Get The App

શું વાઈરસ ક્યારેય મરતો નથી? બે વર્ષ પછી અચાનક કોરોના કેસ વધવા પાછળ સમજો વૈજ્ઞાનિક કારણ

Updated: May 29th, 2025

GS TEAM


Google News
Google News
શું વાઈરસ ક્યારેય મરતો નથી? બે વર્ષ પછી અચાનક કોરોના કેસ વધવા પાછળ સમજો વૈજ્ઞાનિક કારણ 1 - image


Covid 19 virus In India: કોરોના વાઇરસે વર્ષ 2019માં આખી દુનિયા પર અજગર ભરડો જમાવી દીધો હતો. તેનો પ્રભાવ ઘટતા ઘટતા વર્ષ 2023 આવી ગયું હતું, પરંતુ હવે બે વર્ષની શાંતિ બાદ કોરોના વાઇરસ ફરીથી ત્રાટક્યો છે. કેરળ, મુંબઈ સહિત ગુજરાતમાં પણ ધીમેથી દેખા દીધા પછી કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. ફક્ત કોરોના જ નહીં, તમામ પ્રકારના વાઇરસ જીવંત ન હોવા છતાં જીવંત હોય એવા જીવોનો ભોગ લેવામાં ઉસ્તાદ હોય છે. તે પરિવર્તન પામે છે, યજમાન બદલે છે અને કોષોમાં વૃદ્ધિ પામતા રહે છે. ખતરનાક વાઇરસ કઈ રીતે સમયાંતરે પુનરાગમન કરે છે, એના કારણો સમજીએ.

વાઇરસ મરે છે ખરા?

વાઇરસ જીવંત પ્રાણી નથી. તે મનુષ્યો, પ્રાણીઓ અથવા વનસ્પતિના કોષોની અંદર રહીને તેમની સંખ્યા વધારે છે. યજમાન ન મળે ત્યારે વાઇરસ નિષ્ક્રિય થઈ જાય છે. યજમાન મળતા જ તેઓ સક્રિય થઈને સંખ્યા વધારવા લાગે છે અને છેવટે યજમાનના શરીર પર હુમલો કરી દે છે. ખુલ્લા વાતાવરણમાં વાઇરસ લાંબો સમય ટકી શકતા નથી, મરી જાય છે. અલબત્ત, એક વાઇરસને પણ જો યજમાન શરીર મળી જાય તો એ એકમાંથી સેંકડો થતાં વાર નથી લાગતી.

વાઇરસ મ્યુટેશન દ્વારા રૂપ બદલે છે 

વાઇરસ બહુરૂપીની જેમ પોતાનું રૂપ બદલતા હોય છે. મ્યુટેશન દ્વારા તે નવું સ્વરૂપ ધરે છે. નવા વેરિયન્ટ પર જૂની દવાની અસર થતી નથી અથવા ઓછી થાય છે. ઉદાહરણ તરીકે, જૂના કોરાના વાઇરસે મ્યુટેશન દ્વારા NB.1.8.1, JN.1 અને LF.7 જેવા નવા રૂપ ધારણ કર્યા છે. ભારતમાં હાલ જેટલા પણ કોરોના કેસ જોવા મળી રહ્યા છે એમાંના 53 % કેસોમાં JN.1 વાઇરસ જોવા મળ્યો છે.

કોરોનાનું પુનરાગમન કેમ થયું?

છેલ્લાં કેટલાક સમયથી, ભારત, સિંગાપોર અને હોંગકોંગ જેવા દેશોમાં કોવિડ-19 ના કેસ ફરી વધી રહ્યા છે. એની પાછળના વૈજ્ઞાનિક કારણો જોઈએ. 

1) રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવો

રસીનો ફાયદો વ્યક્તિ-વ્યક્તિએ અલગ-અલગ થાય છે. અગાઉના ચેપ સમયે લીધેલી રસીથી મેળવેલી રોગપ્રતિકારક શક્તિ સમય જતાં નબળી પડી શકે છે. ખાસ કરીને ઉંમરલાયક વડીલો સાથે આવું થવાની શક્યતા વધુ હોય છે. બુસ્ટર ડોઝ ન લેતા હોય, તો પણ વાઇરસ સામે લડવાની શક્તિ ઘટે છે. સિંગાપોરમાં એવું જ થયું છે. ઓછા બુસ્ટર ડોઝને કારણે કેસ વધી રહ્યા છે.

2) બેદરકારી પણ નડી જાય છે

કોરોનાના કેસ ઓછા હોય છે, ત્યારે લોકો માસ્ક, સેનિટાઈઝર અને એકબીજા વચ્ચે અંતર જાળવવા જેવા નિયમો પાળતા નથી. આવી બેદરકારી વાઇરસને ફરીથી ફેલાવાની તક આપે છે. જેને લીધે ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં વાઇરસ ઝડપથી ફેલાય છે.

3) હવામાન પણ વાઇરસને લાભકારી થાય છે

ઠંડું અને ભેજવાળું હવામાન, તથા વરસાદ વાઇરસના ફેલાવવામાં મદદરૂપ થાય છે. તેથી આવા મોસમમાં આપણે વિશેષપણે કાળજી રાખવી જોઈએ.

આ પણ વાંચોઃ કોંગ્રેસ નેતાઓ દ્વારા ભારે વિરોધ બાદ શશી થરૂરનો જવાબ, 'ઠીક લાગે એ કરો મારી પાસે બીજા ઘણા કામ'

4) મુસાફરી મુસીબત નોંતરી લાવે છે

અંતરિયાળ પ્રદેશમાં મુસાફરી કરી આવેલી વ્યક્તિ પોતાના ભેગો વાઇરસ પણ લઈ આવતો હોય છે, જે પછી એના પરિજનો અને સહકર્મીઓમાં ફેલાતો હોય છે. ચાઈનીઝ નવા વર્ષની ઉજવણી દરમિયાન મુસાફરી વધવાને કારણે સિંગાપોરમાં કોરોનાના કેસ વધ્યા હોવાનું તારણ નીકળ્યું છે.

કોરોનાના નવા વેરિયન્ટ કેટલા ખતરનાક છે?

કોરોનાના નવા વેરિયન્ટ જીવલેણ સાબિત થાય, એટલા ખતરનાક નથી, એ સમાચાર આશ્વાસનરૂપ કહી શકાય. વાઇરસના નવા પ્રકારોને લીધે અત્યાર સુધી તો તાવ, ખાંસી અને શરદી જેવા હળવા લક્ષણો જ દેખાયા છે. ભારતમાં કોરોનાગ્રસ્ત થયેલા દર્દીઓ પૈકીના મોટાભાગનાને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી. 

કોરોનાથી બચવા માટે શું કરવું?

  • શક્ય હોય ત્યાં સુધી ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો.
  • કોરોનાથી બચવા માટે ઘરની બહાર ક્યાંય પણ જાઓ ત્યારે માસ્ક પહેરો. 
  • રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રસીનો બુસ્ટર ડોઝ લો.
  • તાવ, ઉધરસ અથવા શ્વાસ લેવામાં તકલીફ હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.
  • હાથ નિયમિત રીતે સાબુથી સ્વચ્છ કરો અને સેનિટાઈઝરનો ઉપયોગ કરો.

શું વાઈરસ ક્યારેય મરતો નથી? બે વર્ષ પછી અચાનક કોરોના કેસ વધવા પાછળ સમજો વૈજ્ઞાનિક કારણ 2 - image

Tags :