Gujarat

આરોગ્ય ખાતામાં નોકરી આપવાના બહાના હેઠળ યુવાન સાથે રૂ. 7.47 લાખ છેતરપિંડી

By GS TEAM
15 Feb 20262 mins read
આરોગ્ય ખાતામાં નોકરી આપવાના બહાના હેઠળ યુવાન સાથે રૂ. 7.47 લાખ છેતરપિંડી

- પાળીયાદ પોલીસમાં 3 મહિલા સહિત 5 સામે ફરિયાદ

- માંગરોળ અર્બન હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર હોવાની ઓળખ આપી યુવાન સાથે વિશ્વાસ કેળવ્યો

ભાવનગર : રંગપર ગામના યુવાનને આરોગ્ય ખાતામાં ડેટા ઓપરેટરની નોકરી અપાવવા અંગે વિશ્વાસ કેળવી પાંચ લોકોએ રૂ.૭.૪૭ લાખ મેળવી નોકરી અને રૂપિયા નહીં આપી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી.

બોટાદ તાલુકાના રંગપર ગામના બસ સ્ટેન્ડ પાસે રહેતા રાહુલભાઈ સુરેશભાઈ ચાવડા ચાર વર્ષ પહેલા મામાના પુત્રના લગ્નમાં ભદ્રાવાડી ગામે ગયા હતા. તે દરમિયાન ડા આશિષ દાનાભાઈ રાઠોડ સાથે પરિચય થયો હતો અને અવર-નવાર ફોન અને ઘરે આવવાવ જવાનો સંબંધ કેળવાયો હતો. તેવામાં ડૉ.આશિષે રાહુલભાઇને જણાવ્યું હતું કે, માંગરોળ અર્બન હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર છું અને આરોગ્ય વિભાગમાં મોટી ભરતી આવવાની છે અને આ નોકરી માટે રૂ.૭.૫૦ લાખ આપવા પડશે તેમ કહેતા રાહુલભાઈ અને તેમના પરિવારે તૈયારી દાખવી હતી અને ગત ૨૨ એપ્રિલ ૨૦૨૨ના રોજ રાહુલભાઈ ડા.આશિષને રૂ.૧.૫૦ લાખ અને ડોક્યુમેન્ટ આપ્યા હતા. આમ, ડો.આશીષ રાઠોડ  તથા તેના પરીવારના કમલ દાનાભાઈ રાઠોડ, લક્ષ્મીબેન આશીષભાઈ દાનાભાઈ રાઠોડ, પ્રભાબેન દાનાભાઈ રાઠોડ, રસીલાબેન કમલભાઇ દાનાભાઇ સઠોડએ આરોગ્ય ખાતામાં ડેટા ઓપરેટરની નોકરી અપાવવા અંગે વિશ્વાસ કેળવી રાહુલભાઈ નોકરી અપાવવાનું નક્કી કરી તા.૦૩ એપ્રિલ ૨૦૨૨ થી તા.૨૭ જાન્યુઆરી ૨૦૨૩ દરમ્યાન રોકડા રૂપિયા ૨,૫૭,૫૦૦ તથા ઓનલાઈન ટ્રાન્ઝેકશનથી રૂ.૪,૮૯,૬૦૦ મળી કુલ રૂ. ૭,૪૭,૧૦૦ વારા ફરતી લઇ ગયા હોવા છતા રાહુલભાઈને નોકરી નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ રાહુલભાઈ પાંચ લોકો વિરૂધ્ધ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.