Gujarat

સયાજીગંજની હોટલમાં યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત

By GS TEAM
7 Apr 20262 mins read
સયાજીગંજની હોટલમાં યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત

વડોદરા,,સયાજીગંજની હોટલમાં રોકાયેલા ૨૭ વર્ષના યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. તેની પાસેથી મળેલા બંને મોબાઇલ ફોન લોક હોઇ એફ.એસ.એલ.ની મદદ લેવાઇ છે. મોબાઇલ ખૂલ્યા  પછી તેણે છેલ્લે કોની સાથે વાત કરી, તે જાણી શકાશે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના વિજાપુર દલવાડા ગામે લુહાર ફળિયામાં રહેતા ૨૭ વર્ષના જયેન્દ્રકુમાર કમલસિંહ લુહાર ગત છઠ્ઠી તારીખે સવારે ૮ વાગ્યે સયાજીગંજની સાંઇકૃપા હોટલમાં રૃમ નંબર ૩૦૬ માં એક દિવસ માટે રોકાયો હતો.  પરંતુ, બીજા દિવસે સવાર સુધી તેણે ચેક આઉટ નહીં કરતા રિસેપ્શનિસ્ટને શંકા ગઇ હતી. તેણે રૃમમાં જઇને ચેક કરતા જયેન્દ્રએ દરવાજો ખોલ્યો નહતો. જેથી, પોલીસને બોલાવી હતી. પોલીસે આવીને ફાયરબ્રિગેડની મદદથી દરવાજો તોડતા  જયેન્દ્રએ પંખા પર દુપટ્ટા વડે ગળા ફાંસો ખાઇ લીધો હતો. તેના મૃતદેહને નીચે ઉતારી પી.એમ. માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પી.એસ.આઇ. ડી.વી. પાટિલે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. જયેન્દ્ર એકનો એક પુત્ર હતો. તેની પત્ની સગર્ભા છે. ત્રણ દિવસ  પહેલા તે ઘરેથી એવું કહીને નીકળ્યો હતો કે, મને પેટ્રોલ  પંપ પર નોકરી મળી છે. જયેન્દ્રએ કયા કારણોસર ગળા ફાંસો ખાધો, તે અંગે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આર્થિક સંકડામણ, બેરોજગારી અને ગૃહ કલેશ જેવી શક્યતાઓ અંગે તપાસ કરી રહી છે.

યુવકના પર્સમાં માત્ર ૧૦૦ રૃપિયા જ  હતા

વડોદરા

યુવકની બેગમાંથી એક યુવતીનું આધાર કાર્ડ મળી આવ્યું છે. જે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત તેના પર્સમાંથી માત્ર ૧૦૦ રૃપિયા જ મળ્યા છે. કોઇ ચિઠ્ઠી મળી નથી. જે દુપટ્ટાથી તેણે ફાંસો ખાધો  હતો.તે દુપટ્ટો તે પોતાની બેગમાં સાથે લઇને આવ્યો હતો.

રૃમ લેવા આવ્યો ત્યારે જ વ્યથિત લાગતો હતો

વડોદરા

પોલીસે આપઘાતના બનાવ અંગે તપાસ કરી હોટલના સ્ટાફની પૂછપરછ કરી હતી. જયેન્દ્ર હોટલમાં રૃમ લેવા આવ્યો ત્યારે રિસેપ્શન કાઉન્ટર પર હાજર કર્મચારીએ પોલીસને જણાવ્યું હતું કે, તે આવ્યો ત્યારે  જ ેતેની બોડી લેન્ગવેજ પરથી તે વ્યથિત  લાગતો હતો. સાંજે જ રૃમ ચેક આઉટ કરવાનું તેણે કહ્યું હતું.