માતાને દૂધ ઓછું આવવાથી બાળક ભૂખ્યુ રહે છે જાણો ઉપાય...
અમદાવાદ, તા. 3 સપ્ટેમ્બર 2018 સોમવાર
માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન હોય છે. જે બાળકને પોષણ આપે છે. તે જ રીતે માતા માટે પણ સ્તનપાન કરાવવુ એ દુનિયાનું સૌથી મોટું સુખ હોય છે. જો કે ઘણીવાર કેટલાક કારણોસર સ્તનમાં દૂધની ઉણપ થઈ જાય છે.
પરિણામે બાળકને પર્યાપ્ત પ્રમાણમાં ભોજન મળતુ નથી. આ સ્થિતિ માતા અને નવજાત બંને માટે મુશ્કેલીઓ ઉભી કરે છે. અહીં એવાં કેટલાક ઉપાયો જણાવાયા છે. જે તમને આ સમસ્યાથી બચાવવામાં મદદ કરશે. જાણો કુદરતી રીતે દૂધ વધારવાના કેટલાક ઉપાયો.
1. પૌષ્ટિક આહાર
પૌષ્ટિક આહાર લેવાથી માતાના શરીરમાં દૂધનું પ્રમાણ વધવા લાગે છે. શરીરમાં પૂરતા પ્રમાણમાં દૂધ ઉત્પન્ન થાય એ માટે પૌષ્ટિક આહાર અત્યંત જરૂરી છે. જવ, ઘઉંના ફાડા(દલિયા) અને દૂધ ખાવાથી પણ ઘણો લાભ થાય છે.
2. સૂકો મેવો
માતા બન્યા પછી સુવાવડી સ્ત્રીએ શક્ય હોય એટલા સૂકા મેવાનું સેવન કરવું જોઈએ. કાજુ, બદામ, પિસ્તા, ટોપરું જેવાં મેવા સ્તનમાં દૂધની માત્રાને ખાસ્સી વધારે છે. સાથે જ તેમાં અઢળક પ્રમાણમાં વિટામિન, મિનરલ અને પ્રોટીન પણ ભરપૂર હોય છે.
3. તુલસી અને કારેલા
તુલસીને સૂપ કે મધ સાથે ખાઈ શકાય અથવા તો પછી ચામાં નાખીને પણ લઈ શકાય. કારેલા મહિલાઓમાં લેક્ટેશનને વ્યવસ્થિત રાખે છે. જોકે કારેલા રાંધતી વખતે મસાલાનો ઓછો ઉપયોગ કરવો. જેથી તે સરળતાથી પચી શકે.
4. વરિયાળી
આયુર્વેદ મુજબ વરિયાળી સ્તનમાં દૂધની અછતને દૂર કરવામાં મદદ કરે છે. તેથી જ આ દિવસોમાં દૂધનું પ્રમાણ જળવાઈ રહે તે માટે વરિયાળીનું સેવન કરવું જોઈએ.
5. લસણ
લસણ ખાવાથી પણ દૂધ બનવાની ક્ષમતા વધે છે. લસણને કાચું ખાવાને બદલે રાંધીને ખાવું વધારે લાભદાયી છે. જો લસણ તમે નિયમિત ખોરાકમાં લેતાં હશો તો તમને ચોક્કસ લાભ થશે.
બાળકને સ્તનપાન કરાવતી વખતે સ્તનને વારંવાર બદલતા રહેવા જોઈએ. આમ કરવાથી સ્તનમાં દૂધ વધશે અને બાળક પણ આરામથી સ્તનપાન કરી શકશે.
જન્મના એક કલાક પછી નવજાતમાં સ્તનપાન કરવાની તીવ્ર ઇચ્છા હોય છે. તેથી જન્મ પછી તરતજ બાળકને દૂધ આપવાનું શરૂ કરી દો. સામાન્ય રીતે જન્મના 45 મિનિટમાં સ્વસ્થ બાળકને સ્તનપાન શરૂ કરાવી દેવું જોઈએ.