કોરોના બાદ ચિકનગુનિયાએ ચીનનું ટેન્શન વધાર્યું, 7000 કેસ મળી આવતા તંત્રમાં દોડધામ
Chikanguniya Causes: કોરોના બાદ ચીનના ગુઆંગ્ડોંગ શહેરમાં લગભગ 7,000 લોકોમાં ચિકનગુનિયાના કેસ જોવા મળ્યા છે, જ્યારે ફોહશાન શહેરમાં પણ ઍલર્ટ જાહેર કરાયું છે. તેમજ દર્દીઓને રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી હૉસ્પિટલમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ફાર્મા સ્ટોર્સને ચિકનગુનિયાની દવા લેનારા લોકોની યાદી બનાવવા જણાવાયું છે. મળતી માહિતી મુજબ ચીનમાં 70% વિસ્તારો આનાથી પ્રભાવિત છે અને એક દર્દી એક શહેરથી બીજા શહેરમાં ગયો હોવાથી, આ વાઇરસ કોરોનાની જેમ ફેલાઈ શકે તેવી આશંકા પણ છે.
ચિકનગુનિયા શું છે?
ચિકનગુનિયા એક વાઇરલ તાવ છે, જે મચ્છરોથી ફેલાય છે. આ તાવ એડીસ એજીપ્ટી અને એડીસ એલ્બોપીક્ટસ નામના મચ્છરોના કરડવાથી થાય છે. આ તાવ મુખ્યત્વે ચોમાસાની ઋતુમાં લોકોને વધુ અસર કરે છે. જોકે, ભારતમાં પણ પહેલાથી આ વાઇરસના કેસ જોવા મળી રહ્યા છે, તેથી તેનો ફેલાવો અટકાવવો ખૂબ જ જરૂરી છે.
ચિકનગુનિયાના લક્ષણો કેવા હોય છે?
ચિકનગુનિયા થાય ત્યારે લોકોને સાંધા અને સ્નાયુઓમાં દુખાવો થાય છે. આ તેનું પ્રથમ લક્ષણ છે. ત્યાર પછી હાથમાં દુખાવો અને શરીર જકડાઈ ગયેલું અનુભવાય છે. કાંડા, પગની ઘૂંટી અને ઘૂંટણમાં દુખાવો થવા લાગે છે. આ સાથે થાક અને ત્વચા પર લાલ ચકામા દેખાવા પણ તેના લક્ષણો હોઈ શકે છે.
ચિકનગુનિયાનો ઇલાજ શું છે?
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (WHO) મુજબ, ચિકનગુનિયાથી બચવા માટે મચ્છર કરડવાથી બચવું એ સૌથી સારો અને અસરકારક રસ્તો છે. જે લોકોને ચિકનગુનિયા થયો હોય, તેમણે બીમારીના પહેલા અઠવાડિયામાં મચ્છર કરડવાથી બચવું જોઈએ, જેથી ઇન્ફેક્શન ન ફેલાય અને તે બીજા લોકો સુધી ન પહોંચે. આ સિવાય, આ ઇન્ફેક્શનને ફેલાતું અટકાવવા માટે, તમારી આસપાસ મચ્છરોનો ફેલાવો ઓછો કરવાના પ્રયાસો કરો. પાણી ભરેલા વાસણો ખાલી કરીને સાફ રાખો, કચરો સાફ કરો અને મચ્છરોનો નાશ કરવાના ઉપાયો કરો.
આ પણ વાંચો: સાઈલન્ટ કિલર ગણાય છે હાઈ બ્લડ પ્રેશર, 4 ભૂલ કરતાં બચવું જોઇએ આ લોકોએ
ચિકનગુનિયાનો કોઈ ઇલાજ નથી, તેને ફક્ત નિયંત્રિત કરી શકાય છે. સામાન્ય રીતે, દર્દીઓને પ્રવાહી પદાર્થ અને હળવો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. આરામ કરવા સાથે, ડૉક્ટર પેઇનકિલર અને તાવની દવાઓ આપે છે.