Get The App

બેક્ટેરિયલ ઇન્ફેક્શનની દિશામાં ભારતની ક્રાંતિકારી શોધ, પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટિક દવા બનાવી, જાણો ફાયદા

Updated: Dec 3rd, 2024

GS TEAM

Google News
Google News
New Antibiotic for Pneumonia

India Develops New Antibiotic for Pneumonia: શ્વસન સંબંધી સમસ્યાઓને આરોગ્ય ક્ષેત્ર પર વધારાનું દબાણ માનવામાં આવે છે. દરેક ઉંમરના લોકોને અસ્થમા, બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયા જેવા રોગોનું જોખમ રહેલું છે, જેની કાળજી લેવામાં ન આવે તો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ન્યુમોનિયા એક ગંભીર રોગ છે જેના કારણે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે. ફેફસામાં આ ચેપ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. આ રોગનું જોખમ બાળકોમાં સૌથી વધુ જોવા મળ્યું છે.

ભારતે ન્યુમોનિયા માટે તૈયાર કરી સ્વદેશી એન્ટિબાયોટિક

ભારતે આ રોગની સારવારમાં મોટી સફળતા હાંસલ કરી છે. ભારતે કોમ્યુનિટી-એક્વાર્ડ બેક્ટેરિયલ ન્યુમોનિયા (CABP) નામના ચેપનો ઈલાજ શોધી કાઢ્યો છે. વૈજ્ઞાનિકોએ પ્રથમ સ્વદેશી એન્ટિબાયોટિક દવા 'નેપિથ્રોમાસીન' તૈયાર કરી છે, જેના ત્રણ ડોઝથી ચેપ ઘટાડી શકાય છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ભારતની આ સફળતાની સત્તાવાર જાહેરાત કરી હતી.

ન્યુમોનિયાના કારણે બાળકોમાં મૃત્યુનું જોખમ

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ્સ મુજબ, ન્યુમોનિયા એ વિશ્વભરમાં બાળકોમાં મૃત્યુનું સૌથી મોટા સંક્રમણનું કારણ છે. ન્યુમોનિયાને કારણે દર વર્ષે પાંચ વર્ષથી ઓછી ઉંમરના 7.25 લાખથી વધુ બાળકો મૃત્યુ પામે છે, જેમાં લગભગ 1.90 લાખ નવજાત શિશુઓનો સમાવેશ થાય છે. વૃદ્ધોમાં પણ આ રોગનું જોખમ વધારે છે. ડૉક્ટરોનું કહેવું છે કે આ બીમારી કોઈ બેક્ટેરિયા, વાયરસ કે ફંગસથી થઈ શકે છે.

ન્યુમોનિયા માટે એન્ટિબાયોટિક્સ

એન્ટિબાયોટિક નેફિથ્રોમાસીનને બાયોટૅક્નોલૉજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ(બીઆઈઆરએસી) સાથે મળીને વિકસાવવામાં આવી છે. તે દેશની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત એન્ટિબાયોટિક છે જેનો હેતુ એન્ટિમાઇક્રોબાયલ પ્રતિકારનો સામનો કરવાનો છે. 

આ દવા CABP દર્દીઓને ત્રણ દિવસ સુધી દિવસમાં એકવાર આપવામાં આવશે. 15 વર્ષમાં આ દવા પર ઘણા ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા છે. તેમાં અમેરિકા અને યુરોપમાં હાથ ધરવામાં આવેલા પ્રથમ અને બીજા તબક્કાના ટ્રાયલનો પણ સમાવેશ થાય છે. આ દવાએ તાજેતરમાં ભારતમાં ત્રીજો તબક્કો પૂર્ણ કર્યો હતો.

દવાના ફાયદા

- એઝિથ્રોમાઇસીન કરતાં 10 ગણી વધુ અસરકારક છે

- આઠ ગણો વધુ સમય સુધી ફેફસામાં રહે છે

- દરરોજ એક ગોળી સાથે ત્રણ દિવસમાં કોર્સ પૂરો થશે 

- એન્ટિબાયોટિક્સના દુરુપયોગનું જોખમ ઘટશે

- સારવાર ટૂંકી, સરળ અને અસરકારક બનાવશે

- દર્દીઓ પર સલામત અને ઓછી આડઅસર

- તમારે લાંબા સમય સુધી હૉસ્પિટલોમાં રહેવું પડશે નહીં.