૨૦૪૦ સુધીમાં વિશ્વમાં વર્ષે ૧.૫ કરોડ ને કીમોથેરાપીની જરુર પડશે
૧ લાખથી વધુ કેન્સર નિષ્ણાત ડૉકટરોની જરુર પડશે -સ્ટડી
કોઇ પણ બીમારીની સરખામણીમાં કેન્સરનો ડર વધારે હશે
વિશ્વમાં કેન્સરનું પ્રમાણ વધતું જતું હોવાથી ૨૦૪૦ સુધીમાં વર્ષે ૧.૫ કરોડથી વધુ લોકોને કીમોથેરાપી અને વર્ષે ૧ લાખથી પણ વધુ કેન્સર નિષ્ણાત ડૉકટરોની જરુરીયાત હશે. આ અંગે લાન્સેટ ઓન્કોલોજીમાં એક સ્ટડી રિપોર્ટ પ્રકાશિત થયો છે. આ સ્ટડી સાથે સંકળાયેલા સિડનીની ન્યૂ સાઉથવેલ્સ યૂનિવર્સિટીના પ્રોફેસરના જણાવ્યા મુજબ વિશ્વમાં આજે કોઇ પણ બીમારી કરતા કેન્સરનો આતંક વધારે છે. આ સ્ટડીમાં ક્ષેત્રિયથી માંડીને ઇન્ટરનેશનલ સુધી કીમોથેરાપી અંગેનું આંકલન કરવામાં આવ્યું હતું.
કીમોથેરાપી એક એવો એલોપેથી ઇલાજ છે જેમાં કેન્સરની કોશિકાનો નાશ કરવા પ્રયાસ કરવામાં આવે છે. કીમો અને થેરાપી આ બે શબ્દોને જોડીને કીમોથેરાપી શબ્દ બન્યો છે. જેમાં કીમો એટલે રસાયણ અને થેરાપી એટલે ઉપચાર આ એક રસાયણ ઉપચાર છે. કીમોથેરાપીને શરુઆતના સ્ટેજના કેન્સર માટે અસરકારક માનવામાં આવે છે. જો દર્દીઓને ઝડપથી અને સમયસર સારવાર મળે તો રોગમુકત બનાવી શકાય છે અથવા તો જીવનકાળમાં વધારો કરી શકાય છે. કેન્સરગ્રસ્ત લોકો માટે વૈશ્વિક સ્તરે એક સ્ટ્રેટેજી તૈયાર કરીને મદદ કરવાની જરુરીયાત છે.
હાલમાં વર્ષે ૫૦ લાખ દર્દીઓ કેન્સરથી પીડાય છે તેમની સંખ્યામાં ૫૩ ટકા જેટલો વધારો થયો હશે. આ સ્ટડીમાં ઓસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સ યૂનિવર્સિટી, ઇંગ્હેમ ઇન્સ્ટીટયૂટ ફોર એપ્લાઇડ મેડિકલ રિસર્ચ,કિંગહોર્ન કેન્સર સેન્ટર અને લીવરપૂલ કેન્સર થેરાપી સેન્ટરનો સંશોધકોનોે સમાવેશ થતો હતો. આ ઉપરાંત ફ્રાંસમાં આવેલી ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર સંશોધકોએ પણ પોતાનું યોગદાન અને અભિપ્રાય આપ્યા હતા.