ભારતમાં 3 વર્ષથી રેબિઝની નકલી વેક્સિન વેચાઈ રહી છે, ઓસ્ટ્રેલિયાએ ચેતવણી જાહેર કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fake Antirabis Vaccine News : ઓસ્ટ્રેલિયાએ ભારતમાં બનેલી હડકવા વિરોધી રસી 'અભયરાબ' (Abhayrab)ના નકલી ડૉઝ અંગે ગંભીર ચેતવણી જારી કરી છે, જેના કારણે આરોગ્ય ક્ષેત્રમાં ચિંતાનો માહોલ છે. ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા જારી કરાયેલી ચેતવણીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ નકલી રસી 2023ના અંતથી ભારતમાં વેચાઈ રહી છે. જોકે, રસી બનાવનાર ભારતીય કંપનીએ આ દાવાને અયોગ્ય ગણાવ્યો છે અને સ્પષ્ટતા જારી કરી છે.
ઓસ્ટ્રેલિયાની ચેતવણીમાં શું કહેવાયું?
ઓસ્ટ્રેલિયન ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ (ATAGI) દ્વારા ગત સપ્તાહે આ ચેતવણી જારી કરવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું છે કે ઈન્ડિયન ઈમ્યુનોલોજિકલ્સ લિમિટેડ (IIL) દ્વારા નિર્મિત 'અભયરાબ' નામની અસલી રસી અને બજારમાં વેચાઈ રહેલી નકલી રસીના ફોર્મ્યુલેશન, પેકેજિંગ, લેબલિંગ અને નિર્માણમાં સ્પષ્ટ તફાવત છે. ATAGIએ ચેતવણી આપી હતી કે જે લોકોને આ નકલી રસી આપવામાં આવી છે, તેઓ કદાચ હડકવા સામે સંપૂર્ણપણે સુરક્ષિત નથી. આથી, સાવચેતીના ભાગરૂપે, આવા લોકોને રસીનો નવો ડોઝ લેવાની સલાહ આપવામાં આવી છે.
ભારતીય કંપનીએ આરોપોને નકાર્યા
ઓસ્ટ્રેલિયાની ચેતવણી બાદ, ઈન્ડિયન ઈમ્યુનોલોજિકલ્સ લિમિટેડ (IIL) એ સ્પષ્ટતા જારી કરીને ઓસ્ટ્રેલિયન સલાહને "અત્યંત સાવચેતીભરી" અને "અયોગ્ય" ગણાવી છે. કંપનીએ જણાવ્યું કે, "આ ચિંતા જાન્યુઆરી 2025માં ઓળખવામાં આવેલી એક ચોક્કસ બેચ (KA 24014) સાથે સંબંધિત છે".
IIL એ જણાવ્યું કે જેવી આ ગડબડી ધ્યાનમાં આવી, કંપનીએ તરત જ ભારતીય નિયામકો અને કાયદા અમલીકરણ એજન્સીઓને જાણ કરી હતી. આ મામલે ઔપચારિક ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી અને અધિકારીઓ સાથે મળીને તાત્કાલિક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી હતી.
નકલી બેચ હવે બજારમાં નથી: IIL
કંપનીએ ભારપૂર્વક જણાવ્યું કે આ એક છૂટીછવાઈ ઘટના હતી અને તે નકલી બેચ હવે બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ નથી. IILએ ઓસ્ટ્રેલિયન સરકારને તેની સલાહ પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. કંપનીએ ચેતવણી આપી છે કે આવી સલાહથી આરોગ્ય સેવા પ્રદાતાઓમાં ગેરસમજ ઉભી થઈ શકે છે અને સામાન્ય જનતાનો રસીઓ પરથી વિશ્વાસ ઘટી શકે છે.




