બ્રેઈન ટ્યુમર ડે: મગજની ગાંઠના દર વર્ષે 28000 નવા કેસ, 24000થી વધુના મૃત્યુ, જાણો લક્ષણો
Brain Tumor Day: માથામાં સતત દુઃખાવો રહેતો હોય, ખેંચ આવતી હોય, સંતુલન ગુમાવવું અને વારંવાર ચક્કર આવવાની સમસ્યા હોય તો તે બ્રેઈન ટ્યુમરના લક્ષણો હોઈ શકે છે. બ્રેઈન ટ્યુમરના કેસમાં દર વર્ષે ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હાલ દેશમાં દર વર્ષે બ્રેઈન ટ્યુમરના સરેરાશ નવા 28 હજાર કેસ નોંધાય છે, જ્યારે 24 હજારથી વધુના મૃત્યુ થાય છે. આજે (આઠમી જૂન) 'બ્રેઇન ટ્યુમર ડે' છે ત્યારે બ્રેઈન ટ્યુમરના વધતા કેસ ચિંતાનો વિષય બન્યા છે.
મગજની ગાંઠના કેસમાં ચિંતાજનક વધારો
મગજમાં અસામાન્ય કોષોના એકત્રીકરણ કે સમૂહને બ્રેઈન ટ્યુમર કહેવામાં આવે છે. મગજની ગાંઠ કેન્સરગ્રસ્ત અથવા બિન-કેન્સરયુક્ત હોઈ શકે છે. કેન્સરગ્રસ્ત બ્રેઈન ટ્યુમર વધે છે, ત્યારે તે ખોપરીની અંદર દબાણ વધારી શકે છે. તેનાથી મગજને નુકસાન થવાની સાથે-સાથે જીવનું જોખમ પણ થઈ શકે છે. મગજની ગાંઠના વિવિધ પ્રકાર છે. જેમાં પ્રાથમિક મગજનું કેન્સર ઊભું થાય છે. જેને મેનિન્જીસ કહેવાય છે અને કફોત્પાદક અથવા પિનીલ જેવા ચેતા કોષો છે. પ્રાથમિક કેન્સરસૌમ્ય અથવા કેન્સરગ્રસ્ત હોઈ શકે છે. ગ્લિઓમા અને મેનિન્જીયોમેબ્રેન ટ્યુમર સામાન્ય રીતે પુખ્ત વયના લોકોમાં જોવા મળે છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલના ન્યૂરોસર્જરી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. શૈલેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે, 'મગજમાં અસામાન્ય કોષોના એકત્રીકરણ કે સમૂહને બ્રેઈન ટ્યુમર કહેવામાં આવે છે. મગજની ગાંઠ કેન્સરગ્રસ્ત અથવા બિન કેન્સરયુક્ત હોઈ શકે છે. અસારવા સિવિલમાં હાલ દર વર્ષે બિનકેન્સરગ્રસ્તના 1200થી વધુ કેસ નોંધાય છે. કેન્સરગ્રસ્ત બ્રેઈન ટ્યુમરના પણ દર વર્ષે અંદાજે એટલા જ કેસ આવે છે. છેલ્લા કેટલાક સમયમાં બ્રેઇન ટ્યુમરના કેસમાં વધારો થયો છે. જેના માટે લોકોમાં જાગૃતિ વધવી, મેડિકલ સાયન્સની હરણફાળ જેવા પરિબળો પણ કારણભૂત છે. ઘણાં લોકો માને છે કે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી મગજની ગાંઠના કેસમાં વધારો જોવા મળ્યો છે પણ તે હજુ સુધી પુરવાર થયું નથી. બ્રેઈન ટ્યુમરથી ડર્યા વિના તે સમયસર સારવાર કરાવવામાં આવે તો ઝડપથી સાજા થઈ શકાય છે.'
બ્રેઇન ટ્યુમર સાથે જોડાયેલી પાંચ ગેરમાન્યતાઓ
1. દરેક બ્રેઇન ટ્યુમર કેન્સરથી થાય છે?
તદ્દન ખોટી વાત છે. ઘણી વખત ટ્યુમર બેનાઈન એટલે કે કેન્સરવગરનું પણ હોય છે, જે ધીરે-ધીરે વધે છે.
2. મોબાઈલ ફોનના ઉપયોગથી બ્રેઈન ટ્યુમર થાય છે?
હજુ સુધી એક વાર એવું પુરવાર થયું નથી કે મોબાઇલના ઉપયોગથી બ્રેઇન ટ્યુમર થાય છે.
3. માથામાં દુઃખાવો હોય તો બ્રેઈન ટ્યુમર ચોક્કસ છે?
માથાના દુઃખાવા માટે માઈગ્રેન, તણાવ, પાણીની કમી જેવા વિવિધ કારણ હોય છે. બ્રેઈન ટ્યુમરને કારણે થતો માથાનો દુઃખાવો સામાન્ય રીતે સતત વધે છે. માથાનો દુઃખાવો લાંબો સમય રહે તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
4. બ્રેઈન ટ્યુમર એટલે જીવને જોખમ?
મેડિકલ સાયન્સે હરણફાળ ભરતાં બ્રેઈન ટ્યુમરને આસાનીથી હરાવી શકાય છે. પરંતુ સમયસર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
5. માત્ર વૃદ્ધોને બ્રેઈન ટ્યુમર થાય છે?
કોઈ પણ ઉંમરની વ્યક્તિને બ્રેઈન ટ્યુમર થઈ શકે છે. બાળકોમાં થતાં ટ્યુમરમાં બ્રેઈન ટ્યુમરનું પ્રમાણ સૌથી વધુ છે.
બ્રેઈન ટ્યુમરના લક્ષણો શું હોય છે?
જીવનશૈલી કે પર્યાવરણના પરિબળથી બ્રેઈન ટ્યુમરની ગેરમાન્યતા પ્રવર્તે છે. તેના મુખ્ય લક્ષણમાં માથામાં સતત દુઃખાવો, વોમિટિંગ, હાથ-પગમાં અશક્તિ, બોલતી વખતે શબ્દો નહીં મળવાની સમસ્યા લાંબો સમય રહેવીનો મુખ્યત્ત્વે સમાવેશ થાય છે. આ લક્ષણ જણાય જણાય તો તો જરૂરિયાતને આધારે ડોક્ટર દ્વારા સીટી સ્કેન, એમઆરઆઇ કેરાય છે.