Health

પ્રયોગશાળામાં પેદા કરાયેલા ખાસ મચ્છરથી ડેન્ગ્યુ અટકાવી શકાશે

By GS Team
28 Nov 20192 mins read
This article was originally published on 28 Nov 2019
પ્રયોગશાળામાં પેદા કરાયેલા ખાસ મચ્છરથી ડેન્ગ્યુ અટકાવી શકાશે

ન્યૂયોર્ક,
મચ્છર કરડવાથી ડેન્ગ્યુ થાય છે અને ફેલાવો પણ થાય છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે એવા મચ્છર પણ છે જે ડેન્ગ્યુ ફેલાતો અટકાવે છે. આના માટે ફળમાખી અને કેટલાક પતંગિયામાં જોવા મળતા વોલબાચિયા પ્રકારના બેકટેરિયા મચ્છરમાં હોવા જરુરી છે. આ બેકટેરિયા માણસોને કશુંજ નુકસાન કરતા નથી પરંતુ ડેન્ગ્યુ અટકાવતા હોવાનું વર્લ્ડ મોસ્કિટો પ્રોગ્રામના ધ્યાનમાં આવ્યું છે.

ડેન્ગ્યુને નિયંત્રણમાં રાખતા મચ્છર પરના સ્ટડી માટે ઓસ્ટ્રેલિયાના નોર્થ કવીન્સલેન્ડના એક વિસ્તારમાં ૨૦૧૧માં વોલબાચિયા બેકટેરિયા ધરાવતા મચ્છર છોડવામાં આવ્યા હતા. આ ખાસ મચ્છરો ધીમે ધીમે સ્થાનિક વાતાવરણ માં સેટ થઇ ગયા હતા ત્યાર પછી સકારાત્મક પરીણામ મળ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ઇન્ડોનેશિયા, વિયેતનામ, બ્રાઝિલમાં પણ કેટલીક માનવ વસ્તીમાં આ રીતે ડેન્ગ્યુનો ફેલાવો અટકાવી શકાયો છે. સંશોધકોએ વિયેટનામના ન્હા ત્રાંગ શહેર પાસે પણ આવું જ અપેક્ષિત પરીણામ મેળવ્યું હતું.


જો કે ડેન્ગ્યૂમાં કેટલો ઘટાડો થયો છે તે અંગે લોહીની તપાસ કરવામાં આવી નથી.વૈજ્ઞાાનિકોનું માનવું છે કે હજુ પણ આ ખાસ પ્રકારના મચ્છર અંગે સંશોધન કરવાની જરુરીયાત છે.એક બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે ડેન્ગ્યુ ફેલાવતા એજિપ્ટ મચ્છરમાં આ પ્રકારના બેકટેરિયા હોતા નથી. આથી વોલબાચિયા  બેકટેરિયા ધરાવતા બીજા મચ્છર ડેન્ગ્યુ સામે કેટલાક સમય સુધી મુકાબલો કરતા રહેશે એ જાણવું જરુરી છે.



આ ઉપાય ખર્ચ અને પર્યાવરણની રીતે વધુ અસરકારક
વર્લ્ડ મોસ્કિટો પ્રોગ્રામ હેઠળ બેકટેરિયા ધરાવતા મચ્છર પ્રયોગશાળામાં પેદા કરવામાં આવે છે. ખાસ બેકટરિયા ધરાવતા મચ્છર પુરતી સંખ્યામાં પહોંચ્યા પછી તે સ્થાનિક મચ્છર સાથે જોડકા બનાવે છે. તેના પ્રજનનથી સ્થાનિક મચ્છરોમાં પણ બેકટેરિયા સંક્રમિત થાય છે આ રીતે ડેન્ગ્યુ અટકાવી શકાય છે. આ સંશોધન કિટનાશકોને મારવાના સ્થાને મચ્છરોને બદલવા જેવી વાત છે. વર્ષો સુધી મચ્છર માટે કિટનાશકોના ડોઝ વધારવા કરતા આ ઉપાય ખર્ચ અને પર્યાવરણની રીતે વધુ અસરકારક છે.