Gujarat
વાસદ- આણંદ રેલવે લાઈન પર ટ્રેનની અડફેટે યુવકનું મોત
By GS TEAM
21 Oct 20251 min read

- વાલી- વારસ અંગે પોલીસની શોધખોળ
- અપમૃત્યુની નોંધ કરી અજાણ્યા યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો
આણંદ : વાસદ આણંદ રેલવે લાઇન ઉપર ગતરોજ એક ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકને ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું મોત થયું હતું.
આણંદ તાલુકાના વાસદથી આણંદ તરફ જતી રેલવે લાઈન ઉપર ગઈકાલ રાત્રિના સુમારે એક ટ્રેન પસાર થઈ રહી હતી. દરમિયાન એક અજાણ્યો ૩૦થી ૩૫ વર્ષના આશરાનો યુવક ટ્રેનની અડફેટે આવી જતા તેને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વાસદ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે અજાણ્યા યુવકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. હાલ તો વાસદ પોલીસે અપમૃત્યુની નોંધ કરી મૃતકના વાલી વારસો અંગે શોધખોળ હાથ ધરી છે.









