જાણો... કઈ રીતે અલગ છે કોરોના વાયરસના RT-PCR, એન્ટિબોડી અને એન્ટિજન ટેસ્ટ
ટેસ્ટના પરિણામને તરત જાણવા કરાતો રેપિડ એન્ટિજન ટેસ્ટ લેબોરેટરીની બહાર થાય છે
નવી દિલ્હી, તા. 12 જુલાઈ 2020, રવિવાર
અભિનેતા અમિતાભ બચ્ચન અને તેમનો દીકરો અભિષેક બચ્ચન કોરોના વાયરસની તપાસ માટેના રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા. જો કે કોરોના સંક્રમણની સંપૂર્ણ પૃષ્ટિ માટે RT-PCR ટેસ્ટ કરવામાં આવે તે પણ જરૂરી છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે, રેપિડ એન્ટીજન ટેસ્ટમાં અમિતાભ અને અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા ત્યાર બાદ સમગ્ર બચ્ચન પરિવારનો સ્વાબ લેવામાં આવ્યો હતો અને તેમનો RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આજે RT-PCR ટેસ્ટના પરિણામમાં ઐશ્વર્યા રાય અને તેમની દીકરી આરાધ્યા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
RT-PCR ટેસ્ટ (Real-time reverse transcription-polymerase chain reaction)ને કોરોના સંક્રમણની ઓળખ માટેનો ગોલ્ડ સ્ટાન્ડર્ડ ફ્રન્ટલાઈન ટેસ્ટ કહે છે. તો ચાલો જાણીએ કે Rapid Antigen test, એન્ટી બોડી ટેસ્ટ અને RT-PCR ટેસ્ટમાં શું ફરક છે.
રેપિડ એન્ટિજન ટેસ્ટ
રેપિડ એન્ટીજન ટેસ્ટ એ લેબોરેટરીની બહાર કરાતો ટેસ્ટ છે જે ટેસ્ટના પરિણામને તરત જાણવા કરવામાં આવે છે. કોવિડ-19 એ SARS-CoV-2 વાયરસથી થતો રોગ છે. આ ટેસ્ટમાં નાકમાંથી સ્વાબ લેવામાં આવે છે અને આ ટેસ્ટમાં SARS-CoV-2 વાયરસમાં જે એન્ટીજન જોવા મળે તેની ખબર પડે છે. ટેસ્ટના પરિણામમાં એન્ટીજનની ઉપસ્થિતિ કોરોનાના સંભવિત સંક્રમણનું લક્ષણ છે.
એન્ટીજન એ બાહ્ય પદાર્થ છે જે આપણા શરીરની પ્રતિકારક પ્રણાલીને એન્ટીબોડીનું સર્જન કરવા એક્ટિવેટ કરે છે. એન્ટીબોડી બીમારીઓ સામે લડવામાં કારગર સાબિત થાય છે. એન્ટીજન એ વાતાવરણમાં ઉપસ્થિત કોઈ પણ તત્વ હોઈ શકે છે જેમ કે, કેમિકલ, બેક્ટેરિયા કે પછી વાયરસ. એન્ટીજન નુકસાનકારક છે અને શરીરમાં તેની ઉપસ્થિતિ એ વાતનો સંકેત છે કે, શરીરની પ્રતિકારક શક્તિએ બાહ્ય હુમલા સામે લડવા એન્ટીબોડીનું સર્જન કરવા મજબૂર થવું પડેલું છે.
એન્ટી બોડી ટેસ્ટ
કોરોનાની તપાસ માટે વધુ એક એન્ટી બોડી ટેસ્ટ પણ કરવામાં આવે છે. તે લોહીનું સેમ્પલ લઈને કરવામાં આવે છે અને માટે તેને સીરોલોજિકલ ટેસ્ટ પણ કહે છે. તેના પરિણામ જલ્દી આવી જાય છે અને તે RT-PCRની સરખામણીએ ઓછો ખર્ચાળ છે. આ ટેસ્ટ ઓન લોકેશન જ થઈ શકે છે. જો કે, એન્ટી બોડી ટેસ્ટની કેટલીક સીમાઓ છે માટે તેને અંતિમ પરિણામ ન માની શકાય.
આ ટેસ્ટમાં સંક્રમણ બાદ એન્ટી બોડી બનવાનું લક્ષણ જાણવા મળે છે. એન્ટીબોડી શરીરનું એ તત્વ છે, જેનું નિર્માણ આપણી ઈમ્યુન સિસ્ટમ શરીરમાં વાયરસને નિષ્ક્રિય કરવા કરે છે.
સંક્રમણ બાદ એન્ટીબોડીઝ બનવામાં ઘણી વખત એકાદ સપ્તાહ જેટલો સમય લાગી શકે છે માટે જો તેના પહેલા એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવે તો સાચી જાણકારી નથી મળી શકતી. તે સિવાય આ ટેસ્ટથી કોરોના વાયરસની ઉપસ્થિતિની સીધી જાણકારી પણ નથી મળી શકતી. માટે જો દર્દીનો એન્ટીબોડી ટેસ્ટ નેગેટિવ આવે તો પણ તેનો RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે.
RT-PCR ટેસ્ટ
સ્વાસ્થ્ય મંત્રાલયે આ ટેસ્ટને કોરોનાની ઓળખ માટેનો ગોલ્ડ સ્ટાન્ડર્ડ ફ્રન્ટલાઈન ટેસ્ટ ગણાવ્યો છે. RT-PCR ટેસ્ટમાં સંભવિત દર્દીના નાકમાંથી છેદ કે ગળામાંથી સ્વાબ લેવામાં આવે છે. આ ટેસ્ટ લેબમાં જ થઈ શકે છે. તેમાં Ribonucleic acid એટલે કે RNAની તપાસ કરવામાં આવે છે જે વાયરસનું જિનેટીક મટીરિયલ છે.
જો દર્દીના સેમ્પલની જિનેટીક સિક્વન્સ SARS-CoV-2 વાયરસના જિનેટીક સિક્વન્સ સાથે મેળ ખાય તો દર્દીને કોરોના પોઝિટિવ માનવામાં આવે છે. જ્યારે દર્દીના શરીરમાં વાયરસ ઉપસ્થિત ન હોય ત્યારે જ આ ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવે છે.
RT-PCR એ કોરોના ટેસ્ટિંગની મોંઘી પ્રણાલી છે અને તેમાં સેમ્પલમાંથી RNA કાઢવાના મશીનની જરૂર પડે છે. તેના માટે પ્રયોગશાળા અને પ્રશિક્ષિત સ્વાસ્થ્યકર્મીઓની પણ જરૂર પડે છે. આ ટેસ્ટ કરવા માટે લેબમાં જ 4થી 5 કલાક લાગી જાય છે. ભારતમાં આશરે 4,500 રૂપિયામાં આ ટેસ્ટ થઈ જાય છે અને તે કોરોના ટેસ્ટિંગની સૌથી વિશ્વસનીય પદ્ધતિ છે.