તેમના દ્વારા ચેપ ફેલાય તો મહામારીના સંજોગોમાં ભારત દેશ પાસે કેટલી મેડિકલ સુવિધાઓ અને હોસ્પિટલો છે તે જાણવું જરુરી છે. ખાસ કરીને શહેરો છોડીને ગ્રામીણ વિસ્તારો સુધી આ રોગ પહોંચી ગયો તો કેવી સ્થિતિ ઉભી થાય તે પણ સમજવું જરુરી છે. નેશનલ હેલ્થ પ્રોફાઇલ 2019ના આંકડા અનુસાર ભારતમાં કુલ 26000 સરકારી હોસ્પિટલ છે જેમાં 21000 હજાર ગ્રામીણ વિસ્તારોમાં જયારે 5000 હોસ્પિટલ શહેરી વિસ્તારોમાં છે જો કે હોસ્પિટલોમાં દર્દીઓ અને બેડની સંખ્યાનો રેશિયો ચિંતાજનક છે.
ભારતના શહેરી વિસ્તારોમાં 1700 દર્દીઓ એ 1 બેડ છે. ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો 3100 દર્દીઓએ 1 બેડ છે. જો રાજયવાર ગણતરી કરીએ તો બિહારની સ્થિતિ સૌથી ખરાબ છે. 2011ની જનગણના મુજબ ગ્રામીણ વિસ્તારોમાં 10 કરોડ લોકો રહે છે અહી 16000 દર્દીઓએ 1 બેડ છે. તામીલનાડુની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારોમાં કુલ 40179 બેડ અને કુલ 690 હોસ્પિટલ છે આ આંકડા મુજબ તામિલનાડુમાં એક બેડ સરેરાશ 800 જેટલા દર્દીઓ છે. રુરલ હેલ્થ સ્ટેટિસ્ટિકસના જણાવ્યા મુજબ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં દર 26000 લોકોએ એક એલોપેથિક ડોકટર ઉપલબ્ધ છે જયારે વર્લ્ડ હેલ્થ ઓર્ગાનાઇઝેશનના નિયમ મુજબ ડોકટર અને દર્દીઓ વચ્ચેની સરેરાશ 1000 દર્દીઓએ 1 ડોકટર હોવો જોઇએ.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ આઇસીએમઆરની મંજુરી ધરાવતી કુલ 116 સરકારી લેબોરેટરીઝ છે જેમાં કોવિડ-19 ટેસ્ટિંગ માટે 89 ઓપરેશનલ લેબ છે જયારે 27 લેબ ચાલું થવાની પ્રક્રિયામાં છે. જયાં સૌથી વધારે કોરોના વાયરસના દર્દીઓ જોવા મળ્યા છે એ મહારાષ્ટ્રની વાત કરીએ તો 8 સરકારી મંજુરી ધરાવતી ટેસ્ટિંગ લેબમાંથી 4 મુંબઇ, 3 પૂણે અને 1 નાગપુરમાં છે. મહારાષ્ટ્ના અંતરિયાળ ગણાતા ગઢ ચિરોલી જિલ્લાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોથી નાગપુરની લેબ 170 કિમી જેટલી દૂર છે.
કોલ્હાપુરના દક્ષિણ જિલ્લાને પૂણે નજીકનું સેન્ટર જે 230 કિમી જેટલું દૂર છે. સીમિત સંખ્યામાં ટેસ્ટ સેન્ટરો હોવાથી ગ્રામીણ વિસ્તારોના લોકો માટે ટેસ્ટિંગ ખૂબજ દૂર પડે છે. બિહાર જેવા ગરીબ રાજયમાં પણ માત્ર 5 ટેસ્ટિંગ લેબોરેટરી છે જયાં કોવિડ-19નો ટેસ્ટ થઇ શકે છે જેમાન 3 સેન્ટર પટણા જયારે 2 દરભંગામાં છે. કિશનગંજથી દરભંગા 250 કીમી દૂર છે જયારે ઉત્તરી પશ્ચિમી ચંપારણથી ટેસ્ટિંગ માટે દર્દીએ 230 કિમી દૂર આવેલા દરભંગા જ આવવું પડે છે. આમ બિહાર જેવા રાજયોના ગ્રામીણ વિસ્તારોમાં જો કોરોના જેવી મહામારી ફેલાય તેવા સંજોગોમાં લેબથી માંડીને હોસ્પિટલ અને બેડ સહિતની મેડિકલ સુવિધાઓનો વિચાર કરવો જરુરી છે.