ચોમાસામાં વ્રત કરતી વખતે ફળનું કરવું સેવન, તળેલા ફરાળથી રહો દૂર
અમદાવાદ, 8 જુલાઈ 2019, સોમવાર
ચોમાસાની ઋતુમાં તળેલું, ચટપટું ખાવાની ઈચ્છા વધારે થાય છે. આ ઋતુ દરમિયાન વ્રત અને તહેવારો પણ ખૂબ આવે છે તેથી લોકો ફરાળમાં પણ એવી વાનગી આરોગે છે જે તળેલી અને સ્વાદિષ્ટ હોય. ચોમાસાની ઋતુમાં જ્યારે વ્રત કરવાનું થાય ત્યારે આવા તળેલા ખોરાક પ્રમાણમાં ઓછા લેવા જોઈએ. આવા ખોરાક લેવાથી પેટ ખરાબ થઈ શકે છે. ફરાળમાં ફળ, સૂપ જેવી વસ્તુઓ જ લેવી જોઈએ. ફરાળ બનાવો તો તેમાં પણ સિંધાલૂણ અને કાળા મરીનો જ ઉપયોગ કરવો.
વ્રત દિવસભર કરવાનું હોય છે પરંતુ લાંબા સમય સુધી ખાલી પેટ રહેવું હિતાવહ નથી. દિવસ દરમિયાન થોડા થોડા સમયે ખોરાક લેવાની આદત રાખવી. ફરાળ દરમિયાન પ્રવાહી વધારે લેવું જોઈએ. ફરાળ હોય ત્યારે લીંબૂ પાણી, નાળિયેર પાણી, છાસ પીવાથી પેટ ભરેલું રહે છે અને ડિહાઈડ્રેશન પણ થતું નથી. ચોમાસાના દિવસોમાં પાણીની તરસ વધારે લાગતી નથી પરંતુ તેમ છતાં થોડું થોડું પાણી પીવાની ટેવ રાખવી. દિવસ દરમિયાન 4થી 5 લીટર પાણી પીવું જરૂરી હોય છે.