છોટાઉદેપુર: હત્યા કે અકસ્માત! નોકરીએ જવા નીકળેલા યુવકનું મોત, ન્યાયિક તપાસની પરિવારની માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News : છોટાઉદેપુરના કવાંટ તાલુકાના મુસેટ જામલી ગામેથી બાઈક લઈને નોકરીએ જવા નીકળેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માતથી મોતની નોંધ કરી છે, ત્યારે મૃતકના પરિવારજનોનું કહેવું છે કે, તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે. એટલે સમગ્ર મામલે ન્યાયિક તપાસની પરિવારજનોએ માગ કરી છે.
નોકરીએ જવા નીકળેલા યુવકનું મોત
મળતી માહિતી મુજબ, કવાંટ તાલુકાના મુસેટ જામલી ગામે રહેતો નિલેશ જેસીંગ વણકર એક કંપનીમાં નોકરી કરતો હતો અને રોજની જેમ સવારે બાઈક લઈને નોકરીએ જવા નીકળ્યો હતો. પરંતુ દિવસ દરમિયાન તેનો સંપર્ક ન થતાં પરિવારમાં ચિંતા ફેલાઈ હતી. નિલેશના પિતાએ ફોન કર્યો છતાં તેને ફોન ઉઠાવ્યો નહોતો અને બીજો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હોવાથી પરિવારજનોએ નિલેશની ઓફિસ સહિત આસપાસ તપાસ કરી હતી, પરંતુ કોઈ માહિતી મળી નહોતી.
ન્યાયિક તપાસની પરિવારની માગ
જ્યારે સાંજના સમયે ગામના સરપંચે ફોન કરીને નિલેશના પરિવારને ઉમઠી ગામ પાસે વખતગઢ રોડ પર બોલાવવામાં આવ્યા હતા. જ્યાં નિલેશ પોતાની બાઈક નજીક મળી આવ્યો હતો. આ પછી નિલેશને 108 મારફતે કવાંટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટનાને લઈને પરિવારજનોએ નિલેશની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે અને સમગ્ર મામલે ન્યાયિક તપાસ કરવાની પોલીસને માગ કરી છે. બીજી તરફ પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં આ બનાવ બાઈક અકસ્માતનો જણાય છે. જેમાં માથા અને ખભાના ભાગે ગંભીર ઇજાઓને કારણે મોત થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ હકીકત સામે આવશે.









