શરીરમાં જોવા મળતા આ સામાન્ય લક્ષણોને અવગણવાની ભૂલ ના કરતા, હોઈ શકે છે કેન્સર જેવી મોટી બીમારી
Image Source: Freepik
- ભારતમાં દર વર્ષે 16 મિલિયન કેન્સર સાથે સબંધિત નવા કેસ નોંધવામાં આવે છે
નવી દિલ્હી, તા. 24 જૂન 2023, શનિવાર
ઘણી વખત આપણે શરીરમાં થતા સામાન્ય ફેરફારો અથવા લક્ષણોને અવગણીએ છીએ. પરંતુ આ બદલાવ આગળ જતા મોટી બીમારીનું કારણ બની શકે છે. શ્વાસ લેવામાં તકલીફ, થાક, વજન ઘટવું, વાળ ખરવા એ કેટલાક લક્ષણો છે જેને આપણે નોર્મલ સમજીને વિચારવાનું છોડી દઈએ છીએ અને તેને આપણી જીવનશૈલી અથવા મોસમી ફેરફારોમાં ખલેલ સાથે જોડીએ છીએ. આપણે કેન્સરના લક્ષણો સાથે પણ આવું જ કંઈક કરીએ છીએ.
એમ કહેવું ખોટું નથી કે, કોઈ પણ લક્ષણ જ્યાં સુધી ગંભીર ન બને ત્યાં સુધી તેને ગંભીરતાથી ન લેવું એ માનવીય વૃત્તિ છે. કેન્સર પણ એક એવો જ ગંભીર રોગ છે જેની શરૂઆત સામાન્ય લક્ષણોથી થાય છે. કેન્સરના ઘણા પ્રકાર છે જેને ઓળખવા મુશ્કેલ છે. ચાલો જાણીએ કેન્સરના પ્રારંભિક લક્ષણો વિશે.
શું કહે છે WHO ?
વૈશ્વિક સ્તર પર કેન્સર મૃત્યુનું બીજુ મુખ્ય કારણ છે. WHO દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ એક રિપોર્ટ પ્રમાણે વર્તમાન સમયમાં વિશ્વભરમાં પ્રતિ વર્ષે 10 મિલિયન કેન્સરના નવા કેસ નોંધાય છે. WHOના જણાવ્યા પ્રમાણે ભારતમાં દર 10 ભારતીયોમાંથી એકને સમગ્ર જીવન દરમિયાન કેન્સર થવાની સંભાવના રહે છે અને 15માંથી એક વ્યક્તિનું મોત કેન્સરના કારણે થાય છે. WHOના રિપોર્ટમાં ભારતમાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
- ભારતમાં દર વર્ષે 16 મિલિયન કેન્સર સાથે સબંધિત નવા કેસ નોંધવામાં આવે છે.
- લગભગ 7,84,800 લોકોના મોત કેન્સરના કારણે થાય છે.
- ભારતમાં થતાં 6 મુખ્ય કેન્સરમાં બ્રેસ્ટ કેન્સર, માઉથ કેન્સર, સર્વાઈકલ કેન્સર, લંગ કેન્સર, પેટનું કેન્સર અને કોલોરેક્ટલ કેન્સર સામેલ છે.
કેન્સરના શરૂઆતના લક્ષણો
1. કારણ વગર વજનમાં ઘટાડો થવો
જો કોઈ કારણ વગર તમારા વજનમાં ઘટાડો થઈ રહ્યો હોય તો તમારે તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ. જો છેલ્લા કેટલાક દિવસોમાં તમારું 4-5 કિલો કે તેથી વધુ વજન ઘટી ગયું હોય તો તમારે સાવધાન રહેવું જોઈએ કારણ કે દુર્લભ કેસોમાં તે કેન્સરનો પહેલો સંકેત હોઈ શકે છે.
2. શરીરમાં ગાંઢ દેખાવી
એક રિપોર્ટ પ્રમાણે જો શરીરમાં અચાનક કોઈ ગાંઢ નીકળી આવે તો તેને નજરઅંદાજ કરવી જોખમી સાબિત થઈ શકે છે. આ જ ગાંઢ ધીરે-ધીરે શરીરમાં કેન્સર અથવા સિસ્ટનું રૂપ લઈ લે છે. ઘણી વખત ગાંઢ આપોઆપ સારી થઈ જાય છે પરંતુ જો તેમા દુ:ખાવો અથવા લોહી નીકળે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
3. સ્કીનનો રંગ બદલાવો
સ્કીન શરીરનો સૌથી મોટો ભાગ હોય છે અને તે અનેક રીતે પ્રભાવિત થઈ શકે છે. કમળો એ એક લક્ષણ છે જે કેન્સરનો સંકત આપી શકે છે. જો તમને કમળાના કોઈ લક્ષણો જણાય તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો.
4. સતત ઉધરસ આવવી
હવામાનમાં ફેરફારને કારણે લોકોને ઉધરસ જેવી સમસ્યાનો સામનો કરે છે. આવી સ્થિતિમાં સતત ઉધરસને કારણે છાતીમાં દુખાવો કેન્સરની નિશાની હોઈ શકે છે. જો તમને લાંબા સમયથી ખાંસી આવે છે તો તે ફેફસાં અથવા થાઈરોઈડ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. આવા કોઈપણ લક્ષણને બિલકુલ અવગણવા નહીં.
5. બાઉલ મૂવમેન્ટ અને બ્લૈડર ફંક્શનમાં ફેરફાર
કબજિયાત, ઝાડા, મળમાં લોહી આવવું એ કોલોરેક્ટલ કેન્સરના સંકેતો હોઈ શકે છે. પેશાબ કરતી વખતે દુ:ખાવા સાથે લોહી આવવું બ્લૈડર અને પ્રોસ્ટેટ કેન્સરના શરૂઆતના લક્ષણો હોઈ શકે છે.
કેન્સરના સ્ટેજ
કેન્સરને પાંચ તબક્કામાં વહેંચવામાં આવે છે. કેન્સરનું સ્ટેજ તમને જણાવે છે કે, કેન્સર કેટલું ગંભીર છે.
1. સ્ટેજ 0 (Stage 0)- તે એ સૂચવે છે કે, તમને કેન્સર નથી. જોકે, શરીરમાં કેટલાક અસામાન્ય સેલ્સ હોય છે જે કેન્સરમાં વિકસિત થાય છે.
2. સ્ટેજ 1 (Stage I)- આ સ્ટેજમાં ટ્યૂમર નાનું હોય છે અને કેન્સરની કોશિકાઓ માત્ર એક ક્ષેત્રમાં ફેલાઈ છે.
3. સ્ટેજ 1 અને 2 (Stage II and III)- પ્રથમ અને બીજા સ્ટેજમાં ટ્યૂમરનું કદ મોટું થઈ જાય છે અને કેન્સરના કોષો નજીકના અંગો અને લિમ્ફ નોડ્સમાં ફેલાવા લાગે છે.
4. સ્ટેજ 4 (Stage IV)- આ કેન્સરનું છેલ્લું અને ખૂબ જ ખતરનાક સ્ટેજ છે જેને મેટાસ્ટેટિક કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્ટેજમાં કેન્સર શરીરના અન્ય ભાગોમાં ફેલાવવાનું શરૂ કરે છે.
કેન્સરનો ઈલાજ
ડોક્ટર કેન્સરના પ્રકાર, સ્થાન અથવા સ્ટેજના આધારે સારવારનો વિકલ્પ નક્કી કરી શકે છે. સામાન્ય રીતે કેન્સરની સારવારમાં મુખ્યત્વે સર્જરી, કીમોથેરાપી, રેડિયેશન, હોર્મોન થેરાપી, ઈમ્યુનોથેરાપી અને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ્સ સામેલ છે.