World ORS Day 2020: શું હોય છે આ ORS? તેને કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે
- ઓઆરએસના મહત્ત્વને સમજાવવાના હેતુથી દર વર્ષે 29 જુલાઇના રોજ ORS ડે મનાવવામાં આવે છે
નવી દિલ્હી, તા. 29 જુલાઇ 2020, બુધવાર
તબીબી ક્ષેત્રમાં આટલો બધો વિકાસ થયા પછી પણ ડાયેરિયા વિશ્વભરમાં 5 વર્ષથી નાની ઊંમરના બાળકોના મૃત્યુનું બીજું સૌથી પ્રમુખ કારણ છે. દર વર્ષે ડાયેરિયાના કારણે લગભગ 15 લાખ બાળકોનું મૃત્યુ થઇ જાય છે. એઇડ્સ, મેલેરિયા અને ઓરી જેવી બીમારીથી કુલ જેટલા નાના બાળકોના મૃત્યુ થાય છે તેનાથી કેટલાય વધારે બાળકોનું મૃત્યુ ડાયેરિયાને કારણે થાય છે. વિકાસશીલ દેશોમાં ડાયેરિયા વધુ પ્રચલિત છે અને તેનું કારણ છે સાફ અને સુરક્ષિત પીવાના પાણીની અછત અને સાફ-સફાઇનો અભાવ અને આ સાથે જ વસતી વધારાને કારણે સમગ્ર સ્વાસ્થ્ય અને પોષણની ખામી હોવી. ડૉક્ટરનું કહેવું છે કે ડાયેરિયાને કારણે થતા લગભગ 70 ટકા મૃત્યુને ઓરલ રિહાઇડ્રેશન મીઠું ધરાવતા સોલ્યુશન સાથે સરળતાથી રોકી શકાય છે જે એક ખૂબ જ સરળ ખાંડ અને મીઠાનું સોલ્યુશન છે.
ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ એટલે કે ઓઆરએસના મહત્ત્વને ઉજાગર કરવાના હેતુથી દર વર્ષે 29 જુલાઇના રોજ ORS ડે મનાવવામાં આવે છે. ORS ઘણી સસ્તી અને ફાયદાકારક પદ્ધતિ છે તેની મદદથી જોખમી બીમારીઓ સામે લડી શકાય છે.
શરીરને કેવી રીતે અસર કરે છે ડાયેરિયા?
ડાયેરિયા, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એટલે કે જઠરાંત્રિય સાથે સંકળાયેલી ખૂબ જ સામાન્ય બીમારી છે જે થોડાક કલાક સુધી રહે છે અથવા તો કેટલાક દિવસો સુધી. વ્યક્તિના જીવિત રહેવા માટે શરીરમાં જેટલું પણ પાણી અને મીઠાની જરૂર હોય છે, તેટલું ડાયેરિયા થવા પર આ આવશ્યક મીઠું અને પાણી ખતમ થઇ જાય છે. ડાયેરિયા અથવા દસ્તથી મૃત્યુ પામનાર મોટાભાગના લોકો વાસ્તવમાં ગંભીર ડિહાઇડ્રેશન અને શરીરમાંથી તરલ પદાર્થોના નુકશાનને કારણે મરી જાય છે.
ORS હોય છે શું?
ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ જેને સામાન્ય બોલચાલની ભાષામાં ORSનો ઘોલ કહેવામાં આવે છે. આ શક્તિ વધારનાર એવું મિશ્રણ છે જે શરીરના ઇલેક્ટ્રોલાઇટ્સને પરત લાવવામાં મદદ કરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, ORSમાં 4 મૂળ તત્ત્વ હોય છે જેને 1 લિટર સાફ પીવાના પાણીમાં ઓગાળીને પીવામાં આવે છે. આ તત્ત્વો કંઇક આ મુજબ છે...
- સોડિયમ ક્લોરાઇડ જે સામાન્ય મીઠું છે (3.5 ગ્રામ)
- ટ્રાઇસોડિયમ સાઇટ્રેટ, ડીહાઇડ્રેટ (2.9 ગ્રામ)
- પોટેશિયમ ક્લૉરાઇડ (1.5 ગ્રામ)
- ગ્લૂકોઝ એટલે કે ખાંડ (20 ગ્રામ)
સામાન્ય રીતે ORSનું મિશ્રણ બજારમાં સરળતાથી મળે છે પરંતુ જો તમે માર્કેટ જઇને ખરીદી નથી શકતા તો તમે તેને ઘરે પણ બનાવી શકો છો.
ડાયેરિયામાં કેવી રીતે મદદ કરે છે ORS?
ડાયેરિયા દરમિયાન દર્દીના શરીરમાં રહેલાં તમામ મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સને નુકશાન પહોંચે છે ડાયેરિયામાં મિનરલ્સ અને પાણી શરીરમાંથી બહાર નિકળી જાય છે અને દર્દીના શરીરમાં ગંભીર રૂપે પાણીની અછત સર્જાય છે. ડિહાઇડ્રેશનની સમસ્યા પેદા થાય છે. ડાયેરિયાને કારણે ડિહાઇડ્રેશનની સમસ્યાના સારવાર માટે દર્દીને ઘરે જ વધુ પ્રવાહી પદાર્થ આપવામાં આવે છે અથવા તો દર્દીને ગ્લૂકોઝ-ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન આપવામાં આવે છે જેને ઓરલ રિહાઇડ્રેશન સૉલ્ટ અથવા ORS મિશ્રણ કહેવામાં આવે છે.
ઘરમાં જ પ્રવાહી પદાર્થોનું વધુ પ્રમાણ અને ORSના મિશ્રણનો ઉપયોગ ડાયેરિયાથી પીડિત બાળકની સારવાર માટે સૌથી અસરકારક ઉપચાર માનવામાં આવે છે. જો કોઇ બાળકને એક દિવસમાં 3 અથવા તેનાથી વધારે વખત લૂઝ મોશનની ફરિયાદ રહે છે તો તે બાળકને ORSનું મિશ્રણ આપવાની સલાહ આપવામાં આવે છે.
ઘરમાં કેવી રીતે બનાવશો ORS?
જો તમારા ઘરમાં ORSનું પેકેટ હાજર નથી અને ઇમરજન્સીની પરિસ્થિતિમાં તમને તેની જરૂર પડે છે તો તમે ઘરમાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને સરળતાથી જ ORS તૈયાર કરી શકો છો. જાણો, કેવી રીતે...
- 1 લીટર સ્વચ્છ પાણી (તમે ઇચ્છો તો પાણીને ઉકાળીને પણ વાપરી શકો છો)
- 30 ગ્રામ ખાંડ (6 ચમચી ખાંડ)
- અડધી ચમચી મીઠું
આ તમામ વસ્તુઓને એવી રીતે મિક્સ કરો કે જેથી ખાંડ અને મીઠું સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય. તમે ડિહાઇડ્રેશનની પરિસ્થિતિમાં આ મિશ્રણના ઉપયોગથી શરીરમાં સર્જાતી પાણીની ઊણપને દૂર કરી શકો છો.
આ મિશ્રણ બનાવતી વખતે બધી વસ્તુઓના પ્રમાણનું ખાસ ધ્યાન રાખો. કારણ કે વધુ પડતી ખાંડ ડાયેરિયા વધારી શકે છે. અને વધુ પડતું મીઠું પણ બાળકના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.
બાળકોને કેટલું ORS આપવું જોઇએ?
ડાયેરિયાથી પીડિત કોઇ બાળક હોય અથવા તો કોઇ વૃદ્ધ હોય તો તેમને સૂચવવામાં આવે છે કે તેઓ જેટલું શક્ય હોય તેટલું ORSનાં મિશ્રણનું સેવન કરે.
- જો બાળકની ઉંમર 2 વર્ષથી ઓછી છે તો દર વખતે મળત્યાગ બાદ બાળકને 250 મિલીલીટર વાળા કપના એક ચતુર્થાંશ અથવા અડધા કપ સુધી ORS આપી શકો છો.
- 2 વર્ષથી વધુ ઉંમરના બાળકને દર વખતે મળત્યાગ બાદ અડધો કપ અથવા એક કપ ORSનું મિશ્રણ પીવડાવો.