ભારતમાં દર વર્ષે 51 લાખ લોકો ચિકનગુનિયાના સકંજામાં આવે તેવી આશંકા, રિપોર્ટમાં દાવો
Chikungunya: ભારતને લાંબા સમય સુધી ચિકનગુનિયાનો ખતરો રહે તેવું લાગે છે. કારણ કે બ્રિટિશ મેડિકલ જર્નલ (BMJ) ગ્લોબલ હેલ્થ નામના જર્નલમાં પ્રકાશિત થયેલા એક વૈશ્વિક અભ્યાસમાંથી એવી માહિતી સામે આવી છે કે ભારતમાં દર વર્ષે 51 લાખથી વધારે લોકોને ચિકનગુનિયાનો ચેપ લાગી શકે છે.
આ બે દેશોમાં ચિકનગુનિયાનો ખતરો વધ્યો
BMJના અભ્યાસ અનુસાર, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા ચિકનગુનિયાના કેસમાં બીજા અને ત્રીજા ક્રમે સૌથી વધુ પ્રભાવિત દેશ બની શકે છે.ભારત અને બ્રાઝિલમાં આ બીમારીના કારણે આરોગ્ય સેવા પ્રણાલીઓ અને વ્યક્તિઓ પર પડતા વૈશ્વિક પ્રભાવનો 48 ટકા ભાગ છે.
લાંબા સમય સુધી રહેશે ચિકનગુનિયાનો ખતરો
લંડન સ્કૂલ ઑફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના સંશોધકના નેતૃત્વમાં કરાયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે લાંબા સમય સુધી આરોગ્ય પ્રભાવ સૌથી મોટી ચિંતાનો વિષય રહેશે અથવા હાલના પુરાવાથી જાણવા મળે છે કે અંદાજે 50 ટકા લોકો લાંબા ગાળાની અપંગતાનો ભોગ બને તેવી શક્યતા છે.
દર વર્ષે 1.40 કરોડ લોકોને ચિકનગુનિયાની અસર
અભ્યાસમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે દુનિયાભરમાં દરવર્ષે 1.40 કરોડથી પણ વધારે લોકો લાંબા સમય સુધી ચિકનગુનિયાના ચેપના ખતરામાં રહી શકે છે. એવી પણ જાણકારી છે કે વર્ષોના સંશોધન પછી પણ ચિકનગુનિયા જેવા વાયરસનો ફેલાવો જલદી અટકશે નહીં.
શું છે ચિકનગુનિયા ?
ચિકનગુનિયા એ એક એવો વાઇરલ ચેપ છે, જે મુખ્યત્વે એડીસ મચ્છર અથવા એજિપ્ટ એલ્બોપિકટસ મચ્છર કરડવાથી ફેલાય છે. આ જ મચ્છર ડેન્ગી અને ઝીકા વાયરસ પણ ફેલાવે છે. ચિકનગુનિયાના લક્ષણની વાત કરીએ તો તાવ આવવો અને સાંધાનો દુખાવો થવો છે.