Image Source: Freepik
અમદાવાદ, તા. 15 જુલાઈ 2023 શનિવાર
આજના સમયમાં ફોન જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. દરેક સ્થળે દરેક વ્યક્તિ આને પોતાની સાથે લઈને જઈ રહ્યા છે. લોકો વોશરૂમ પણ જાય છે તો પણ ફોન વિના જતા નથી. જમતી વખતે, સૂતી વખતે, નહાતી વખતે, ફરવા જાય તો પણ દરેક સમયે ફોન લોકોની જરૂરિયાત બની ગયો છે. આ જ કારણસર મોટાભાગના લોકો મેન્ટલ હેલ્થને લઈને પરેશાન રહે છે.
ઘણા લોકો સવારે ઉઠતા જ સૌથી પહેલુ કામ મોબાઈલ ચલાવવાનું કરે છે. અમુક લોકો તો એવા પણ છે જે સવારે ઉઠીને પથારીમાં જ કલાકો સુધી મોબાઈલ ચલાવે છે. જો તમે પણ આ કામ કરો છો તો હવે સમય આવી ગયો છે કે પોતાની આ ટેવને સુધારી દો કેમ કે આ તમારી હેલ્થ માટે બિલકુલ યોગ્ય નથી. આજકાલ લોકો પોતાનો ફોન બાજુમાં મૂકીને સૂઈ જાય છે. આનાથી ખૂબ નુકસાન થાય છે. કેમ કે મોબાઈલથી રેડિએશન નીકળે છે, જે કેન્સર સહિત ઘણી જોખમી બીમારીઓનું કારણ બને છે.
તણાવ વધે છે
ઘણા લોકો 8-9 કલાકની ઊંઘ લીધા બાદ પણ સવારે તણાવ અનુભવે છે અને વિચારે છે કે તેમની સાથે આવુ કેમ થઈ રહ્યુ છે. આની પાછળનું કારણ તમારો ફોન છે. જ્યારે તમે સવારે ફોન ખોલીને જુઓ છો તો તેમાં ઘણી એવી બાબતો હોય છે જે તમને ચિંતા કે તણાવમાં મૂકી શકે છે. આ જ કારણે નેગેટિવિટિ વધવા લાગે છે, જેનાથી તમને સ્ટ્રેસ ફીલ થાય છે.
પ્રોડક્ટિવિટી ઘટે છે
તમે ઘણી વખત અનુભવ્યુ હશે કે ફ્રેશ હોવા છતાં તમારુ કામમાં મન લાગતુ નથી. તમે એક્ટિવ અનુભવી શકતા નથી અને પ્રોડક્ટિવિટિમાં પણ ઘટાડો થવા લાગે છે. આ ક્યાંકને ક્યાંક સવારે ઉઠતાની સાથે જ ફોન ચલાવવાના કારણે થાય છે. કેમ કે તમારી અડધી એનર્જી તેમાં જતી રહે છે.
મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર પડે છે
સવારે ઉઠીને જ્યારે તમે ફોન ખોલો છો તો ઘણી વખત તમને અમુક નેગેટીવ મેસેજ વાંચવા મળે છે જેના કારણે તમારો મૂડ અપસેટ થઈ જાય છે અને મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર પડે છે.
માથાનો દુખાવો
આ સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. સવારે ઉઠીને કલાકો સુધી ફોન ચલાવવાથી માથામાં દુખાવો ભારેપણાની તકલીફનો સામનો કરવો પડી શકે છે.


