ગાંધીનગર સેક્ટર-6માં મહેસાણાના યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ ઘટનાસ્થળે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar News : ગુજરાત રાજ્યના પાટનગરમાં સેક્ટર-6 ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળાના મેદાનમાં આજે સવારે એક 27 વર્ષીય યુવાનનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. વહેલી સવારે શાળાના પટાંગણમાં લાશ જોઈને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી.
મૃતકની ઓળખ અને બેકગ્રાઉન્ડ
સેક્ટર-7 પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકનું નામ જયદીપ રાજેશભાઈ સોલંકી છે અને તેની ઉંમર અંદાજે 27 વર્ષ છે. જયદીપ મૂળ મહેસાણા જિલ્લાના પિલવાઈ ગામનો વતની હતો. તે છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં રહેતી પોતાની બહેનના ઘરે રોકાયો હતો અને ત્યાં રહીને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.
પોલીસ તપાસ અને FSLની મદદ
ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ, તે જાણવા માટે પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમની પણ મદદ લીધી છે. FSLની ટીમે સ્થળ પરથી જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કર્યા છે.
પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. જયદીપ કયા સંજોગોમાં રાત્રિના સમયે વાવોલથી સેક્ટર-6ની શાળાએ પહોંચ્યો અને તેણે આ આઘાતજનક પગલું કેમ ભર્યું, તે અંગે તેના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ મૃત્યુ પાછળના ચોક્કસ કારણો પરથી પડદો ઊંચકાશે.








