કોરોના વાયરસ કપડા પર ૯ કલાક અને મોબાઇલ પર ૯ દિવસ સુધી જીવતો રહી શકે
અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનું તારણ
મોબાઇલ ફોનને કપડાથી સતત સાફ રાખવામાં આવે તે જરુરી
ન્યૂયોર્ક, 13 માર્ચ ,2020, શુક્રવાર
કોરાના વાયરસ (કોવિડ-૧૯)એ દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે તેના પર સતત રિસર્ચ શરુ થયા છે. હવે નિષ્ણાતોએ કોરાનાએ અંગે એવું તારણ કાઢયું છે કે કપડા પર કોરોના વાયરસ ૯ કલાક સુધી જીવતો રહી શકે છે જયારે મોબાઇલમાં ૯ દિવસ સુધી સંક્રમણ ફેલાવી શકે છે. વુહાનથી ફેલાયેલો વાયરસ કેવી રીતે ફેલાય છે અને કેટલા કલાક સુધી જીવતો રહી શકે છે એ જાણવાની ઉત્સુકતા વધતી જાય છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા મુજબ કોરોના વાયરસ શરીર બહાર ૯ દિવસ સુધી જીવતો રહી શકે છે.
આ વાયરસ મેટલ પર ૧૨ કલાક સુધી જીવી શકે છે જયારે ચામડી પર માત્ર ૧૦ મીનિટ જ જીવતો રહી શકે છે. આથી જ તો કોઇ પણ મેટલ કે સંક્રમિત વસ્તુને સ્પર્શ કર્યા પછી હાથ ધોઇને ઇન્ફેકશનથી મુકત થઇ શકાય છે. કોરોના વાયરસ મોબાઇલ સ્કિન પર ૪૮ કલાક અને મોબાઇલનું જો બેક પેનલ પ્લાસ્ટિકનું હોય તો વાયરસ સૌથી વધુ ૯ દિવસ સુધી જીવતો રહી શકે છે.
જો કે મોબાઇલનું બેક પેનલ મેટલનું હોયતો વાયરસ ૧૨ કલાક સુધી જીવતા રહી શકે છે આથી જ તો વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મોબાઇલને પણ સ્વચ્છ રાખવાની સલાહ આપી છે. કોરોના વાયરસ અંગે સંશોધન કરી રહેલા નિષ્ણાતો ચેતવણી આપી છે તે જો મોબાઇલ કોઇ કોરોના વાયરસથી સંક્રમિત વ્યકિતએ ટચ કર્યો હોયતો તેનાથી પણ વાયરસ ફેલાઇ શકે છે જયારે કપાડા પર વાયરસ વધુમાં વધુ ૯ કલાક સુધી જીવતો રહી શકે છે પરંતુ જો કપડા તડકે સૂકવવામાં આવે તો સૂર્યપ્રકાશની ગરમીથી વાયરસ કમજોર પડી જાય છે જેથી ચેપ લાગવાની શકયતા ઘટે છે.
કોરોના વાયરસને ઉંચું તાપમાન માફક આવતું ન હોવાથી ગરમીનો પાર ૩૫ ડિગ્રીથી વધશે ત્યારે નાશ થવા માંડશે. સંક્રમણ કરનારા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થશે. દક્ષિણ આફ્રિકાના કેટલાક ભાગોમાં અત્યારે તાપમાન ઉંચું રહેવાથી જ કોરોના વાયરસનો ફેલાવો ન થયો હોવાનું માનવામાં આવી રહયું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ કોરોના વાયરસ યુવાઓની સરખામણીમાં વૃદ્ધોેને વધારે અસર કરે છે.
કોરોના વાયરસનો ભોગ બનેલા ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકોની ટકાવારી ૨.૪ ટકા જયારે ૮૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોની સંખ્યા ૧૪.૮ ટકા છે. કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૧.૨૫ લાખ થઇ છે પરંતુ જેનો રિપોર્ટ ન થયો હોય તેવા સંક્રમિત લોકોની સંખ્યા ખૂબજ વધારે હોવાનું માનવામાં આવે છે. સંક્રમણના પ્રમાણમાં વિશ્વમાં સૌથી વધુ મુત્યુઆંક ઇટલીનો સૌથી વધું છે. ઇટલીમાં ૧૫ હજાર લોકોને કોરોના વાયરસ થયો છે તેમાંથી ૧૦૦૦ કરતા પણ વધુ લોકોના મોત થયા છે.