- પાણી-પુરવઠાની લાઇન માટે કરાયેલું ખોદકામ જીવલેણ બન્યું
- બાઇક ચાલક યુવકને ઇજા, ખોદકામ કરાવનારા સહિત બે શખ્સ સામે ગુનો દાખલ
૪ દિવસ પહેલા રાતના સમયે ઉભરાણ ગામના બે યુવકો બાઇક પર અહીંથી પસાર થઇ રહ્યા હતા. આ વખતે માટીના ઢગલાં પર બાઇક ચડી જતા સર્જાયેલા અકસ્માતમાં પાછળ બેઠેલો યુવક ધીમંતકુમાર નીતિનભાઇ શર્માનું સારવાર દરમિયાન મોત નિ૫જ્યું છે.બાલાસિનોર તાલુકા પોલીસ મથકમાં ભોગ બનનાર ઉભરાણના રહેવાસી યુવકના ભાઇ હર્ષકુમાર નીતિનભાઇ શર્માએ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.રપના રોજ રાત્રે તેમનો ભાઇ ધીમંત તેમના મિત્ર સંજયભાઇ દોલતસિંહ ઝાલા સાથે બાઇક ઉ૫ર પાછળ બેસીને ભાથલા ગામે જઇ રહ્યા હતા.
આ સમયે ભાથલા નવાઆંટા રોડ પર પાણી-પુરવઠાની પાઇપ લાઇન માટે કરાયેલા ખોદકામ બાદ રસ્તા પર કરવામાં આવેલા માટીના ઢગલાં ઉપર બાઇક ચડી જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બંને યુવકોને ગંભીર ઇજા સાથે સારવાર માટે ખસેડયા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન માથામાં ગંભીર ઇજાના કારણે ધીમંતનું મોત નિપજ્યું છે, જ્યારે સંજયભાઇ હજી સારવાર હેઠળ છે.
આ અંગે બાઇકના ચાલકની સાથે પાણી-પુરવઠા વિભાગ તરફથી ખોદકામ કરાવનાર એલ.સી.સી. પ્રોજેક્ટ લી. કંપની વતી કામગીરી કરનાર સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


