World Parkinson's Day: ગુજરાતમાં પાર્કિન્સન એટલે કે કંપવાતના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જીવનશૈલીને કારણે હવે યુવાનો તેમજ મહિલાઓમાં પણ પાર્કિન્સનના કેસ વધ્યા છે. ખોરાકમાં વધુ પડતો મેંદો, પ્રિઝર્વેટિવ ફૂડ, સ્ટ્રેસને કારણે આગળ જતાં પાર્કિન્સન થઈ શકે છે.
દર વર્ષે 11 એપ્રિલના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે
દર વર્ષે 11 એપ્રિલની ઉજવણી 'વર્લ્ડ પાર્કિન્સન ડે' તરીકે કરવામાં આવે છે. ડૉ. જેમ્સ પાર્કિન્સને 1817માં સૌપ્રથમ આ રોગનાં લક્ષણોની વિસ્તૃત માહિતી આપી હતી. તેથી આ રોગ તેમના નામે ઓળખાય છે. ડૉક્ટરોના મતે પાર્કિન્સન ડિજનરેટિવ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. આપણા શરીરને ઉપયોગી એવું મગજનું રસાયણ ડોપામાઈનને રીલિઝ કરતા મગજના કોષો અમુક કારણોસર નાશ પામવાથી આ રોગનાં લક્ષણો જણાય છે.
દર્દી મુજબ અલગ તીવ્રતા
ડૉક્ટરોના મતે, પાર્કિન્સનમાં રોગની તીવ્રતા તેમજ આગળ વધવાની ગતિ દરેક દર્દી મુજબ અલગ હોય છે. રોગના લક્ષણોની શરૂઆત મોટાભાગે શરીરની એક બાજુ - જમણા કે ડાબા અંગથી થાય છે. અમુક દર્દીઓમાં આગળ જતાં થોડા વર્ષોમાં તે બંને અંગોમાં પ્રસરે છે. તબીબી દ્રષ્ટિએ આ રોગને જુદી જુદી 5 અવસ્થામાં વહેંચી શકાય છે. શરૂઆતનો પ્રાથમિક તબક્કો સ્ટેજ-1 તરીકે જ્યારે આગળ વધેલો તબક્કો સ્ટેજ-5 ગણાય છે.
ઉંમરના અમુક તબક્કે યોગ્ય ડાયેટ કરવામાં આવે અને પૌષ્ટિક ખોરાક લેવાથી પાર્કિન્સનને થવાથી અટકાવી શકાય છે. પાર્કિન્સન વાયુથી થતો રોગ છે અને તેની દવા છે. પરંતુ તેમાં સાઈડ ઈફેક્ટ હોય છે.
આ પણ વાંચો: દેશમાં ચૂંટણી ઈતિહાસમાં પહેલી વખત ઉમેદવાર સામે ઈવીએમની તપાસ થશે
કંપવાતના લક્ષણો શું હોય છે?
- કંપવાતનું પ્રમાણ વધી જાય ત્યારે વ્યક્તિને ચમચી પકડવામાં પણ તકલીફ પડવા લાગે છે.
- હાથ, પગ અથવા ચહેરા પર સામાન્ય રીતે આરામની સ્થિતિમાં ધ્રુજારી.
- રોજિંદા કાર્યો ધીમા પડી જવા.
- હાથ-પગમાં જકડન અનુભવવી.
- ચાલવામાં તકલીફ, પડી જવાનો ભય.
- અક્ષરો નાના થવા, ચહેરાના હાવભાવ ઓછા થવા, ઊંઘમાં ખલેલ-અવાજ ધીમો થવો.


