અમદાવાદ, તા. 04 માર્ચ 2023 શનિવાર
આજકાલ લેપટોપ અને મોબાઈલનો ઉપયોગ રોજબરોજના જીવનનો ભાગ બની ગયો છે. કામ માટે મોટાભાગના લોકો કલાકો સુધી મોબાઈલ કે લેપટોપ પર નજર નાખીને બેસેલા હોય છે. આ સિવાય તે મનોરંજનનું સાધન પણ બની ગયુ છે. તેથી ઓફિસના કામ બાદ પણ આંખોને રાહત મળતી નથી. લોકો સોશિયલ મીડિયા, વીડિયો, વેબસિરીઝ વગેરે જોવા માટે લેપટોપ કે મોબાઈલનો ઉપયોગ કરતા રહે છે. આ પ્રકારે ઘણીવાર સ્ક્રીન ટાઈમ 16થી 20 કલાક સુધી થઈ જાય છે પરંતુ આ આંખો માટે ખૂબ નુકસાનકારક છે કેમ કે સ્ક્રીનના ખૂબ વધારે એક્સપોઝરથી આંખોમાં ડ્રાયનેસની સમસ્યા થવા લાગે છે અને પછી વિઝન સિન્ડ્રોમની સમસ્યા ઊભી થઈ શકે છે.
શું હોય છે વિઝન સિન્ડ્રોમ?
સામાન્ય રીતે સ્ક્રીન પર સતત કામ કરવા, ઓછા પલકારા મારવા અને કોન્ટેક્ટ લેન્સનો વધારે સમય સુધી ઉપયોગ કરવાના કારણે આ સમસ્યા થાય છે.
વિઝન સિન્ડ્રોમમાં આંખોમાં ડ્રાયનેસ થવા લાગે છે. આંખોમાં ડ્રાયનેસ વધવાથી ઈરિટેશન અનુભવાય છે અને પીડા અનુભવાય છે. આ સિવાય ઘણીવાર આંખો સામે ઝાંખપ, ખંજવાળ, લાલાશ, થાક, એક સ્થળે બે વસ્તુ દેખાવી, અંધારુ છવાઈ જવુ જેવા તમામ લક્ષણ સામે આવી શકે છે. જો સમયસર આનો કંટ્રોલ ના કરવામાં આવે તો આ મુશ્કેલી ગંભીરરૂપ પણ લઈ શકે છે.
બચવાના ઉપાય
આ સમસ્યાથી બચવા માટે 20-20-20નો ફોર્મ્યૂલા ખૂબ કારગર હોય છે એટલે કે તમે કામની દર 20 મિનિટ બાદ બ્રેક લઈ લો અને 20 સેકન્ડ માટે 20 ફૂટના અંતરે જુઓ. આને એક રૂટીનનો ભાગ બનાવી લો કેમ કે આ પ્રેક્ટિસ ખૂબ મદદગાર સાબિત થશે. સ્ક્રીન ટાઈમને જેટલો સંભવ હોઈ શકે ઓછો કરો. વચ્ચે-વચ્ચે પલકારા મારવાનું યાદ રાખો.
અંધારામાં મોબાઈલ ફોન કે લેપટોપનો ઉપયોગ કરવાથી બચો, જ્યાં પણ કામ કરો, ત્યાં સારો પ્રકાશ હોવો જરૂરી છે.
લેપટોપ પર કામ કરતી વખતે ચશ્માનો ઉપયોગ કરો અને તેમાં એન્ટી ગ્લેયર લેન્સ લગાવો.
કામ દરમિયાન વચ્ચે-વચ્ચે પાણીથી આંખોને ધુઓ, જેથી ડ્રાયનેસ ના થાય.
પોતાના ભોજનમાં વિટામિન એ સામેલ કરો. ફળ, લીલા શાકભાજી, બદામ, અખરોટ વગેરેનું નિયમિત સેવન કરો.


