ગળામાં ઈંફેક્શન અને ખાંસી લસણ ચાવવાથી થશે દૂર, જાણો સરળ ઉપાય
અમદાવાદ, 4 જાન્યુઆરી 2019, શુક્રવાર
ગળામાં ઈંફેકશન અને ખાંસી શ્વસન તંત્રમાં કોઈ ખરાબી હોવાનો સંકેત કરે છે. જ્યારે ગળાના અંદરના ભાગમાં સોજો આવે ત્યારે ઉધરસ કે ગળું ખરાબ થઈ જાય છે. આવી સ્થિતીમાં શરદી પણ થઈ શકે છે. આ સમસ્યાને દૂર કરવા માટે આયુર્વેદમાં લસણ ખાવાની સલાહ આપવામાં આવે છે. ગળામાં જ્યારે સમસ્યા થાય ત્યારે ઠંડી વસ્તુઓનું સેવન કરવું નહીં. આ ઉપરાંત તેલવાળા પદાર્થ પણ ખાવા જોઈએ નહીં. આ સાથે જ નીચે દર્શાવેલા ઘરગથ્થુ ઉપચાર કરી સમસ્યાને દૂર કરી શકાય છે.
લીંબૂ પાણી પીવું
ગળામાં ખરાશ હોય ત્યારે લીંબૂ પાણી પીવું લાભકારી રહે છે. એક ગ્લાસ પાણીમાં લીંબૂં, એક ચમચી ખાંડ અને ચપટી નમક ઉમેરી રોજ પી જવું.
લસણ
લસણ સૌથી વધારે ગુણકારી સાબિત થાય છે. કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધારવામાં લસણ ઉપયોગી સાબિત થાય છે. લસણમાં એલીસિન નામનું તત્વ હોય છે. આ તત્વ ઈંફેકશનના કારણે ઉત્પન્ન થતા જીવાણુંને મારે છે.
ગરમ પાણીના કોગળા
ગરમ પાણીના કોગળા કરવાથી ગળામાં થતા દુખાવાથી રાહત મળે છે. ઘણીવાર ગળામાં સોજો આવી જવાથી દુખાવો થાય છે. આવામાં સોજો ઘટે તે માટે ગરમ પાણીમાં નમક ઉમેરી અને તેનાથી કોગળા કરવા જોઈએ.
આદુનો ઉપયોગ
પેટની સમસ્યા હોય કે ગળાની આદુ આ સમસ્યાને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. આ ગુણના કારણે ગળાનો સોજો અને દુખાવો દૂર થાય છે. એટલે આદુનું સેવન ગળાની સમસ્યા હોય ત્યારે કરતાં રહેવું.
મુલેઠી
મુલેઠી ચાવવાથી પણ ગળાની સમસ્યા દૂર થાય છે. વાતાવરણમાં પરિવર્તન થવાના કારણે ગળાની સમસ્યાઓ થતી હોય તો તેમાં મુલેઠીનો ટુકડો મોંમાં રાખી તેનો રસ ગળે ઉતારવો. 1થી 2 દિવસમાં આરામ મળી જશે.
લવિંગ
લવિંગમાં એંટીબેક્ટીરીયલ ગુણ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેને ચાવવાથી ગળાનો સોજો અને ખરાશ દૂર થાય છે.