કાકડી ખાધા પછી પાણી પીવું કે નહીં ? તમને સતાવતા આ પ્રશ્નનો જાણો સાચો જવાબ
અમદાવાદ, 30 મે 2019, ગુરુવાર
ઉનાળામાં કાકડી ભરપૂર પ્રમાણમાં મળે છે. કાકડીનું સેવન નિયમિત કરવું જોઈએ તેવું નિષ્ણાંતો પણ માને છે. ઉનાળામાં કાકડી ખાવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. કાકડીનું સલાડ, રાયતું પણ બનાવી શકાય છે. કાકડીમાં 95 ટકા પાણી હોવાથી તેને ખાવાથી વજન વધવાની ચિંતા પણ રહેતી નથી. કાકડીમાં ખનીજ, વિટામિન, ઈલેક્ટ્રોલાઈટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. પરંતુ કાકડી ખાધા બાદ પાણી પીવું કે નહીં તે બાબત ચર્ચાનો વિષય છે. કેટલાક માને છે કે કાકડી ખાધી હોય તો ત્યારબાદ તુરંત પાણી પીવું જોઈએ નહીં. તો ચાલો આજે જાણી લો આ પ્રશ્નનો શું હોય છે સાચો જવાબ.
કાકડીમાં પાણીનું પ્રમાણ સૌથી વધારે હોય છે. તે અનેક પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેવામાં જો કાકડી ખાધા બાદ તમે તુરંત પાણી પીશો તો તેના પોષક તત્વોથી શરીરને લાભ થશે નહીં. પોષક તત્વો શરીરમાં સારી રીતે અવશોષિત થાય તે માટે જરૂરી છે કે સલાડ કે લીલા શાકભાજી ખાધા બાદ તુરંત પાણી પીવું નહીં. માત્ર કાકડી જ નહીં પરંતુ જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય તેવા ફળ ખાધા બાદ પણ પાણી પીવાનું ટાળવું.
કાકડી ખાધા બાદ જો તુરંત પાણી પીવામાં આવે તો જીઆઈ એટલે કે ગ્લાઈસેમિક ઈંડેક્સમાં વૃદ્ધિ થાય છે. તેનાથી પાચન અને અવશોષણની કુદરતી પ્રક્રિયા બાધિત થાય છે. માન્યતા એવી પણ છે કે કાકડીનું સલાડ ખાતી વખતે કે તેની તુરંત પછી પાણી પીવાથી પીએચ લેવલ ડિસ્ટર્બ થાય છે. પીએસ લેવલ જળવાઈ રહે તે ખોરાકના પાચન માટે જરૂરી છે. તેવામાં જો પીએચ લેવલ ખરાબ થઈ જાય તો ખોરાક બરાબર રીતે પચતો નથી.
કાકડી ખાધા પછી પાણી પીવાથી ખાદ્ય પદાર્થને પચાવા માટે જરૂરી એસિડ બરાબર રીતે કામ કરતા નથી અને તેનાથી પાચન સંબંધી સમસ્યા થઈ શકે છે. પાચન બરાબર ન થાય તો કબજિયાત થાય છે. જો કાકડી ખાધા પછી વધારે પ્રમાણમાં પાણી પીવામાં આવે તો ડાયેરિયા પણ થઈ શકે છે.