લક્ષણો પરથી ફલૂ તાવ અને કોરાના વાયરસ વચ્ચેનું અંતર કેવી રીતે સમજશો ?
ફલુના લક્ષણો બે કે ત્રણ દિવસ રહે છે અને સારવારથી મટી જાય છે, જયારે કોરોના મટતો નથી
કોરોના વાયરસ ગળામાં જઇને મલ્ટીપ્લાય થતો હોવાથી દુખાવો થાય છે
અમદાવાદ, 25 માર્ચ, 2020, બુધવાર
શિયાળાએ ઘણા સમયથી વિદાય લીધી પરંતુ ઉનાળો હજુ શરું થયો નથી. આ બેવડી ઋતુમાં ઘણાને શરદી,તાવ અને માથું દુખવાનું રહેતું હોય છે. અત્યારે અત્યંત ખતરનાક કોરોના વાયરસની મહામારી પણ ચાલે છે. આવા સમયે શરદી થાય કે ગળામાં દુખાવો થાય ત્યારે પણ ટેન્શન થઇ જાય છે. કોરોના વાયરસના સંક્રમણમાં પણ તાવ,ખાંસી, નાકમાંથી પાણી વહેવું વગેરે જોવા મળે છે જયારે વધુ ગંભીર કેસમાં સંક્રમણથી ન્યૂમોનિયા,એકયૂટ રેસ્પિરેટરી સિંડ્રોમ અને કિડની ફેલ્યોર પણ થઇ શકે છે. જો કે કોરોના જેવા લક્ષણો ફલૂના દર્દીઓમાં પણ જોવા મળે છે આથી જ તો ફલુના લક્ષણો ધરાવતા લોકો પણ ગંભીરતાથી લઇને તપાસ માટે ડોકટર પાસે જાય છે. ડોકટર્સનું માનવું છે કે કોરાના અને ફલુ વચ્ચેનું અંતર સમજવું જરુરી છે. કોરોના સંક્રમણ અને ફલુ વચ્ચે પ્રથમ અંતર એ છે કે ફલુના લક્ષણો બે કે ત્રણ દિવસ રહે છે અને સારવારથી મટી જાય છે જયારે કોરાના બાબતે આવું થતું નથી.
બીજું કે કોરોનાના લક્ષણો ગંભીર થતા જાય છે અને ગળામાં તેજ ખારાશ થવા લાગે છે જેમાં ગળામાં તેજ બળતરા અને કશુંક ખૂંચતું હોય તેવો અનુભવ થાય છે. કોરોનામાં ગળામાં થતા દુખાવાનું કારણ આ વાયરસ ગળામાં જઇને મલ્ટીપ્લાય થાય છે ત્યાર પછી તે ફેફસામાં સંક્રમણ પેદા કરે છે. જો આવા લક્ષણો જણાય ત્યારે ડોકટર્સને મળવું જરુરી બને છે. એક માહિતી મુજબ કોરાના વાયરસનો પોઝિટિવ દર્દીની ખાંસી અને છિંકવાથી હવામાં જે સુક્ષ્મ બુંદો ફેલાય તેનો બીજાને ખૂબ ઝડપથી ચેપ લાગે છે. આસપાસના લોકોના નાક,મોં અને આંખોના માધ્યમથી શરીરમાં પ્રવેશ કરી શકે છે.આ સુક્ષ્મ બુંદોમાં રહેલા વાયરસના કણ નાક માર્ગ દ્વારા આગળ વધીને ગળાની કોશિકાઓને નબળી બનાવે છે. કોરોના વાયરસ ગળાથી આગળ વધે ત્યારે શરીરમાં તેનું પ્રમાણ ખૂબજ વધી જાય છે.
કોરોના વાયરસ બ્રોન્કિયલ ટયૂબ (શ્વાસનળી) ને નબળી પાડે છે
કોરોના વાયરસના કણ વધવાની સાથે જ ગળામાં ખારાશ અને સૂકી ખાંસી શરુ થાય છે. આ વાયરસના કણ બ્રોન્કિયલ ટયૂબ એટલે કે શ્વાસનળીઓને ધીમી કરી નાખે છે જયારે વાયરસ ફેફસામાં પહોંચે ત્યારે તેની સુક્ષ્મ નળીઓમાં સોજો આવે છે આથી એલ્વિયોલી એટલે કે ફેંફસાની થેલી ડેમેજ થઇ શકે છે એટલું જ નહી ફેંફસામાંથી લોહીને મળતા ઓકસીજનનો પૂરવઠો વધારવામાં અને કાર્બન ડાયોકસાઇડને ઓછો કરવામાં અવરોધ પેદા કરે છે.ફેંફસાની સુક્ષ્મનળીઓની સ્થિતિ સ્થાપકતા કઠણ બનાવી દે છે. ફેંફસાનો સોજો વધવાથી ઓકસીજનનો પ્રવાહ ઘટે છે અને ફેંફસામાં મૃત કોશિકાઓ વધી જાય છે આથી ન્યૂમોનિયા થઇ જાય છે. કેટલાક દર્દીઓને તો શ્વાસ લેવામાં એટલી બધી તકલીફ પડે છે કે તેને વેન્ટીલેટર પર રાખવા પડે છે સૌથી ખરાબ તો એકયૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેલ સિંડ્રોમ ગણવામાં આવે છે જેમાં ફેફસામાં એટલું બધુ પાણી ભરાઇ જાય છે કે શ્વાસ પણ લઇ શકાતો નથી અને કોરોના વાયરસના રોગીનું મુત્યુ થાય છે.
શું કોરોના વાયરસનું સેલ્ફ એસેસમેન્ટ થઇ શકે ?
કેટલાક તો ફલુના તાવના લક્ષણોને કોરાના માનીને ગભરાતા હોય છે તેમના માટે હિંદુ બિઝનેસ ઓનલાઇનના એક રિપોર્ટ મુજબ ભારતના એક મેડિકલ ગ્રુપે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અને કેન્દ્રીય સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ ભારતના સૂચનોને આધારે સેલ્ફ એસેસમેન્ટ સ્ક્રેન તૈયાર કર્યું છે જેને મેડિકલ સલાહ તરીકે લેવામાં આવતું નથી તેમ છતાં રાહત મળી શકે છે. આ એસેસમેન્ટમાં ઉંમર, જેન્ડર, છિંક ખાવાથી ગળામાં ખારાશ અને સૂકી ખાંસી, શરીરનું તાપમાન, પ્રવાસનો ઇતિહાસ, ભૂતકાળની બીમારીઓ જેમ કે ફેફસાના રોગો, કિડનીની બીમારી અને હાઇ બ્લડ પ્રેશર જેવા આઠ સવાલોનો સમાવેશ થાય છે. આ સવાલોના આધારે મળેલા સ્કોર પરથી કોરોના વાયરસનું જોખમ નકકી થાય છે તેના આધારે ચિકિત્સકની સલાહની કેટલી જરુર છે કે નહી એ પણ નકકી થાય છે.